ચિત્ર-વક્તૃત્વ સ્પર્ધા, શેરી નાટક, સંકલ્પ યાત્રા, સેવા સેતુ, રંગોળી રાષ્ટ્ર, ઇનોવેશન ચેલેન્જ જેવા સામાજિક-યોજનાકીય કાર્યક્રમોનું આયોજન
Rajkot તા. ૧૫ઃ
પ્રજાકલ્યાણ અને પ્રજાભિમુખ નેતૃત્વની નેમ સાથે જનતાના સર્વાંગી વિકાસ માટે સમગ્ર રાજ્યમાં સેવા સંકલ્પ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત રાજકોટ જિલ્લામાં પણ તા. ૧૭ સપ્ટેમ્બરથી તા. ૧૭ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન એક માસ સુધી આ અભિયાન હેઠળ સેવા, સમર્પણ અને વિકાસના સમન્વય સાથે વિવિધ સામાજિક અને યોજનાકીય કાર્યક્રમો યોજાશે. જે પૈકી સમગ્ર માસ દરમિયાન યોજાનારા કાર્યક્રમો નીચે મુજબ છે.
૧. ૨૫ કરોડ બાળકોનું સપનું – ચિત્ર તથા વક્તૃત્વ સ્પર્ધા
રાજકોટ ખાતે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં વિકસિત ભારત સંકલ્પ તેમજ ’સેવા તથા વિકાસના ૨૫ વર્ષ’ વિષયક ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધા યોજાશે. જેમાં વિજેતા કૃતિઓ જિલ્લાકક્ષાએ મોકલવામાં આવશે.
૨. વિકસિત ભારત સંકલ્પ યાત્રા
આ અભિયાન અન્વયે રાજકોટ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાશે. આ યાત્રા દરમિયાન જનપ્રતિનિધિઓ પરિવર્તનકારી વિકાસ સ્થળોની મુલાકાત લઈ નિષ્ણાતો અને લાભાર્થીઓ સાથે સંવાદ કરશે.
૩. સેવા મારું યોગદાન – ૨૫ સેવા પ્રવૃત્તિઓ
આ કાર્યક્રમ અંતર્ગત દરેક વિધાનસભા મતવિસ્તારમાં ઓછામાં ઓછા ૨૫ સ્થળોએ વિવિધ સેવા કાર્યો હાથ ધરાશે. જેમાં રક્તદાન, વૃક્ષારોપણ, આરોગ્ય શિબિર, સ્વચ્છતા અભિયાન, અંગદાન જાગૃતિ, પોષણ, માર્ગ સલામતી અને જળ સંરક્ષણ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.
૪. સેવા સેતુ કાર્યક્રમ
જિલ્લાના દરેક વિધાનસભા / બ્લોકકક્ષાએ સેવા સેતુ કાર્યક્રમ યોજાશે. જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો લાભ એક જ સ્થળેથી મળી રહે, તે માટે દસ્તાવેજોની ચકાસણી કરી, સ્થળ પર જ જરૂરી સહાય અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.
૫. રંગોળી રાષ્ટ્ર / ભારત મંડલા
આ અભિયાનમાં જાહેર સ્થળોએ કુદરતી સામગ્રીનો ઉપયોગ કરીને પ્લાસ્ટિકમુક્ત રંગોળી કરવામાં આવશે. જેમાં સ્થાનિક કલાકારો, મહિલા સ્વસહાય જૂથ, વિદ્યાર્થીઓ, એન.સી.સી./એન.એસ.એસ./એન.વાય.કે.એસ.ના સભ્યો જોડાશે. રાષ્ટ્રીય પ્રતીકો તથા વિકસિત ભારત થીમ આધારિત રંગોળીઓ તૈયાર કરાશે.
૬. રાષ્ટ્રીય ઇનોવેશન ચેલેન્જ – ગુજરાત
રાજકોટ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા વિદ્યાર્થીઓ, યુવાનો, સ્ટાર્ટ-અપ્સ, પ્રોફેશનલ્સ અને ઇનોવેટર્સને રાષ્ટ્રીય ઇનોવેશન ચેલેન્જ અંગે માહિતગાર કરવામાં આવશે. તેઓને ઓનલાઇન અરજી અને પસંદગી પ્રક્રિયા વિશે માર્ગદર્શન આપવામાં આવશે. પસંદગી પામેલા ઇનોવેટર્સને પ્રદર્શન, લાઈવ ડેમો અને નિષ્ણાતો સમક્ષ રજૂઆત કરવાની તક મળશે તેમજ શ્રેષ્ઠ એન્ટ્રીઓને રાજ્યકક્ષાએ મોકલવામાં આવશે.
આમ, સેવા સંકલ્પ અભિયાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત ૨૦૪૭ના સ્વપનને સાકાર કરવાની દિશામાં વધુ એક પગલું છે. ત્યારે રાજકોટ જિલ્લાના લોકો આ એક માસ દરમિયાન યોજાનારા કાર્યક્રમોમાં ઉત્સાહભેર ભાગ લઈને ’વિકસિત ભારત’ના સંકલ્પમાં સહભાગી બની શકશે.

