Rajkot,તા.19
બાલભવનના ગેઇટ સામે જીઇબીના સબ સ્ટેશન પાસેથી પીસીબીએ દેશી બનાવટની પિસ્તોલ અને ૯ જીવતા કાર્ટિસ સાથે યાકીબ સિકંદર મામટી (ઉ.વ.૩૭, રહે. નહેરૂનગર મેઇન રોડ, રૈયા રોડ)ને ઝડપી લીધા બાદ રેસકોર્સ મેદાનમાંથી અરબાઝ ઉર્ફે ફીરોઝ અમીનભાઇ કાજી (ઉ.વ.૨૮, રહે. હાથીખાના મેઇન રોડ)ને પણ દેશી બનાવટની પિસ્તોલ અને બે જીવતા કાર્ટિસ સાથે ઝડપી લીધો હતો.
પીસીબીના સુત્રોએ જણાવ્યું કે, યાકીબને લાખાજીરાજ રોડ પર લેડીઝ વેરની દુકાન છે. એવું રટણ કરી રહ્યો છે કે, બાળપણના મિત્ર સાથે તેને તકરાર થતાં તે મિત્રએ કોઇ ડાયલોગ જેવું સ્ટેટસ મૂક્યું હતું. જેનાથી ગભરાઇ પિસ્તોલ ખરીદી હતી. આ જ રીતે અરબાઝને પણ લાખાજીરાજ રોડ પર લેડીઝ વેરની દુકાન છે. જોકે તેણે ક્યા કારણથી પિસ્તોલ રાખી હતી તે અંગે હાલ તપાસ ચાલું છે.
સાવરકુંડલામાં રહેતા અને ખૂનના ગુનામાં આજીવન કેદની સજા ભોગવતા અકીલ વલીભાઇ સૈયદે આ બંને હથિયારો સપ્લાય કર્યાનું ખુલતાં પીસીબીએ તેને વોન્ટેડ દર્શાવ્યો છે. અકીલ હાલ અમદાવાદની જેલમાં સજા ભોગવી રહ્યો છે. સાતેક માસ પહેલા પેરોલ પર છૂટયો ત્યારે યાકીબને પિસ્તોલ આપી ગયાની માહિતી પીસીબીને મળી છે.
તેની સાથે અરબાઝ પણ હોવાથી પીસીબીએ તેને વોન્ટેડ દર્શાવી શોધખોળ શરૂ કરતાં તે પણ પિસ્તોલ અને બે કાર્ટિસ સાથે ઝડપાઇ ગયો હતો. સપ્લાયર અકીલ વિરુદ્ધ સાવરકુંડલામાં મારામારી, મર્ડર અને પ્રિઝન એક્ટ સહિત ત્રણ ગુના નોંધાયેલા છે. જ્યારે આરોપી અરબાઝ વિરુદ્ધ રાજકોટમાં જુગારધારા સહિત બે ગુના નોંધાયેલા છે.

