પશુરોગ સંશોધન એકમ અને પશુપાલન વિભાગની ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરી, તમામ બીમાર પશુઓની સારવાર શરૂ
(નયના દવે દ્વારા)
Jamnagar તા.25
જામનગર તાલુકાના જગા ગામમાં ફૂડ પોઈઝનિંગની ઘટનામાં મોટી સંખ્યામાં ઘેટાં અને બકરાંના મોત નીપજતાં માલધારી પરિવારમાં ચિંતા ફેલાઈ છે. ઘટનાની જાણ થતાં પશુરોગ સંશોધન એકમ-જામનગર અને પશુપાલન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી.
મળતી વિગતો મુજબ જગા ગામના નારણભાઈ લીંબાભાઈ ઠુંગાના ૨૧ ઘેટાં અને ૪ બકરાં મળી કુલ ૨૫ પશુઓના મોત થયા છે. જ્યારે મચ્છાભાઈ નારણભાઈ ઠુંગાના ૧૮ ઘેટાં અને ૩ બકરાં મળી કુલ ૨૧ પશુઓના મોત થયા છે. આમ બંને માલિકોના મળી કુલ ૪૬ પશુઓના મોત થયા હોવાનું સામે આવ્યું છે.
આ ઉપરાંત હાલમાં નારણભાઈના ૨ ઘેટાં તેમજ મચ્છાભાઈના ૪ ઘેટાં અને ૧ બકરું મળી કુલ ૭ પશુઓ બીમાર હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે. પશુરોગ સંશોધન એકમ-જામનગર તથા પશુપાલન વિભાગની ટીમે મૃત પશુઓનું પોસ્ટમોર્ટમ કરીને અને પશુઓની હિસ્ટ્રીના આધારે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પશુઓના મોત ફૂડ પોઈઝનિંગના કારણે થયા હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. વિભાગ દ્વારા બંને માલિકોના તમામ જીવિત પશુઓની સારવાર શરૂ કરવામાં આવી છે, તેમજ જરૂરી દવાઓ અને તકેદારીના પગલાં લેવામાં આવ્યા હોવાનું જામનગરના પશુચિકિત્સક ડો. તેજસ શુક્લ એ જણાવ્યું છે.

