ભાઠેના વિસ્તારમાં ગટરોમાંથી બહાર આવ્યું રસાયણયુક્ત પાણી, આરોગ્ય અને પર્યાવરણ સામે ઊભો થયો ગંભીર ખતરો
Surat,તા.૨૫
સુરત શહેરમાં એક તરફ સતત વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ રહી છે, ત્યારે બીજી તરફ ડાઈંગ મિલોમાંથી છોડવામાં આવતા રસાયણયુક્ત અને કલરવાળા દૂષિત પાણીનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. શહેરના ભાઠેના વિસ્તારમાં કેટલીક ડાઈંગ મિલો દ્વારા ગટરોમાં છોડવામાં આવતું દૂષિત પાણી વરસાદી પાણી સાથે ભળીને રસ્તાઓ પર ફરી વળતાં સ્થાનિક રહીશો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ ઘટનાને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, વરસાદને કારણે ગટર વ્યવસ્થા ઉપર વધેલા ભાર વચ્ચે કેટલીક ડાઈંગ મિલો દ્વારા કલરયુક્ત અને રસાયણમિશ્રિત પાણી સીધું જ ગટરોમાં છોડવામાં આવી રહ્યું છે. ગટરો ઉભરાઈ જતાં આ દૂષિત પાણી રહેણાંક વિસ્તારો અને મુખ્ય માર્ગો સુધી પહોંચી રહ્યું છે. જેના કારણે લોકોને રોજિંદી અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે અને દુર્ગંધના કારણે આસપાસનું વાતાવરણ પણ પ્રદૂષિત બન્યું છે.આ દૂષિત પાણીના સંપર્કમાં આવતા લોકોને ત્વચા સંબંધિત એલર્જી, ચાંદા, ખંજવાળ તેમજ શ્વાસની તકલીફ જેવી આરોગ્ય સમસ્યાઓ સર્જાવાની ભીતિ સ્થાનિકોએ વ્યક્ત કરી છે. ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને પહેલેથી જ શ્વાસની બીમારી ધરાવતા લોકો માટે આ પરિસ્થિતિ વધુ જોખમી બની શકે છે. સ્થાનિકોનું કહેવું છે કે ચોમાસાની ઋતુમાં આવી બેદરકારી ગંભીર રોગચાળો ફેલાવવાનું કારણ બની શકે છે.
રહીશોએ આક્ષેપ કર્યો છે કે વારંવાર ફરિયાદો કરવા છતાં જવાબદાર તંત્ર દ્વારા અસરકારક કાર્યવાહી કરવામાં આવતી નથી. સ્થાનિકોનું માનવું છે કે નિયમોના ભંગ છતાં જવાબદાર મિલો સામે કડક કાર્યવાહી ન થતાં આવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળી રહ્યું છે. લોકો દ્વારા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (ય્ઁઝ્રમ્) અને સુરત મહાનગરપાલિકાને નિયમિત તપાસ કરીને દૂષિત પાણી છોડતી મિલો સામે કડક દંડાત્મક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.પર્યાવરણના નિષ્ણાતોનું પણ માનવું છે કે ઔદ્યોગિક એકમોમાંથી નીકળતા રસાયણયુક્ત પાણીનો યોગ્ય શુદ્ધિકરણ કર્યા વિના તેનો નિકાલ કરવો પર્યાવરણ અને જાહેર આરોગ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે. સ્થાનિકોએ તંત્રને તાત્કાલિક તપાસ હાથ ધરી દોષિત એકમો સામે કડક પગલાં ભરવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા અસરકારક વ્યવસ્થા અમલમાં મૂકવાની માંગ કરી છે.

