New Delhi, તા.1
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચલણમાંથી બનાવટી નોટોને બહાર કાઢવા નોટબંધીમાં મહત્વપૂર્ણ રીતે સફળતા મેળવી હતી પરંતુ ત્યારબાદ જે નવી રૂા.2000 તથા રૂા.500ની ચલણી નોટો બહાર પાડવામાં આવી તેની પણ બનાવટી નોટો વિદેશમાં ખાસ કરીને પાકિસ્તાનમાં બનીને ભારતમાં ઘુસાડવાની મોટાપાયે પ્રવૃતિ શરૂ થઈ છે અને અનેક વખત સરહદી વિસ્તારોમાં બેંકોમાં આ પ્રકારે મોટાપાયે બનાવટી ચલણી નોટો જોવા મળે છે.
તેથી હવે રીઝર્વ બેંકે તમામ સરહદી જીલ્લાઓમાં આવેલી બેંક શાખાઓમાં બનાવટી ચલણી નોટોને પકડવા માટે ખાસ વ્યવસ્થા કરી છે. એટલુ જ નહીં નેપાળ સહિતની સરહદો કે જયાંથી મુકત રીતે આવાગમન થાય છે ત્યાં પણ ભારતમાં પ્રવેશતા લોકો પાસે ભારતીય ચલણો હશે તે ચેક પોસ્ટમાં ચકાસણી માટે આપવું પડશે.
આ માટે ખાસ પ્રકારના મશીનો રીઝર્વ બેંક દ્વારા બેંકો અને ચેકપોસ્ટને પુરા પાડવામાં આવશે. આરબીઆઈએ પોતાની તપાસમાં એ સ્વીકાર્યું છે કે બેંકો બનાવટી ચલણી નોટો ઝડપવા માટે પુરતી જાગૃત નથી અનેક વખત શહેરી વિસ્તારોની બેંકોમાં પણ બનાવટી ચલણી નોટો ઘુસી જાય છે અને તે ભરનાર ભાગ્યે જ ઝડપાય છે.
બેંક કર્મચારીઓને આ પ્રકારની ચલણી નોટો ઝડપવા માટે તાલીમ આપવામાં આવી હોય છે પરંતુ તેઓ પૂરતા જાગૃત હોતા નથી. આરબીઆઈના નવા નિયમ મુજબ સરહદી વિસ્તારમાં આવતા લોકોએ તેનું ચલણ આ પ્રકારે બેંકમાં ચકાસણી માટે આપવું પડશે અને જો તેમા બનાવટી નોટો હશે તો તે જપ્ત કરાશે.
તેના પર તપાસ પણ થશે. રીઝર્વ બેંકે આ અંગે સરહદી વિસ્તારમાં શાખાઓ ધરાવતી તમામ બેંકોને ખાસ પ્રકારના નોટ ચકાસણી મશીન આપવાનો પણ નિર્ણય લીધો છે અને તેના માટે બેંક કર્મચારીઓને તાલીમ પણ અપાશે.

