સાર્વજનિક વિતરણ વ્યવસ્થામાં CBDC ટેકનોલોજીનો ઉપયોગ: પારદર્શિતા અને નાણાકીય સુરક્ષાનું નવું મોડેલ
ટેકનોલોજીથી બાયોમેટ્રિક ખામીઓ અને લાંબી લાઈનોની સમસ્યાનો કાયમી અંત
છેવાડાના માનવી સુધી પહોંચ: સ્માર્ટફોન અને સાદા કીપેડ ફોન ધારકો માટે સુગમ ડિજિટલ વ્યવસ્થા
વિશેષ અહેવાલ:- ભાવિકા લીંબાસીયા
માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર:
ગુજરાત હંમેશાં દેશભરમાં ટેકનોલોજી અને નવતર પ્રયોગોના અમલીકરણમાં અગ્રેસર રહ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ડિજિટલ ઈન્ડિયાના સપનાને સાકાર કરવા માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકારે વધુ એક ઐતિહાસિક અને પ્રજાલક્ષી કદમ ઉઠાવ્યું છે. રાજ્યના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ દ્વારા રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (NFSA) હેઠળ આવતા કરોડો ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC) એટલે કે ઈ-રૂપિયા (e-Rupee)ના માધ્યમથી અનાજ વિતરણ કરવાની અત્યાધુનિક વ્યવસ્થાનો આરંભ કરવામાં આવ્યો છે. આ નવી ડિજિટલ પ્રણાલી સાર્વજનિક વિતરણ વ્યવસ્થામાં પારદર્શિતા અને ઝડપ લાવવામાં સીમાચિહ્નરૂપ સાબિત થશે.
પુરવઠા વિતરણ પ્રણાલીમાં શું છે CBDC (ઈ-રૂપિયો) અને તેનું મહત્વ?
સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC) એ ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા બહાર પાડવામાં આવેલું ભારતનું સત્તાવાર ડિજિટલ નાણું છે. પુરવઠા વિભાગમાં આ ટેકનોલોજીનો ઉપયોગ એક વિશિષ્ટ ‘ડિજિટલ કુપન‘ તરીકે કરવામાં આવી રહ્યો છે. આ પ્રણાલી હેઠળ, બ્લોકચેઈન અને આધુનિક સાયબર સુરક્ષા કવચ આધારિત નેટવર્ક દ્વારા લાભાર્થીના ડિજિટલ વોલેટમાં રેશનિંગના જથ્થા મુજબનું સ્માર્ટ કુપન સીધું જમા થાય છે. આ પ્રક્રિયાથી વચેટિયાઓની ભૂમિકા નાબૂદ થાય છે અને સરકારી સબસિડીનો દરેક રૂપિયો તેના અસલી હકદાર સુધી કોઈપણ પ્રકારની ગેરરીતિ વિના પહોંચે છે.
ટેકનોલોજીથી બાયોમેટ્રિક ખામીઓ અને લાંબી લાઈનોની સમસ્યાનો કાયમી અંત
અત્યાર સુધી રાજ્યભરમાં રેશનકાર્ડ ધારકોને અનાજ મેળવવા માટે વાજબી ભાવની દુકાનો પર જઈને બાયોમેટ્રિક પદ્ધતિ એટલે કે અંગૂઠાનું નિશાન આપવું પડતું હતું. ઘણી વખત નેટવર્કની ખામી, સર્વર ડાઉન હોવાને કારણે અથવા શારીરિક શ્રમ કરતા શ્રમિકો અને વડીલોના અંગૂઠાના નિશાન મેચ ન થવાને કારણે ગરીબ લાભાર્થીઓને કલાકો સુધી લાઈનોમાં ઊભા રહેવું પડતું હતું અથવા અનાજ મેળવ્યા વગર પરત ફરવું પડતું હતું. પ્રજાની આ વ્યાપક સમસ્યાને કાયમી ધોરણે ઉકેલવા માટે સરકારે ઈ-રૂપિયા કુપન આધારિત ડિજિટલ ક્રાંતિ અમલમાં મૂકી છે. હવે લાભાર્થીઓ માત્ર ક્યૂઆર કોડ સ્કેન કરીને કે વન ટાઈમ પાસવર્ડના માધ્યમથી ક્ષણભરમાં પોતાનું અનાજ મેળવી શકશે.
નવી વ્યવસ્થાના મુખ્ય ફાયદાઓ:
લાઈનોમાંથી મુક્તિ: બાયોમેટ્રિક મશીનમાં સર્વરની સમસ્યાને કારણે ઊભી થતી લાંબી લાઈનો અને કલાકોની રાહ જોવામાંથી કાયમી મુક્તિ મળશે.
સંપૂર્ણ પારદર્શિતા: રેશન દુકાનદાર પાસે ઉપલબ્ધ જથ્થાના આધારે જ કમ્પ્યુટર સંચાલિત ડિજિટલ વોલેટમાં કુપન જનરેટ થશે, જેનાથી ગેરરીતિની કોઈ શક્યતા રહેશે નહીં.
ડિજિટલ પુરાવા: અનાજ વિતરણની સાથે જ નાગરિકોને ડિજિટલ રિસિપ્ટ મળી જશે, જે વ્યવહારની ચોકસાઈની પુષ્ટિ કરે છે.
વિકલાંગ અને વૃદ્ધો માટે આશીર્વાદરૂપ: જે વડીલો કે દિવ્યાંગોના અંગૂઠાના નિશાન બાયોમેટ્રિક સિસ્ટમમાં આવતા નહોતા, તેઓ હવે ઓટીપી દ્વારા સરળતાથી અનાજ મેળવી શકશે.
છેવાડાના માનવી સુધી પહોંચ: સ્માર્ટફોન અને સાદા કીપેડ ફોન ધારકો માટે સુગમ ડિજિટલ વ્યવસ્થા
આ નૂતન સેવા અંતર્ગત અનાજનો લાભ મેળવવાની પદ્ધતિ ખૂબ જ સરળ છે, જે નાગરિકો પાસે રહેલા મોબાઈલના પ્રકાર પર આધાર રાખે છે:
સ્માર્ટફોન (Android) ધરાવતા નાગરિકો માટે:
૧) સૌપ્રથમ તમારો સક્રિય મોબાઈલ નંબર તમારા આધાર કાર્ડ અને રેશનકાર્ડ સાથે લિંક હોવો જરૂરી છે.
૨) ગૂગલ પ્લે સ્ટોર પરથી PNB Digital Rupee એપ અને My Ration App ડાઉનલોડ કરો.
૩) એપ ઓપન કરી નિયમો અને શરતોનો સ્વીકાર કરો. આધાર સાથે લિંક થયેલું સિમ કાર્ડ સિલેક્ટ કરો જેથી ઓટોમેટિક વેરિફિકેશન થાય.
૪) તમારા ફોનની સુરક્ષા માટે બાયોમેટ્રિક અથવા ફોન લૉક સેટ કરો અને ત્યારબાદ વોલેટ ટ્રાન્ઝેક્શન માટે ૬ આંકડાનો પિન સેટ કરો.
૫) My Ration App દ્વારા તમારું ઈ-કેવાયસી વેરિફિકેશન પૂર્ણ કરો.
૬) આ પ્રક્રિયા પૂરી થતાં જ રેશન દુકાનદાર પાસેના જથ્થા મુજબનું રેશન કુપન તમારા ડિજિટલ વોલેટમાં જમા થશે. રેશન દુકાને જઈને માત્ર ક્યૂઆર કોડ સ્કેન કરતાં જ અનાજ મળી જશે.
સાદો કીપેડ વાળો ફોન ધરાવતા નાગરિકો માટે:
૧) લાભાર્થીએ રેશન મેળવવા માટે વાજબી ભાવની દુકાને જઈ પોતાનો રેશનકાર્ડ-આધાર સાથે લિંક થયેલો મોબાઈલ નંબર દુકાનદારને આપવાનો રહેશે.
૨) દુકાનદાર પોતાના ઓનલાઈન પોર્ટલમાં એન્ટ્રી કરશે, એટલે લાભાર્થીના સાદા ફોન પર એસએમએસ દ્વારા ૧૬ આંકડાનો વેરિફિકેશન કોડ (OTP) આવશે.
૩) લાભાર્થીએ આ કોડ દુકાનદારને જણાવવાનો રહેશે. કોડ મેચ થતાં જ વેરિફિકેશન સફળ થઈ જશે અને અનાજનો જથ્થો તુરંત મળી જશે.
સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC) ઈ-રૂપિયાનો રેશનિંગ વિતરણ વ્યવસ્થામાં વિનિયોગ કરનાર અને અત્યાધુનિક સાયબર સુરક્ષા કવચ પૂરું પાડનાર ગુજરાત આજે દેશનું રોલ મોડેલ રાજ્ય બન્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ લેવાયેલા આ પ્રગતિશીલ નિર્ણયો ભ્રષ્ટાચાર મુક્ત, પારદર્શક અને ટેકનોલોજીયુક્ત સુશાસનની પ્રતીતિ કરાવે છે. ટેકનોલોજીના સથવારે છેવાડાના માનવી સુધી સુવિધાઓ તેમજ સુરક્ષા પહોંચાડવી એ જ ગુજરાત સરકારનો મક્કમ સંકલ્પ છે. ત્યારે રાજ્યના તમામ એન.એફ.એસ.એ. (NFSA) કાર્ડધારકોને આ આધુનિક ડિજિટલ વ્યવસ્થાઓ અપનાવીને નવા ભારતના ડિજિટલ અભિયાનમાં સક્રિય ભાગીદાર બની યોગદાન આપવું અનિવાર્ય છે.
૧૫ દિવસ સ્વતંત્રતા પર્વ વિશેષ : સ્વતંત્રતાના વિસ્મૃત રત્નો – ૩
કલમના બળે રાજાશાહી અને બ્રિટિશ હકુમત સામે ઝીંક ઝીલનાર ‘સૌરાષ્ટ્રના સિંહ‘: સ્વાતંત્ર્ય સેનાની અમૃતલાલ દલપતરામ શેઠ
‘સૌરાષ્ટ્ર‘ સાપ્તાહિકથી લઈને ‘જન્મભૂમિ‘ સુધી: સત્ય અને પ્રજાના અધિકારો માટે નિર્ભય પત્રકારિતાનો ઝંડો બુલંદ કર્યો
બારડોલી અને ધોલેરા સત્યાગ્રહમાં સક્રિય યોગદાન: દેશી રાજ્યોની પ્રજાના અવાજને આંતરરાષ્ટ્રીય મંચ સુધી પહોંચાડ્યો
વિશેષ અહેવાલ:- ભાવિકા લીંબાસીયા
માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર:
ઈતિહાસના પાનાંઓમાં કેટલાક એવા વ્યક્તિત્વો હોય છે જેમણે હાથમાં હથિયાર નહીં, કલમ ઉપાડી ક્રાંતિ સર્જી હોય. તેમની કલમ અન્યાય સામે જનજાગૃતિનો જ્વાળામુખી પ્રગટાવતી હોય છે. ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના અમૃતલાલ દલપતરામ શેઠ એવા જ એક અદ્વિતીય વ્યક્તિત્વ ધરાવતા નિર્ભય પત્રકાર, પ્રખર રાષ્ટ્રવાદી, સમાજસેવક અને સ્વાતંત્ર્ય સેનાની હતા. તેમણે રાજાશાહી અને બ્રિટિશ શાસનની દમનકારી નીતિઓ સામે કલમને જ શસ્ત્ર બનાવ્યું અને આખું જીવન સત્ય, સ્વતંત્રતા અને પ્રજાના અધિકારો માટે સમર્પિત કર્યું. તેમની નિર્ભય પત્રકારિતા, અડગ રાષ્ટ્રપ્રેમ અને લોકહિત માટેના અવિરત પ્રયત્નોએ તેમને સમગ્ર સૌરાષ્ટ્રમાં “સૌરાષ્ટ્રનો સિંહ” તરીકે અમર બનાવી દીધા.ઈ.સ. ૧૮૯૧માં સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી નગરમાં જન્મેલા અમૃતલાલ શેઠ મહાત્મા ગાંધીજીના વિચારો અને આદર્શોથી ઊંડે સુધી પ્રભાવિત થયા હતા. તેમણે શરૂઆતમાં લીંબડી રાજ્યમાં ન્યાયાધીશ તરીકે સેવા આપી, પરંતુ પ્રજાની વ્યથા અને દેશી રાજાઓ તથા બ્રિટિશ શાસનની અત્યાચારપૂર્ણ નીતિઓને નજીકથી જોયા પછી તેમણે આ પ્રતિષ્ઠિત હોદ્દાનો ત્યાગ કર્યો. તેમના માટે સત્તા કરતાં સત્યનું મહત્વ વધારે હતું.
પ્રજાના દુઃખ-દર્દને વાચા આપવા માટે ઈ.સ. ૧૯૨૧માં તેમણે ‘સૌરાષ્ટ્ર‘ નામનું સાપ્તાહિક શરૂ કર્યું. આ અખબાર સમાચારના માધ્યમની સાથે સાથે દબાયેલા લોકોના હક્ક માટે લડતું પ્રજાનું મંચ બની ગયું. રાજાશાહી શાસકોના અત્યાચાર, ભ્રષ્ટાચાર અને પ્રજાના શોષણને તેમણે નિર્ભયતાથી ઉજાગર કર્યા. પરિણામે અનેક દેશી રાજ્યોમાં આ અખબાર પર પ્રતિબંધ મૂકાયો, પરંતુ લોકો તેને ગુપ્ત રીતે વાંચતા અને એકબીજામાં વહેંચતા રહ્યા. અમૃતલાલ શેઠની કલમ સામે સત્તાનું દમન પણ નિષ્ફળ ગયું અને તેઓ લોકચાહનાના શિખરે પહોંચ્યા.તેમની લોકસેવા પત્રકારિતા સુધી મર્યાદિત નહોતી. તેઓ ધંધુકા તાલુકા લોકલ બોર્ડ તથા અમદાવાદ જિલ્લા લોકલ બોર્ડના પ્રમુખ રહ્યા. ઈ.સ. ૧૯૨૭માં રચાયેલી અખિલ હિંદ રાજસ્થાન પ્રજા પરિષદના પ્રમુખ તરીકે તેમણે દેશી રાજ્યોમાં વસતી પ્રજાના હકો માટે રાષ્ટ્રીય સ્તરે સશક્ત નેતૃત્વ પૂરું પાડ્યું. તેઓ માનતા હતા કે ભારતનું સ્વાતંત્ર્ય ત્યારે જ પૂર્ણ ગણાશે, જ્યારે દેશી રાજ્યોની પ્રજાને પણ સમાન ન્યાય અને સ્વતંત્રતા મળશે.
દેશની સ્વતંત્રતા માટેના વિવિધ આંદોલનોમાં પણ તેમનું યોગદાન નોંધપાત્ર રહ્યું. ઈ.સ. ૧૯૨૭-૨૮ દરમિયાન તેમણે બારડોલી સત્યાગ્રહમાં સક્રિય ભાગ લીધો. ત્યારબાદ ધોલેરા મીઠા સત્યાગ્રહમાં પ્રથમ સત્યાગ્રહી ટુકડીના સરદાર તરીકે નેતૃત્વ કર્યું. ૬ એપ્રિલ, ૧૯૩૦ના રોજ મીઠાના કાયદાનો ભંગ કરવા બદલ તેમની ધરપકડ કરવામાં આવી અને તેમને અઢી વર્ષની સજાની સજા ફટકારવામાં આવી. જેલવાસ છતાં તેમનો સંકલ્પ વધુ મજબૂત બન્યો.અમૃતલાલ શેઠનું કાર્ય ભારતની સરહદો પૂરતું મર્યાદિત રહ્યું નહોતું. તેઓ અખિલ હિંદ રાજસ્થાન પ્રજા પરિષદના પ્રતિનિધિ તરીકે લંડનમાં યોજાયેલી ગોળમેજ પરિષદમાં હાજર રહ્યા અને દેશી રાજ્યોની પ્રજાના પ્રશ્નોને આંતરરાષ્ટ્રીય મંચ સુધી પહોંચાડ્યા. ત્યારબાદ તેમણે પૂર્વ આફ્રિકામાં ભારતીય કોંગ્રેસના અધિવેશનની અધ્યક્ષતા પણ કરી. ઈ.સ. ૧૯૩૨માં આફ્રિકાથી મુંબઈ પરત ફરતા જ બ્રિટિશ સરકારે તેમની ધરપકડ કરી અને બે વર્ષની કેદની સજા ફટકારી.
ઈ.સ. ૧૯૩૪માં મુંબઈથી શરૂ થયેલા ‘દૈનિક સન‘ અને ‘જન્મભૂમિ‘ જેવા અખબારો ભારતીય પત્રકારિતાના ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ બન્યા. તેઓ ‘લોકમાન્ય‘ના મુખ્ય સંપાદક પણ રહ્યા. તેમના સંપાદકીય લેખો રાષ્ટ્રવાદ, લોકજાગૃતિ અને સમાજસુધારણાનો પ્રબળ અવાજ બન્યાબીજા વિશ્વયુદ્ધ દરમિયાન જ્યારે નેતાજી સુભાષચંદ્ર બોઝે જાપાનમાં આઝાદ હિંદ ફોજનું સંગઠન ઊભું કર્યું, ત્યારે અમૃતલાલ શેઠ યુદ્ધ સંવાદદાતા તરીકે જાપાન પહોંચ્યા. ભારે જોખમ વચ્ચે તેમણે નેતાજીના મહત્વપૂર્ણ સંદેશાઓ અને લેખન સામગ્રીને ગુપ્ત રીતે ભારત પહોંચાડ્યા. આ સામગ્રીના આધારે તેમણે ‘જયહિંદ‘ પુસ્તક તૈયાર કર્યું, જેના દ્વારા લાખો ભારતીયો નેતાજીના સંઘર્ષ અને આઝાદ હિંદ ફોજની ગાથાથી પરિચિત બન્યા.
જૂનાગઢ મુક્તિ આંદોલન દરમિયાન આરઝી હકુમતની રચનામાં પણ તેમનું યોગદાન ઐતિહાસિક રહ્યું. વિવિધ આગેવાનો વચ્ચે સંકલન સાધીને તેમણે આ લડતને દિશા આપી. આરઝી હકુમતના વડા શામળદાસ ગાંધી રાજકોટ જવા નીકળ્યા ત્યારે તેમને તલવાર અર્પણ કરીને તેમણે સંઘર્ષના નવા અધ્યાયને પ્રેરણાદાયી વિદાય આપી. આ સમગ્ર અભિયાનમાં તેમણે તન, મન અને ધનથી સહયોગ આપ્યો.રાષ્ટ્રસેવાની સાથે સમાજસેવા પણ તેમના જીવનનું ધ્યેય હતી. તેમણે ‘સૌરાષ્ટ્ર સેવા સમિતિ‘ની સ્થાપના કરીને ગરીબો અને જરૂરિયાતમંદોની સેવા માટે અનેક યોજનાઓ હાથ ધરી. ભાલ પ્રદેશમાં પાણીની તંગી દૂર કરવા કૂવાઓ અને તળાવો ખોદાવ્યા, હોસ્પિટલો અને શાળાઓના નિર્માણમાં યોગદાન આપ્યું અને ગ્રામીણ વિકાસને નવી દિશા આપી.
અમૃતલાલ દલપતરામ શેઠનું સમગ્ર જીવન એક જ સંદેશ આપે છે—સત્ય માટે લડતી કલમ ક્યારેય પરાજિત થતી નથી. તેમણે પત્રકારિતાને વ્યવસાય નહીં, પરંતુ રાષ્ટ્રસેવાનું સાધન બનાવ્યું. સત્તા સામે સત્ય બોલવાની તેમની હિંમત, સ્વાતંત્ર્ય માટેનો અડગ સંકલ્પ અને સમાજ માટેની નિઃસ્વાર્થ સેવા આજે પણ પ્રેરણાનું અજવાળું બની રહી છે.૨૩ જુલાઈ, ૧૯૫૪ના રોજ મુંબઈમાં હૃદયરોગના હુમલાથી તેમનું અવસાન થયું. તેમ છતાં તેમની નિર્ભય કલમ, રાષ્ટ્રપ્રેમ, લોકસેવા અને જનહિત માટેનો અવિરત સંઘર્ષ આજે પણ પ્રેરણાનું અજવાળું બનીને જીવંત છે. સ્વતંત્રતાના અમૃતકાળમાં આવા વિસ્મૃત રાષ્ટ્રનાયકોને યાદ કરવા એ શ્રદ્ધાંજલિ આપવાની સાથે નવી પેઢીમાં દેશપ્રેમ, નિર્ભયતા અને લોકસેવાના સંસ્કારોનું સિંચન કરવાનો સંકલ્પ પણ છે. સ્વાતંત્ર્યનો ઇતિહાસ કલમથી લખનારા આવા મહાન વ્યક્તિત્વોથી પણ ઉજ્જવળ બન્યો છે.

