કાશીમાં એક વિદ્વાન બ્રાહ્મણની નજર સામેથી એક ગાય દોડતી આવીને એક ગલીમાં ઘુસી જાય છે,તેની પાછળ એક માણસ દોડતો આવીને ગાયના વિશે પુછે છે.પંડીતજી માળા ફેરવી રહ્યા હતા એટલે કંઇ બોલ્યા નહી પરંતુ હાથના ઇશારાથી કહ્યું કે ગાય સામેની ગલીમાં ગઇ છે.પંડીતજીને ખબર નથી કે પુછનાર વ્યક્તિ કસાઇ છે અને ગાયમાતા તેના ચંગુલથી બચવા ભાગી રહ્યાં છે.કસાઇએ ગાયને પકડીને ગોવધ કરી નાખ્યો.અજાણતાં થયેલા આ ગંભીર પાપના પરીણામે પંડિતજીનો આગલો જન્મ એક કસાઈ પરિવારમાં થયો અને તેમનું નામ સદના રાખવામાં આવ્યું પરંતુ તેમના પૂર્વજન્મના પુણ્યકર્મોના કારણે કસાઈ હોવા છતાં તેઓ ઉદાર અને સદાચારી હતા.
સદના ભક્તનો જન્મ સિંધ પ્રાંતના એક કસાઇ પરિવારમાં જન્મ થયો હોવાથી સદના કસાઇવાડામાંથી માંસ લાવીને વેચતો હતો પરંતુ તેમને ભગવત ભજનમાં ઘણી નિષ્ઠા હતી,મન હંમેશા ભગવાનની ભક્તિમાં મગ્ન રહેતું હતું.તે એવા જ્ઞાની મહાત્મા હતા કે મોટા મોટા સંતો તેમનો સત્સંગ સાંભળવા આવતા હતા.એક દિવસ સદનાને નદીના કિનારે એક પથ્થર પડેલો મળ્યો.તેને પથ્થર સારો લાગ્યો એટલે તે પત્થરને માંસનું વજન કરવા માટે પોતાની સાથે લઇ આવ્યા.તેને એ વાતની ખબર નહોતી કે આ એ જ શાલિગ્રામ છે જેની તે પાછલા જન્મમાં દરરોજ પૂજા કરતો હતો.સદનો કસાઈ ગયા જન્મના શાલીગ્રામને આ જન્મમાં માંસ તોલવામાં ઉપયોગ કરે છે અને પોતાની ટેવ અનુસાર સદનો ઠાકુરજીના ભજન ગાતો રહે છે.ઠાકુરજી ત્રાજવા પર ઝૂલતા સદના ભક્તની સ્તુતિનો આનંદ માણતા હતા. ત્રાજવામાં રહેલા શાલીગ્રામનો એવો જાદુ હતો કે ભલે અડધો કિલો,એક કિલો કે બે કિલો તોલવાનું હોય તમામ વજન આપોઆપ શાલીગ્રામ દ્વારા તોલવામાં આવતું હતું.
એક દિવસ સદનાની દુકાનની સામેથી એક બ્રાહ્મણ પસાર થાય છે,તેમની નજર શાલીગ્રામ ઉપર પડે છે તો તેઓ સદનાની પાસે આવે છે અને શાલીગ્રામને અપવિત્ર કરવા બદલ સદનાને ઠપકો આપતાં કહે છે કે હે મૂર્ખ ! જેને પત્થર સમજીને તૂં માંસ તોલે છે તે શાલીગ્રામ ભગવાન છે.બ્રાહ્મણે સદના પાસેથી શાલીગ્રામ લઇ લીધો અને ઘેર ચાલ્યા ગયા.ઘેર જઇને ગંગાજળથી પવિત્ર કર્યા,ધૂપ,દીપ,ચંદનથી શાલીગ્રામની પૂજા કરી.બ્રાહ્મણને અહંકાર આવી ગયો કે જે શાલીગ્રામથી પાપીઓનો ઉદ્ધાર થાય છે,આજે મેં શાલીગ્રામનો ઉદ્ધાર કરી રહ્યો છું.
રાત્રે બ્રાહ્મણને સ્વપ્નમાં આવીને શ્રીહરિ પરમાત્મા કહે છે કે તમે મને જ્યાંથી લાવ્યા છો ત્યાં મને પાછો મૂકી આવો,મારા પરમ ભક્ત સદનાની ભક્તિમાં જે ભાવ છે તે તમારા આડંબરમાં નથી.બ્રાહ્મણે કહ્યું કે પ્રભુ ! સદનો કસાઇ તો પાપકર્મ કરે છે,આપનો ઉપયોગ માંસ તોલવામાં કરે છે.માંસની દુકાન જેવું અપવિત્ર સ્થાન આપના માટે યોગ્ય નથી.ભગવાને કહ્યું કે ભક્તિમાં તરબોડ થઇને સદનો મને ત્રાજવામાં મૂકીને માંસ તોલે છે તો મને લાગે છે કે મને ઝુલામાં ઝુલાવી રહ્યો છે.માંસ ખરીદવા આવતા લોકોને પણ તે મારૂં નામ સુમિરણ કરાવે છે,મારૂં ભજન કરે છે.જે આનંદ મને ત્યાં મળે છે તે અહી મળતો નથી એટલે તમે મને પરત સદનાને ત્યાં પહોંચાડી દો.બીજા દિવસે સવારે બ્રાહ્મણ શાલીગ્રામ ભગવાનને સદના કસાઇને પાછા આપી આવે છે અને સદનાને કહે છે કે ભગવાનને તમારી સંગતિ વધુ સારી લાગે છે, શાલીગ્રામ ભગવાન તમારી પાસે જ રહેવા માંગે છે.આ શાલીગ્રામ ભગવાનનું સ્વરૂપ છે,બની શકે તો તેમનો ઉપયોગ માંસ તોલવાના કાટલા તરીકે ના કરો તો સારૂં.સદનાએ આ વાત સાંભળીને અજાણતાં થયેલા અપરાધને યાદ કરીને દુઃખી થાય છે.સદનાએ પ્રાયશ્ચિત કરવાનો નિશ્ચય કર્યો અને ભગવાન જગન્નાથનાં દર્શન કરવા નીકળી પડે છે.સદનો ભગવાનના દર્શન માટે જતા એક પ્રવાસીઓના સમુહમાં જોડાઇ જાય છે અને જ્યારે લોકો તેમનો પરીચય પુછે છે ત્યારે સદનો કહે છે કે હું પહેલાં કસાઇનું કામ કરતો હતો,આ સાંભળીને લોકો સદનાથી દૂર રહેવા લાગ્યા.લોકો સદનાએ અડેલી ખાવા-પીવાની ચીજવસ્તુઓ તેઓ ખાતા-પીતા નથી. દુઃખી થઇને સદનાએ તે લોકોનો સાથ છોડી દીધો અને શાલીગ્રામની સાથે ભજન ગાતાં ગાતાં એકલા ચાલવા લાગ્યા.
ચાલતાં ચાલતાં સદનાને તરસ લાગે છે.રસ્તામાં એક ગામની ભાગોળે કૂવો દેખાય છે એટલે પાણી પીવા રોકાઇ જાય છે,ત્યાં એક સુંદર સ્ત્રી પાણી ભરી રહી હતી,તે સદનાના સુંદર મજબૂત શરીરને જોઇને આકર્ષિત થાય છે.તેને સદનાને પાણી પીવડાવ્યું અને કહ્યું કે સંન્ધ્યા થઇ ગઇ છે એટલે આજની રાત્રી આપ મારા ઘેર રોકાઇ જાવ.સદનાજી તેની કુટિલતા ના સમજી શક્યા અને તેઓ તે સ્ત્રીના અતિથિ બને છે. રાત્રીના સમયે તે સ્ત્રીમાં કામભાવ જાગે છે,પોતાના પતિના સૂઇ ગયા પછી સદના પાસે આવે છે અને તેમની સાથે પ્રેમાલાપની વાતો કરી અઘટિત માંગણી કરવા લાગી.સ્ત્રીની વાત સાંભળીને સદનાને નવાઇ લાગે છે અને કહે છે કે તમારા પતિ જીવિત છે,આપે પતિવ્રતા ધર્મનું પાલન કરવું જોઇએ.
સ્ત્રીને લાગ્યું કે મારા પતિ હાજર હોવાથી સદનાને મારામાં રૂચિ નથી તેથી તે ઉભી થઇને ચાલી જાય છે અને હાથમાં તલવાર લઇ સદના ભક્ત કંઇ વિચારે તે પહેલાં તેમની હાજરીમાં પોતાના સૂતેલા પતિનું ગળું કાપી નાખે છે.સદનો ઘણો જ ભયભીત થઇ જાય છે,કામાંધ વ્યક્તિ ગમે તે કરી શકે છે.સ્ત્રી કહે છે કે મારા પતિને તો મેં મારી નાખ્યો છે હવે તમે મને તમારી પત્ની બનાવી લો ત્યારે સદનો કહે છે કે હે માતા ! હું તમારી વિનંતી સ્વીકારી શકતો નથી,મને માફ કરો એટલે સ્ત્રી સમજી ગઇ કે વાત બગડી ગઇ છે એટલે કામ અને ક્રોધના આવેશમાં આવી તેને રડવાનું અને બૂમો પાડવાનું ચાલુ કર્યું,આ સાંભળીને આસપાસના પડોશિયો દોડી આવે છે ત્યારે તે સ્ત્રી કહે છે કે આ પ્રવાસીને સાધુ સમજીને મેં રાત્રી રોકાણ કરવા મારા ઘરમાં આશરો આપ્યો તો ચોરી કરવાના ભાવથી તેમણે મારા પતિની હત્યા કરી નાખી છે અને તે મારી આબરૂં લેવા માંગતો હતો.તમાશાને તેડું ના હોય તેમ બધા લોકો ભેગા થઇ સદના ભક્તને મારવા લાગ્યા.સદનો કંઇપણ બોલ્યા વિના બધું ચુપચાપ સહન કરે છે.
બીજા દિવસે મામલો રાજ દરબારમાં જાય છે.સદનાને પકડીને ન્યાયાધિશ સમક્ષ રજૂ કરવામાં આવે છે.ન્યાયાધીશે સદનાને જોઇને પારખી ગયા કે આ હત્યારો ના હોઇ શકે.તેમને વારંવાર સદનાની પુછપરછ કરી.સદનાને લાગતું હતું કે જો તરસ છીપાવવા આ ગામમાં ના રોકાતો તો હત્યા ના થતી,આમ વિચારી તે પોતેપોતાને દોષી માનતા હતા તેથી એક શબ્દ પણ બોલ્યા મૌન રહે છે.ન્યાયાધીશે કહ્યું કે આ માણસ અપરાધી હોય તેમ લાગતું નથી પરંતુ તે કંઇપણ બોલતો નથી તેથી ચુપ રહીને અપરાધની મૌન સ્વીકૃતિ આપી રહ્યા છે તેથી શું તેને દંડ આપવો જોઇએ..? જો તે પોતાના બચાવમાં દલીલો ના કરે તો દંડ આપવો અનિવાર્ય છે અને જો તેને દંડ આપવામાં નહી આવે તો પ્રજામાં ખોટો સંદેશ જશે કે અપરાધી ને દંડ આપવામાં આવ્યો નથી તેથી સદના સાધુ હોવાથી તેને મૃત્યુદંડ ના આપતાં તેના બે હાથ કાપી નાખવાનો હુકમ કરવામાં આવે છે.
સદનાના બંન્ને હાથ કાપી નાખવામાં આવે છે,સદનાએ પૂર્વજન્મનું કર્મ માનીને ચુપચાપ દંડનો સ્વીકાર કર્યો અને શ્રી હરિ પરમાત્માને યાદ કરતા કરતા જગન્નાથપુરી ધામની આગળની યાત્રા શરૂ કરી. જગન્નાથપુરી ધામની નજીક પહોંચ્યા તો ભગવાને પૂજારીને સ્વપ્નમાં આવીને કહ્યું કે મારો પ્રિયભક્ત સદના કસાઇ આવે છે તેના બે હાથ કપાઇ ગયા છે,તેમને પાલખીમાં બેસાડી સન્માન સહિત સ્વાગત કરો. પ્રભુ આજ્ઞાથી પૂજારીએ વાજતે-ગાજતે સદનાનું સ્વાગત કર્યું.સદનાએ આ સન્માનનો સ્વીકાર ના કર્યો. શ્રીહરિ પરમાત્માની આગળ જઇ સદનાએ પોતાના બે ઠુંઠા હાથ ઉંચા કરી કિર્તન ગાય છે અને કહે છે કે મારી ઇચ્છા આપને પ્રણામ કરવાની હતી પણ મારા હાથ નથી,તેવા જ તેમના બે હાથ હતા તેવા સાજા થઇ જાય છે તે સમયે શ્રીહરિ પરમાત્માએ સ્વયં તેમને દર્શન આપ્યાં અને સદના ને તેના પૂર્વજન્મની વાત સંભળાવી કે ભગવાનના દરબારમાં કોઇ નિર્દોષને સજા થતી નથી,તમે ગયા જન્મમાં બ્રાહ્મણ હતા,તમે ઇશારાથી એક કસાઇને ગાય કંઇ તરફ ગઇ છે તે બતાવ્યું હતું.તમારા કારણે જે ગાયનો જીવ ગયો હતો તે જ સ્ત્રી બની છે અને તેના ખોટા આરોપોના કારણે તમારો એક હાથ કાપવાનો દંડ મળ્યો છે.તે સ્ત્રીનો પતિ પૂર્વજન્મમાં કસાઇ હતો જેને ગાયનો વધ કર્યો હતો તેનો વધ કરીને પત્નીરૂપમાં આવેલ ગાયે બદલો લીધો છે.ભગવાન જગન્નાથે કહ્યું કે તમામને શુભ અને અશુભ કર્મોનું ફળ હું આપું છું.હવે તમે નિષ્પાપ બની ગયા છો.ઘૃણિત આજીવિકા હોવા છતાં તમે ધર્મનો સાથ છોડ્યો નથી એટલે તમારા પ્રેમનો હું સ્વીકાર કરૂં છું.હું તમારી સાથે માંસ તોલવાના તરાજૂમાં પણ પ્રસન્ન હતો. ભગવાનના દર્શન પછી સદના ભક્તએ પોતાનું સમગ્ર જીવ સેવા,સુમિરણ,સત્સંગમાં વ્યતિત કર્યું અને મૃત્યુ પછી તેમને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
સદના કસાઇની કથા અમોને બોધપાઠ આપે છે કે ભક્તિમાં આડંબર નહી,ભાવનાનું જ મહત્વ છે માટે હરહંમેશાં ભગવાનના ગુણગાન કરતા રહેવાનું છે,સાચી ભક્તિ હોય તો ભગવાન કોઈપણ સ્વરૂપે આવી શકે છે,વ્યવસાય કે જાતિ ભક્તિમાં બાધક બનતા નથી.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)

