(મહેશ રાવલ દ્વારા)
Surendranagar,તા.૧૪ઃ
કંકુવરણી ભોમકામાં પ્રતિવર્ષ યોજાતા અને પાંચાળની લોકસંસ્કૃતિને ઉજાગર કરતા જગવિખ્યાત તરણેતરના લોકમેળાનો આજથી વિધિવત શુભારંભ થયો છે. નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રંજનબેન ભુસડિયા, ધારાસભ્ય શ્રી શામજીભાઈ ચૌહાણ, જિલ્લા કલેક્ટરશ્રી જી.એચ. સોલંકી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી કે.એસ. યાજ્ઞિક, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રેમસુખ ડેલુ સહિતના મહાનુભાવોએ ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવનું પૂજન-અર્ચન કરી લોકમેળાનો શુભારંભ કરાવ્યો હતો.
તરણેતર લોકમેળાને ખુલ્લો મૂક્યા બાદ મેળાનું મહત્વ સમજાવતા નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, તરણેતરનો મેળો આપણી ઐતિહાસિક સંસ્કૃતિ, ભક્તિ અને પરંપરાને જીવંત રાખતો મેળાવડો છે. આ ભવ્ય ભાતીગળ મેળાનો આનંદ માણવા માટે માત્ર ગુજરાત અને ભારતના અન્ય રાજ્યોમાંથી જ નહીં, પરંતુ દેશ-વિદેશના પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં પધારે છે. આ મેળાના માધ્યમથી સ્થાનિક કલાકારોની કળા અને કૌશલ્યને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે. મેળામાં ગ્રામીણ ઓલમ્પિક, લુપ્ત થતી પરંપરાગત રમતો, અલગ-અલગ વેશભૂષાની હરીફાઈઓ તેમજ ડાકલા, મંજીરા અને ડમરુ વાદકો જેવા પરંપરાગત કલાકારોની સ્પર્ધાઓ યોજાય છે. આ ઉપરાંત, શ્રેષ્ઠ ઓલાદના પશુઓની હરીફાઈ પણ યોજવામાં આવે છે.
વધુમાં કહ્યું હતું કે, પ્રવાસન, સાંસ્કૃતિક અને રમતગમત સહિતના વિભાગો દ્વારા મેળામાં સરકારશ્રીની યોજનાઓની માહિતી આપતા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. મેળામાં આવનાર તમામ શ્રદ્ધાળુઓ અને નાગરિકોની સુરક્ષા જળવાઈ રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પોલીસ વડાશ્રીની સમગ્ર ટીમ ખડેપગે ફરજ બજાવી રહી છે. તેમણે ઇન્દ્રદેવની કૃપાથી થયેલા વરસાદ બાદ મેળાનો ઉત્સાહપૂર્વક આનંદ માણવા અપીલ કરી હતી અને ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવના ચરણોમાં મેળો નિર્વિઘ્ને પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરી હતી.
આ અવસરે ધારાસભ્યશ્રી શામજીભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે, તરણેતરનો મેળો એ આપણી પ્રાચીન ભાતીગળ સંસ્કૃતિ, લોકગીતો, ભજનો અને વડવાઓની પરંપરાઓને ઉજાગર કરતું આસ્થાનું કેન્દ્ર છે. વર્ષો પહેલાં લોકો બળદગાડાં જોડીને પરિવાર સાથે મેળો માણવા આવતા અને જુદી જુદી રાસમંડળીઓ પોતાના રાસ રજૂ કરતી, જે ભાતીગળ વિરાસત આજે પણ અકબંધ જોવા મળે છે. દેશ-વિદેશ અને રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ આ લોકમેળાનો આનંદ માણવા ઉમટી પડે છે.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, તરણેતરના મેળા દરમિયાન ઋષિ પંચમીના દિવસોમાં વરસાદ વરસવાની લોકવાયકા અને શ્રદ્ધા જોડાયેલી છે, જે આ વર્ષે પણ સાર્થક સાબિત થઈ છે. ઈશ્વરે ખેડૂતો અને પશુઓની વ્હારે આવીને છેલ્લા બે દિવસથી સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસાવ્યો છે, જે મેળાના પ્રારંભ સાથે જ ભગવાનના આશીર્વાદરૂપ સાબિત થયો છે. ધારાસભ્યશ્રીએ મેળાના સફળ અને સુચારુ આયોજન બદલ જિલ્લા વહીવટી તંત્રની કામગીરીને બિરદાવી તમામ અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા.

