(નયના દવે દ્વારા) Jamnagarતા.૨૯
જામનગરના જૂના બંદર જેટી નજીક પરમીટ વગર દરિયામાં માછીમારી કરવા ગયેલા એક બોટચાલક સામે બેડી મરીન પોલીસે જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધ્યો છે.
ફરિયાદ મુજબ, બેડી મરીન પોલીસ સ્ટેશનનો સ્ટાફ મંગળવારે મધરાતે વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન રાત્રે આશરે ૧૨૩૦ વાગ્યે જૂના બંદર જેટી પાસે દરિયામાંથી એક બોટ પરત આવતી જોવા મળતાં પોલીસે તેને રોકી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બોટ પર ‘‘અલ અજમેરી‘‘ નામ તથા નોંધણી નંબર નહિ હોવાનું જાણવા મળ્યું હતું.
બોટના ટંડેલ તરીકે ઓળખ આપનાર હનીફ ઇબ્રાહીમ સંધાર (ઉ.વ. ૪૦), રહે. ભીમવાસનો ઢાળીયો, શેરી નં. ૩, જામનગર પાસેથી માછીમારી માટે જરૂરી પરમીટ અથવા અન્ય અધિકૃત મંજૂરી માંગવામાં આવતાં તે રજૂ કરી શક્યો નહોતો. બોટમાં માછીમારી માટેની સાધનસામગ્રી પણ મળી આવી હતી.
આથી જિલ્લા મેજિસ્ટ્રેટના તા. ૨૫ મે, ૨૦૨૬ના જાહેરનામાનો ભંગ કરવાના આરોપસર તેની સામે ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ ૨૨૩ તથા ગુજરાત મત્સ્યઉદ્યોગ કાયદો, ૨૦૦૩ની કલમ ૨૧(૧)(ચ) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. કાર્યવાહી પૂર્ણ થયા બાદ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની જોગવાઈ મુજબ નોટિસ આપી તેને મુક્ત કરવામાં આવ્યો હતો.

