સામાજિક વ્યવહારોનું મનદુઃખ રાખી ભાઇએ ભાઇની હત્યા કરતાં સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ચકચાર મચી ગઈ
Palanpur, તા.૧૪
Palanpur તાલુકાના દલવાડા ગામે ખેતરમાં ખેતી કામે ગયેલા બે ભાઇઓ વચ્ચે સમાજીક વ્યવહારો બાબતે બોલાચાલી થતાં ઉશકેરાઇ ગયેલા નાનાભાઇએ ખેતરમાં જ વાંસીના જીવલેણ ઘા મારી મોટાભાઇની હત્યા કરતાં સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ચકચાર મચી ગઈ છે.
પાલનપુર તાલુકાના દલવાડા ગામે રહેતા રમેશભાઇ ચેલાભાઇ ભુટકા સવારે ખેતરમાં કામ કરવા ગયા હતા તે સમયે તેમની બાજુના ખેતરમાં તેમના નાનાભાઇ હિરાભાઇ ચેલાભાઇ ભુટકા પણ કામ કરતા હતા. તે સમયે બંને ભાઇઓ વચ્ચે સામાજીક વ્યવહારો બાબતે બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું તેમજ આ બોલાચાલી દરમિયાન નાનાભાઇએ રમેશભાઇને વાંસીના જીવલેણ ઘા માથાના ભાગે તેમજ ડાબા પગના ભાગે મારતાં બેહોશ થઇને રસ્તામાં ઢળી પડ્યા હતા.
દરમિયાન ગામના વિનોદભાઇ ગામી ત્યાંથી પસાર થતાં તેઓએ રમેશભાઇને ખાનગી વાહનમાં પાલનપુર સિવિલ પહોંચાડી તેમના પુત્ર પાર્થને જાણ કરી હતી. સિવિલમાં હાજર તબીબે રમેશભાઇને મૃત જાહેર કર્યા હતા. જે બાબતે મૃતકના પુત્ર પાર્થે અંકલેશ્વરથી ઘરે આવી પોતાના પિતાની હત્યા કરનાર કાકા હીરાભાઇ ચેલાભાઇ સામે ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.ખેતરમાં એકાંતમાં નાનાભાઇએ મોટાભાઇની વાંસીના ઘા મારી હત્યા કરી હતી. જેથી મોટાભાઇ બેહોંશ થઇ નેળીયામાં ઢળી પડ્યા હતા. ગામના વિનોદભાઇ ગામી તેમને હોસ્પિટલ લઇ જઇ રહ્યા હતા ત્યારે થોડો સમય માટે ભાનમાં આવેલા આધેડ રમેશભાઇએ જણાવ્યું હતું કે, સામાજીક વ્યવહાર બાબતે તેમના નાનાભાઇએ વાંસીના ઘા માર્યા હતા. તેમજ આ બાબતે મારા પુત્રને જાણ કરજો.

