New Delhi, તા. 6
આજકાલ દેશનાં રાજકીય અને આર્થિક ક્ષેત્રે ઈથેનોલ નીતિ અંગે જોરશોરથી ચર્ચાઓ ચાલી રહી છે. સરકાર અને નીતિ ઘડનારા દાવા કરી રહ્યાં છે કે ઈથેનોલ નીતિને કારણે દેશનો ખેડૂત હવે માત્ર પેટ ભરનારો `અન્નદાતા’ નથી રહ્યો, પરંતુ વાહનોમાં બળતણ પૂરનારો `ઊર્જાદાતા’ બની ગયો છે.
આ નીતિથી ખેડૂતોની આવક બમણી થશે તેવો પ્રચાર કરવામાં આવી રહ્યો છે, પરંતુ કેન્દ્રીય કૃષિ મંત્રાલયની ફાઈલો અને `એગમાર્કનેટ’ના સત્તાવાર આંકડા એક સાવ જુદું જ અને ચિંતાજનક ચિત્ર રજૂ કરે છે.
ઈથેનોલ નીતિનો સૌથી મોટો પ્રચાર મકાઈના પાકને લઈને કરવામાં આવ્યો હતો. ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં કે દેશમાં ઈથેનોલ ઉત્પાદન માટે મકાઈની ભારે જરૂરિયાત છે, તેથી ખેડૂતો મકાઈનું વાવેતર કરે તો તેમને જોઈએ તેટલા ભાવ મળશે. સરકાર પર ભરોસો રાખીને ખેડૂતોએ મકાઈનું સારું એવું ઉત્પાદન તો કરી દીધું, પરંતુ જ્યારે પાક બજારમાં પહોંચ્યો ત્યારે ખેડૂતોને કડવો અનુભવ થયો.
કૃષિ મંત્રાલયના અહેવાલ મુજબ, માર્ચ 2025 થી ઓગસ્ટ 2026 સુધીના 18 મહિનાનાં ગાળામાં એક પણ મહિનો એવો નથી રહ્યો જ્યારે માર્કેટમાંમકાઈનો સરેરાશ ભાવ ટેકાના ભાવ (ખજઙ) સુધી પહોંચી શક્યો હોય. માર્ચ 2025માં જ્યારે મકાઈનો ખજઙ રૂ. 2,225 પ્રતિ ક્વિન્ટલ હતો, ત્યારે માર્કેટમાં સરેરાશ રૂ. 2,176 જ મળ્યાં હતાં.
નવેમ્બર 2025માં જ્યારે ખજઙ વધીને રૂ. 2,400 થયો, ત્યારે બજારમાં ભાવ ઘટીને માત્ર રૂ. 1,634.74 થઈ ગયા હતા, એટલે કે ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ રૂ. 765નું સીધું નુકસાન વેઠવું પડ્યું હતું. હાલ ઓગસ્ટ 2026માં પણ મકાઈ નક્કી કરેલા સરકારી ભાવથી આશરે રૂ. 391 ઓછા ભાવે વેચાઈ રહી છે.
દેશમાં ઈથેનોલની આટલી માંગ હોવા છતાં મકાઈના ભાવ ગગડવાનું મુખ્ય કારણ સરકારની નીતિઓ છે. ઈથેનોલ બનાવતી કંપનીઓનો ઉત્પાદન ખર્ચ ઘટાડવા માટે સરકારે ભારતીય ખાદ્ય નિગમ (FCI)ના ગોડાઉનોમાંથી રૂ. 23.20 પ્રતિ કિલોના અત્યંત સસ્તા દરે ચોખા ઉપલબ્ધ કરાવ્યાં હતાં, જે ડાંગરના MSP (રૂ. 24.41) કરતાં પણ ઓછો હતો. જ્યારે ડિસ્ટિલરીઝને બેઠા-બેઠા સરકાર પાસેથી સસ્તો ચોખા મળવા લાગ્યા, ત્યારે તેમણે માર્કેટમાંથી ખેડૂતોની મકાઈ ખરીદવાનું જ બંધ કરી દીધું.
વધુમાં, ઉદ્યોગપતિઓના દબાણમાં આવીને બહારથી મકાઈની આયાતમાં પણ છૂટ આપવામાં આવી, જેના કારણે મકાઈ પકવતો ખેડૂત પાયમાલ થયો. માત્ર મકાઈ જ નહીં, પરંતુ દેશનો શેરડી પકવતો ખેડૂત પણ આ ઈથેનોલ ક્રાંતિમાં અન્યાયનો ભોગ બન્યો છે.
એક તરફ ખાંડ મિલો શેરડીના રસમાંથી મોટા પાયે ઈથેનોલ બનાવીને ઓઈલ કંપનીઓને વેચીને મોટો નફો કમાઈ રહી છે, તો બીજી તરફ આ મોટી કમાણીમાં ખેડૂતોનો હિસ્સો શૂન્ય છે. શેરડીના ભાવ નક્કી કરવાનાં વર્તમાન સરકારી ફોમ્ર્યુલામાં ઈથેનોલથી થતી કમાણીને ઉમેરવામાં જ નથી આવી.
આજે પણ મિલો શેરડીમાંથી ખાંડ બનાવે કે સીધું ઈથેનોલ, ખેડૂતને ચૂકવણી માત્ર શેરડીના વજન અને જૂના `સુગર રિકવરી’ના આધારે જ મળે છે. આ જ કારણસર શેરડી પકવતાં ખેડૂતો હવે સરકાર અને મિલ માલિકો પાસે ‘ઈથેનોલ પ્રીમિયમ’ અથવા વધારાનાં બોનસની માંગ કરી રહ્યાં છે.
સરકારનો તર્ક છે કે ઈથેનોલના કારણે મિલો પાસે રોકડ આવે છે જેથી ખેડૂતોને સમયસર ચૂકવણી થઈ જાય છે, પરંતુ ખેડૂતોનું કહેવું છે કે સમયસર નાણાં મળવા એ તેમનો કાનૂની અધિકાર છે, કોઈ એહસાન નથી.
આ નીતિગત વ્યવસ્થામાં સૌથી મોટો વિરોધાભાસ એ છે કે ઈથેનોલ બનાવતી ડિસ્ટિલરીઝને ઓઈલ કંપનીઓ તરફથી `પ્રાઈસ પ્રોટેક્શન’ એટલે કે નિશ્ચિત અને ગેરંટીયુક્ત નફાનું કાનૂની કવચ મળેલું છે. સરકારે તેમનાં ભાવ એવી રીતે નક્કી કર્યા છે.
જેથી આ કંપનીઓ કોઈ પણ સંજોગોમાં ખોટમાં ન જાય. પરંતુ સવાલ એ ઊભો થાય છે કે આ ફેક્ટરીઓને કાચો માલ આપનારાં ખેડૂતોના પાકની ખરીદી માટે કેમ કોઈ કાનૂની ગેરંટી આપવામાં આવતી નથી?
જો આ ઈથેનોલ નીતિ ખરેખર ખેડૂત-કેન્દ્રિત હોય, તો સરકારે `પ્રોફિટ શેરિંગ મોડેલ’ (નફામાં ભાગીદારી) કેમ લાગું ન કર્યું? ઓઈલ કંપનીઓ પાસેથી મળતાં પ્રતિ લીટર ઈથેનોલના ભાવમાંથી એક નિશ્ચિત રકમ સીધી પાક ઉગાડનારા ખેડૂતનાં બેંક ખાતામાં કેમ જમા નથી કરવામાં આવતી? અત્યાર સુધી એવી કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી, જેનાથી સ્પષ્ટ થાય છે કે રિસ્ક પૂરેપૂરું ખેડૂતનું છે અને રિટર્ન પૂરેપૂરું ઈથેનોલ કંપનીઓનું છે.
કેન્દ્રીય કૃષિ મંત્રાલયનાં આંકડા દર્શાવે છે કે ભારતની ઈથેનોલ નીતિ હાલમાં પૂરેપૂરી ઉદ્યોગ-કેન્દ્રિત બનીને રહી ગઈ છે. જ્યાં સુધી સરકાર માર્કેટમાં મકાઈના પૂરેપૂરા પાકની ટેકાના ભાવે (MSP) ખરીદીની કાનૂની ગેરંટી ન આપે અને શેરડીના ભાવ નક્કી કરવામાં ઈથેનોલથી થતી આવકમાંથી ખેડૂતોને બોનસ ન આપે, ત્યાં સુધી `અન્નદાતામાંથી ઊર્જાદાતા’નો આ નારો માત્ર કંપનીઓનાં પ્રચારનું સાધન જ બની રહેશે.

