Vadodara,તા.02
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.૮ સપ્ટેમ્બરે વડોદરાની મુલાકાત લેશે અને તેમના કાર્યક્રમનું એમ.એસ.યુનિવર્સિટીના પેવેલિયન મેદાન ખાતે આયોજન કરવામાં આવનાર છે.જેની સામે યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્યે વાંધો ઉઠાવ્યો છે.
તેમના કહેવા પ્રમાણે અગાઉ સિન્ડિકેટે ઠરાવ કર્યો હતો કે, પેવેલિયન મેદાનનો ઉપયોગ માત્ર રમત- ગમતની પ્રવૃત્તિઓ માટે થશે પણ સત્તાધીશોએ આ નિયમને બાજુ પર મૂકીને રાજકીય કાર્યક્રમ માટે મંજૂરી આપી છે.વડોદરામાં બીજી પણ ખુલ્લા મેદાનો છે જ્યાં આ પ્રકારના કાર્યક્રમ યોજી શકાય તેમ છે.
પૂર્વ સેનેટ સભ્ય કપિલ જોષીએ વાઈસ ચાન્સેલર અને જોઈન્ટ રજિસ્ટ્રારને રજૂઆત કરતા કહ્યું હતું કે, મેદાનનો કબ્જો અત્યારથી તંત્રે લઈ લીધો છે અને તેના કારણે ખેલાડીઓની પ્રેક્ટિસ પ્રભાવિત થઈ રહી છે.અગાઉ પેવેલિયન પર ખેલ મહાકુંભનો કાર્યક્રમ યોજાયો તે પછી ગ્રાઉન્ડમાં કાટમાળ અને કચરો તંત્રે હટાવવાની તસ્દી લીધી નહોતી.દિવસો સુધી ગ્રાઉન્ડમાં પડેલા લોખંડના ખીલાના કારણે વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થતા રહ્યા હતા.તેમણે કહ્યું હતું કે, જો ગ્રાઉન્ડ પાછુ લેવામાં નહીં આવે તો યુનિવર્સિટીના સત્તાધીશો સામે જેન ઝીનું આંદોલન શરુ થશે.

