સુરતથી જામનગર જતી એસટી બસમાં વિરેન્દ્રભાઈ બેભાન થઈ ઢળી પડ્યા, પરિવારમાં શોક
Rajkotતા.10
રાજકોટના રામપરા (બેટી) ગામના પુલ પાસેથી પસાર થઈ રહેલી સુરત-જામનગર રૂટની એસટી બસમાં ફરજ બજાવતા કંડક્ટરને ચાલુ બસમાં બેભાન થઈ જતા ચકચાર મચી જવા પામી છે, જેને બેભાન હાલતમાં તાત્કાલિક રાજકોટની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં કલ્પાંત છવાયો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, જામનગરના વલ્લભ પાર્ક -૨૨ માં રહેતા વિરેન્દ્રભાઈ હિંમતલાલ જાની (ઉં ૫૫) વર્ષ ૧૯૯૮ થી એટલે કે છેલ્લા ૨૮ વર્ષથી જામનગર ડેપોમાં એસટી બસના કંડકટર તરીકે ફરજ બજાવતા હતા, ગઈકાલે તેઓ સુરતથી જામનગર આવતી બસમાં પોતાની ફરજ પર હતા ત્યારે રાજકોટ નજીક રામપરા ગામના બેટીના પુલ પાસેથી બસ પસાર થઈ રહી હતી ત્યારે વિરેન્દ્રભાઈને અચાનક છાતીમાં દુખાવો ઉપડતા તેઓ બેભાન થઈને ઢળી પડતા તેમને તાત્કાલિક ૧૦૮ મારફતે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબોએ જોઈ તપાસી હાર્ટ એટેકથી મોત નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક વિરેન્દ્રભાઈ છેલ્લા ૨૮ વર્ષથી જામનગર ખાતે એસટી બસમાં કંડક્ટરની નોકરી કરે છે, તેમને સંતાનમાં એક દીકરો અને બે દીકરી છે જેને પિતાની છત્રછાયા ગુમાવી છે. બનાવને લઈ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ચાલુ ફરજ દરમિયાન હાર્ટ એટેકથી કંડક્ટરના મોતના પગલે એસટી સ્ટાફ અને મિત્રવર્તુળમાં પણ ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે.

