Vadodara,તા.19
વડોદરા શહેરના દાંડિયાબજારમાં આવેલી હોટલ વિન્ટેજ ઇનમાંથી 29 વર્ષીય યુવાનનો રહસ્યમય હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. હોટલના રૂમ નંબર 302માંથી પાણીગેટના ખાટકીવાડ વિસ્તારમાં રહેતા ગુલામમુસ્તફા ખુર્શીદઅહેમદ નૈયરનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં રાવપુરા પોલીસ સહિતનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો.
મળતી માહિતી મુજબ મોડી રાત્રે ગુલામમુસ્તફા નૈયર અને ભાયલી ગામના કિશન વસાવા હોટલમાં આવ્યા હતા. હોટલ મેનેજમેન્ટ દ્વારા બંનેને શરૂઆતમાં રૂમ નંબર 304 આપવામાં આવ્યો હતો. જોકે રૂમ નંબર 304માં વીજ પુરવઠો ખોરવાઈ જતા બંનેને રાત્રે આશરે 3 વાગ્યે રૂમ નંબર 302માં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
બંને યુવાનો છેલ્લા કેટલાક સમયથી વોટ્સએપના માધ્યમથી સંપર્કમાં આવ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. રૂમ નંબર 302માંથી ગુલામમુસ્તફાનો મૃતદેહ મળી આવ્યા બાદ તેના મિત્ર કિશન વસાવાએ જ પોલીસને જાણ કરી હતી.
યુવાનના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે કિશન વસાવાની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે. બીજી તરફ પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો છે.
પ્રાથમિક તબક્કે યુવાન પડી ગયા બાદ બ્રેન હેમરેજ થવાના કારણે તેનું મોત થયું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે.
હોટલના રૂમમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યાની જાણ થતાં હોટલની બહાર લોકોનાં ટોળાં એકત્રિત થઈ ગયાં હતાં. ઘટનાની ગંભીરતાને પગલે ACP અશોક રાઠવા, રાવપુરા પોલીસ મથકના PI સહિતનો પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. રાવપુરા પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. યુવાનના મોત પાછળનું ચોક્કસ કારણ, રૂમમાં બનેલી સમગ્ર ઘટના અને તેના મિત્રની ભૂમિકા સહિતના મુદ્દે પોલીસ દ્વારા તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.

