ફાલ્ગુની વસાવડા
હે ઈશ્વર.
આપનાં શ્રીચરણોમાં મારાં સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. ગુરુ પૂર્ણિમા જતાં હવે તો શ્રાવણ આવશે, એવી વાતો સૌ કરવાં લાગે. દરેક વાર, તિથિ, અને મહિનો અંતે તો ઈશ્વર અનુસંધાન માટે જ છે ! પરંતુ શ્રાવણ મહિનો દરેકનો પ્રિય છે, કારણ કે શ્રાવણમાં ભગવાન ભોળેનાથ શંકરની ભક્તિનો ખૂબ મહિમા છે! આપણે ચાતુર્માસનાં ચિંતનમાં જોયું હતું, કે આ સમય દરમિયાન ભગવાન વિષ્ણુ આરામ કરે છે, અને એટલે પંચ દેવનાં બાકીનાં ચાર તત્વોએ સૃષ્ટિનું સંચાલન કરવું, અને શ્રાવણમાં શંકરને સંચાલન સોંપાયું છે! માનવી ભગવાનનો ભોળો સ્વભાવ જાણે છે, અને એટલે જ વ્રત, ઉપવાસ અને ભજન, કીર્તન કરી, ભગવાનને રિઝવવા પ્રયત્ન કરે છે. આમ તો ઈશ્વરનું કોઈપણ સ્વરૂપ હોય, એનાં રુપ સ્વરૂપ સાથે સંસારીની માનસિકતા સાથે, ભાવનું આદાન પ્રદાન કરવું, એને ભક્તિ કહેવામાં આવે છે. ભક્તિ એ માત્રને માત્ર ભાવનાનો પ્રદેશ છે! પણ ઘણીવાર એવું થતું હોય છે, કે જે સંન્યાસી નથી પામી શકતાં એ ફળ ભક્તિથી પ્રાપ્ય બને છે, અને એ પણ રસ, રાગ, છોડ્યા વગર! નરસિંહ મહેતા આગળ પણ ભક્તની ઉપલબ્ધિ લાગે છે, અને એનું ભગવાન સાથે કેટલું તાદાત્મ્ય હતું, એ આપણે સૌ જાણીએ છીએ! તો ભક્તિનો અપરંપાર મહિમા ગાતા નરસિંહનાં ભૂતળ ભક્તિ પદારથ મોટો, એ પ્રસિદ્ધ પદનું શ્રાવણ પહેલાં ચિંતન કરી, શ્રાવણમાં ભાવભરી ભક્તિ કરીને શંકરને રિઝવીશું.
**નરસિંહ મહેતા**
ભૂતળ ભક્તિ પદારથ મોટું, બ્રહ્મલોકમાં નાહીં રે;
પુણ્ય કરી અમરાપુરી પામ્યાં, અંતે ચોરાસી માહી રે.(૧)
નરસિંહ અહીં ધર્મ, અર્થ, કામ, અને મોક્ષ, એ ચાર પુરુષાર્થ કે પદાર્થની અવગણના નથી કરતાં, પણ કહે છે કે ભક્તિએ ભૂતળનો આભૂષણ જેવો એકદમ કિંમતી પદાર્થ છે, એ બીજે ક્યાંય નથી! જો પુણ્ય કરીને સ્વર્ગ પ્રાપ્ત થયું, તો પુણ્ય સમાપ્ત થતાં વળી પાછાં લાખ ચોરાશીનાં ફેરા ફરવાં પડે છે!
હરિનાં જન તો મુક્તિ ન માંગે, માંગે જન્મોજનમ અવતાર રે;
નિત્ય સેવા નિત્ય કીર્તન ઓચ્છવ, નિરખવા નંદ કુમાર રે. (૨)
અને એટલે જ ભક્તો મુક્તિ નથી માંગતા, અને જન્મો જનમ મનુષ્ય જન્મ જ માંગે છે, કારણ કે એને ભગવાનની સેવા પૂજાને કિર્તનોમાં ખૂબ આનંદ આવે છે! અને સાથોસાથ નંદ કુમારનું મરક મરક હસતું મોઢું નિરખવા મળે છે, એ જીવનને ધન્ય બનાવી દે છે.
ભરત ખંડ ભુતળમાં જન્મી, જેણે ગોવિંદનાં ગુણ ગાયા રે;
ધન્ય ધન્ય એનાં માતપિતાને સફળ કરી એણે કાયા રે. (૩)
કવિ અહીં ભક્તિને ભૂતળમાં પણ ભરત ખંડ એટલે કે ભારતની અનામત કહે છે! એટલે અહીં જન્મ લેનાર ગોવિંદનાં ગુણ કદાચ અન્ય દેશ કરતાં સહજ હશે એવું!’ અને આ બધું એટલે શક્ય બન્યું, કારણ કે એનાં માતાપિતાએ એનામાં ભક્તિનાં સંસ્કાર રેડ્યાં છે! અને એથી એણે પોતાનો દેહ સફળ કર્યો.
ધન્ય વૃંદાવન ધન્ય એ લીલા, ધન્ય એ વ્રજની નાર રે;
અષ્ટ મહાસિદ્ધિ આંગણિયે રે ઉભી, મુક્તિ થઈ રહી દાસી રે. (૪)
ભારતમાં પણ વૃંદાવન ધન્ય છે! અને સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ જ્ન્મની લીલા ધન્ય છે, અને એથી વધુ ધન્ય તો વ્રજની નારી એટલે કે ગોપીઓ ધન્ય છે, જેણે આ લીલાને નજરે જોઈ છે. ગોપીઓની ભક્તિ પ્રેમ લક્ષણા હતી, અને ઘર સંસારથી પણ વધુ એમણે ક્રિષ્નને પ્રેમ કર્યો. એમણે ધાર્યું હોત તો અષ્ટ મહાસિદ્ધિ એના આંગણે રમતી હોત, અને મુક્તિ એની દાસી થઈને આગળ પાછળ ફરત, પણ એમણે મુક્તિ નહીં ભક્તિને મહત્વ આપ્યું.
એ રસનો સ્વાદ શંકર જાણે, કે જાણે શુકદેવ જોગી રે;
કંઈક જાણે વ્રજની વનિતા,ભણે નરસૈંયો ભોગી રે. (૫)
નરસિંહ કહે છે કે ભક્તિનાં આ રસનો સ્વાદ શંકર અને શુકદેવજી જેવા મોટા ગજાનાં જોગીઓ જાણે છે! અને થોડાં ઘણાં પ્રમાણમાં ગોકુળ અને વ્રજની વનિતા એટલે કે ગોપીઓ પણ જાણે છે! અને નરસિંહ ભોગી હોવા છતાં આવી ભક્તિનો મહિમા ગાય છે.
મૃત્યુલોકનાં માનવી માટે ઈશ્વરે ભક્તિનો સંદર્ભ અનામત રાખ્યો છે, અને આ વિકલ્પ દેવતાઓને પણ નથી મળતો, એ સમજાવતાં નરસિંહે આ રચનામાં ભક્તિનો અપરંપાર મહિમા ગાયો છે! અને નરસિંહની રચના છે, એટલે એ કેવળ શબ્દો નથી, એટલું તો સૌકોઈ સ્વીકારશે! આમ તો સાવ સીધાસાદા શબ્દોમાં બહુ મોટી વાત કહી દેવી એ નરસિંહની એક ખાસિયત છે! આખી રચનામાં એકમાત્ર પદારથ શબ્દનો પ્રયોગ કરીને એણે બહુ મોટી વાત કહી દીધી છે, અથવા તો આ રચનાનો જો કોઈ મૂળ શબ્દ હોય તો એ પદારથ છે! બાકીનાં શબ્દોનાં વિશ્લેષણની પછી જરૂર જ નથી રહેતી! આપણે સૌ ભૌતિક વિજ્ઞાન ભણ્યા ત્યારે પદાર્થ એટલે કે વસ્તુ, જેમાં ઘન, પ્રવાહી, અને વાયુ વિશે ભણ્યાં હતાં કે જેનું કોઈ ઠોસ અસ્તિત્વ હોય એને પદાર્થ કહેવાય! જ્યારે અહીં તો ભક્તિ કે જ્યાં કેવળ અને કેવળ ભાવના જ મહત્વની છે! ત્યાં પદાર્થ? કયો સંદર્ભ લીધો? સદગુરુ કૃપા કહે છે કે પદારથ એટલે જેને આપણે સ્પર્શી શકીએ, જોઈ શકીએ, એ તો છે જ પણ, જેની આપણે પ્રતિતિ કરી શકીએ એવો કોઈ ઠોસ આધાર! એટલે કે ભક્તિ એવું માધ્યમ છે, કે જેનાં થકી ભક્ત ભગવાનની પૂર્ણ પ્રતિતી અર્થાત્ પ્રત્યક્ષ મળ્યાં જેવી લાગણી અનુભવી શકે! નરસિંહ મહેતા ભક્તિને “પદાર્થ” એટલા માટે કહે છે કે ભક્તિ માત્ર પરંપરાગત માન્યતા નથી, પરંતુ એવી જીવંત અનુભૂતિ છે, જેમાં ભગવાન ભક્ત માટે પ્રત્યક્ષ સત્તા બની સતત હાજરી પૂરાવી જાય છે. ભક્તિ દ્વારા ભગવાનની પ્રતીતિ થાય છે; તેથી ભક્તિ અનૂભૂતિનો પ્રદેશ અર્થાત્ પદાર્થ છે, માત્ર વિચારવાનો વિષય નથી. ટૂંકમાં અહીં પદાર્થ એટલે અનુભવસિદ્ધ સત્ય, એવું ભક્તિનાં સંદર્ભમાં નરસિંહ એ આલેખ્યું હોય શકે! હવે નરસિંહનાં જીવન પરથી પદાર્થનો ભૌતિક અર્થ જોઇએ તો ત્યાં કોઈ ધન નથી, કોઈ સંપત્તિ નથી, અને ઘણીવાર તો મુઠી જુવારનાં પણ વાંધા હતાં! અને છતાં નથી એની માટેનો કોઈ પ્રયત્ન, કે નથી એની માટેનો મોહ! નરસિંહ માટે સતત હરિ સંકિર્તન સૌથી ઉપર રહેતું હતું! અને બાકી બધું એટલે કે દુનિયાદારી જ્યાં ગૌણ હોય ત્યાં ખરેખર ઈશ્વર હાજરી પૂરાવવા આવે! એ પણ કુંવરબાઈનું મામેરું અને એનાં પિતાનાં શ્રાદ્ધનાં પ્રસંગો પરથી જોઈ શકાય છે! અને ખરેખર અષ્ટ મહાસિદ્ધિ એને આંગણિયે રમતી હતી! પણ એને મન એનો કોઈ મોલ નહોતો! નરસિંહને એટલે જ ભક્ત શિરોમણી કહેવામાં આવે છે! એણે જીવન પર્યંત ભક્તિને નિભાવીને ભગવાનું સાનિધ્ય પ્રાપ્ત કર્યું! તો આ શ્રાવણમાં આપણે સૌ પણ ભક્તિ નામનાં પદાર્થની ગરિમા સમજી, અને ભાવનાનાં પ્રદેશમાં બીજો કોઈ સ્વાર્થનો ભાવ પ્રવેશે નહીં, એનું ધ્યાન રાખીને શંકરને ભજી શકીએ, એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી, હું મારાં શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવાં ચિંતન મનન સાથે, તો સૌને મારા આજનાં દિવસનાં સ્નેહ વંદન અને જય સીયારામ.
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

