Mumbai,તા.20
છેલ્લા કેટલાક દિવસોથી ભારતીય ક્રિકેટના સુપરસ્ટાર વિરાટ કોહલી અને રોહિત શર્મા અને તેમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી હોવાના અહેવાલો સામે આવ્યા હતા. એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે, બંને ખેલાડીઓ ગંભીર સાથે બિલકુલ વાત કરી રહ્યા ન હતા. જો કે, હવે આ ત્રણેય ખેલાડીઓનો એક ફોટો સામે આવ્યો છે, જેનાથી બધા ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. લોર્ડ્સ વનડે પહેલા ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડમાં ભારતીય હાઈ કમિશનની મુલાકાત લીધી હતી, જ્યાં વિરાટ, રોહિત અને ગંભીર એકસાથે હસતા જોવા મળ્યા હતા.લંડન સ્થિત ભારતીય હાઈ કમિશનથી સામે આવેલા ફોટા જોઈને ભારતીય ક્રિકેટ ચાહકો ચોંકી ઉઠ્યા છે. છેલ્લા કેટલાક મહિનાઓથી ટીમ ઈન્ડિયામાં તણાવના અહેવાલો આવી રહ્યા હતા, મીડિયા આઉટલેટ્સે દાવો કર્યો હતો કે વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર એકબીજા સાથે વાતચીત નથી કરી રહ્યા. જોકે, રોહિત-વિરાટ અને ગંભીર વચ્ચે વિવાદની અટકળો દરમિયાન કેટલાક ફોટામાં રોહિત, વિરાટ અને ગંભીર ત્રણેય ખુલ્લેઆમ સાથે હસતા જોવા મળ્યા છે. આ તસવીર સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ લોકોએ ત્રણેય દિગ્ગજો વચ્ચેના ‘બ્રોમેન્સ’ વિશે વાત કરવાનું શરૂ કરી દીધું છે.વિરાટ-રોહિત અને ગૌતમ ગંભીર વચ્ચેનો વિવાદ ડ્રેસિંગ રૂમમાંથી બહાર આવતા અહેવાલોને કારણે થયો છે. બંને બેટ્સમેન 2027ના વર્લ્ડ કપમાં રમવાની ઇચ્છા ધરાવે છે, પરંતુ એવો દાવો કરવામાં આવે છે કે ગંભીર આના પક્ષમાં નથી. ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન અહેવાલો સામે આવ્યા હતા કે વિરાટ અને ગંભીર એકબીજા સાથે વાત પણ કરી રહ્યા ન હતા. બેટર કોચ સિતાંશુ કોટકને પણ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ અંગે સવાલો કરવામાં આવ્યા હતા. જેમાં તેમણે તમામ દાવાઓને ફગાવી દેતાં કહ્યું હતું કે, ‘આવી કોઈ સમસ્યા નથી અને બંને ખરેખર દિવસમાં દસ વખત એકબીજા સાથે વાત કરે છે.’16 જુલાઈના રોજ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી વનડે દરમિયાન એવા અહેવાલો બહાર આવ્યા કે, રોહિત શર્મા લોર્ડ્સમાં તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમવા માટે તૈયાર છે. અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે, પસંદગીકારોએ રોહિતને સ્પષ્ટ કરી દીધું હતું કે તે 2027ના વર્લ્ડ કપ માટેની તેમની યોજનાઓમાં સામેલ નથી. ‘હિટમેન’ આ વલણથી નાખુશ હોવાનું કહેવાય છે, તેથી અંતિમ નિર્ણય તેના પર છોડી દેવામાં આવ્યો હતો. જોકે, એક દિવસ પછી, બીસીસીઆઈ સચિવ દેવજીત સૈકિયાએ મીડિયાને જણાવ્યું હતું કે, ‘રોહિતના ભવિષ્ય અંગે કોઈ ચર્ચા થઈ નથી.’

