Russia,તા.06
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધને ખતમ કરવાના તમામ પ્રયાસો પર ફરી એકવાર પાણી ફરી વળ્યું છે. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી સાથે આમને-સામને બેસીને વાતચીત કરવાની ઓફરને સ્પષ્ટપણે ઠુકરાવી દીધી છે. પુતિને સાફ શબ્દોમાં જણાવ્યું છે કે, હાલના તબક્કે બંને દેશોના ટોચના નેતાઓ વચ્ચે સીધી મુલાકાત કરવાનો કોઈ તર્ક કે મહત્ત્વ બનતું નથી.
વાસ્તવમાં, એક દિવસ પહેલા જ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ પુતિનને એક ઓપન લેટર લખ્યો હતો. આ પત્રમાં તેમણે યુદ્ધનો અંત લાવવા માટે આમને-સામને બેસીને મંત્રણા કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ઝેલેન્સ્કીએ લખ્યું હતું કે, હવે આ વિનાશક યુદ્ધમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધવાનો સમય આવી ગયો છે અને તેના માટે બંને નેતાઓએ સીધો સંવાદ કરવો જોઈએ.
યુક્રેનના આ પ્રસ્તાવને સેન્ટ પીટર્સબર્ગમાં યોજાયેલા રશિયાના મુખ્ય આર્થિક મંચ દરમિયાન પુતિને ફગાવી દીધો હતો. તેમણે જણાવ્યું કે, ઝેલેન્સ્કીનો આ પત્ર સંપૂર્ણપણે પ્રમાણિક અને ગંભીર લાગતો નથી. પુતિનના મતે પત્રમાં કેટલીક ટિપ્પણીઓ એવી હતી જેને તેઓ અસભ્ય અને અપમાનજનક માને છે.
પુતિને વધુમાં કહ્યું કે, ‘મને હાલમાં આવી કોઈ મુલાકાતનો અર્થ દેખાતો નથી. પહેલા એક્સપર્ટ લેવલ પર કામ થવું જોઈએ, કોઈ ચોક્કસ ઉકેલનો મુસદ્દો તૈયાર થવો જોઈએ અને ત્યારબાદ જ નેતાઓની બેઠક થઈ શકે.’ રશિયન પ્રમુખે એવો પણ દાવો કર્યો કે યુક્રેનનો રસ માત્ર રશિયન સેનાની આગળ વધી રહેલી ગતિને રોકવાનો જ છે. પરંતુ જ્યાં સુધી રશિયા પોતાના નક્કી કરેલા લક્ષ્યો હાંસલ નહીં કરી લે ત્યાં સુધી આ યુદ્ધ ચાલુ જ રહેશે.પુતિનના આ આકરા વલણ બાદ યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે એક વીડિયો સંદેશ જાહેર કરીને કહ્યું કે, રશિયાએ એકવાર ફરી શાંતિના બદલે યુદ્ધનો જ રસ્તો પસંદ કર્યો છે. ઝેલેન્સ્કીએ આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું, ‘દુર્ભાગ્યપૂર્ણ છે કે રશિયન પક્ષે ફરીથી જંગને જ પ્રાથમિકતા આપી છે. આ રશિયા તરફથી મળેલો એક નબળો જવાબ છે અને તેનાથી વિશ્વના અનેક લોકોને ભારે નિરાશા થશે.’
રશિયા-યુક્રેન યુદ્ધને શાંત કરવાના પ્રયાસો લાંબા સમયથી ઠપ પડ્યા છે. આ વિવાદનું સૌથી મોટું કારણ એ વિસ્તારો છે જેના પર રશિયન સેનાએ કબજો જમાવી રાખ્યો છે. રશિયા ઈચ્છે છે કે યુક્રેન આ વિસ્તારો પરથી પોતાનો દાવો કાયમ માટે છોડી દે, જ્યારે યુક્રેન પોતાની એક ઇંચ જમીન પણ આપવા તૈયાર નથી.
બીજી તરફ, વૈશ્વિક સ્તરે અમેરિકાનું ધ્યાન હવે ઈરાન સંઘર્ષ તરફ વધુ કેન્દ્રિત થઈ ગયું છે. આવા સમયે યુક્રેનને આશા હતી કે પુતિન સાથેના સીધા સંવાદથી કોઈ નવો વચગાળો રસ્તો નીકળી શકશે, પરંતુ પુતિનના તાજા નિવેદને હાલ પૂરતી એ તમામ આશાઓ પર ફરીથી પૂર્ણવિરામ મૂકી દીધું છે.

