Mumbai, તા.6
બોલિવુડ સ્ટાર સલમાનખાન, તેની બહેન અલવીરા અને બીઈંગ હ્યુમન સંસ્થાના ડાયરેકટર્સને ચંદીગઢ જિલ્લા અદાલતે છેતરપીંડીના એક કેસમાં સમન ઈશ્યુ કર્યું છે. મામલા 2021નો છે, જયારે એક બિઝનેસમેને તેની વિરુદ્ધ ફરિયાદ કરી હતી.
આ અંગેની વિગત એવી છે કે સલમાનખાન અને તેની બહેન અલવીરખાન અગ્નિહોત્રીને ચંદીગઢની એક જિલ્લા અદાલતે `બીઈંગ હ્યુમન’ જવેલરી શો રૂમ સાથે સંકળાયેલા છેતરપીંડીના એક કેસમાં સમન જાહેર કરવામાં આવ્યું છે.
આ સમન `સ્ટાઈલ એન્ડ કન્ટેન્ટ જવેલરી પ્રાઈવેટ લિમિટેડના ડાયરેકટરોને પણ ઈશ્યુ કરવામાં આવ્યુ છે. અદાલતે તેમને 5 ઓકટોબરે રજૂ થવા અને ફરિયાદમાં લગાવવામાં આવેલા આરોપો પર પોતાનો જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ મામલો ચંદીગઢના બિઝનેસમેન અરુણ ગુપ્તાની ફરિયાદ સાથે સંકળાયેલો છે.
મામલાની શરૂઆત 2018માં શરૂ થયેલ જવેલરી શો રૂમ ખોલવાથી થઈ હતી અને 2021માં ફરિયાદ થઈ હતી. ફરિયાદીએ આરોપ લગાવ્યો હતો કે તે કેટલાક વર્ષ પહેલા બિગબોસના સેટ પર સલમાનખાનને મળ્યો હતો.
સલમાને તેને શોરૂમ ખોલવા અને તેના ઉદઘાટનમાં આવવાની વાત કરી હતી, ફરિયાદી અરુણનું કહેવું છે કે તેને મનીમાજરામાં `બીઈંગ હ્યુમન’ જવેલરી શોરૂમ ખોલવા માટે રાજી કરવામાં આવ્યો હતો, જેમાં તેને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.
સલમાનના વિશ્વાસ પર તેણે અલવીરાની બ્રાન્ડ `બીઈંગ હ્યુમન જવેલરી’ની ફ્રેન્ચાઈઝી લીધી અને ત્રણ કરોડ રૂપિયા લગાવ્યા હતા. અરુણે દાવો કર્યો હતો કે શોરૂમ શરૂ કરવામાં જ એક કરોડનો ખર્ચ થયો હતો પરંતુ શો રૂમ ખુલ્યા બાદ કંપનીએ બિઝનેસ સપોર્ટનો વાયદો કર્યો હતો, જે પુરો નહોતો કર્યો અને કંપનીએ સ્ટોર અચાનક બંધ કરી દીધો જેથી ધંધાને ખરાબ અસર પડી છે.

