New Delhi,તા.14
કેન્દ્રીય આરોગ્ય મંત્રી અને રાજ્યસભામાં સદનના નેતા જે.પી. નડ્ડાની તબિયત અચાનક લથડતાં તેમને દિલ્હીની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ (AIIMS) માં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, ગુરુવારે (13 ઓગસ્ટ) સાંજે તેમને અસ્વસ્થતા અને બેચેની અનુભવાઈ હતી, જે બાદ તેમને તાત્કાલિક એઈમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં તબીબો દ્વારા તેમની એન્જિયોગ્રાફી (નસોમાં લોહીના બ્લોકેજ તપાસવાની પ્રક્રિયા) કરવામાં આવી હતી.AIIMS દ્વારા જાહેર કરવામાં આવેલા મેડિકલ બુલેટિન અનુસાર, જે.પી. નડ્ડાની હાલત હાલ સ્થિર છે. તેમને હાલમાં હોસ્પિટલના કાર્ડિયોલોજી ડિપાર્ટમેન્ટમાં નિષ્ણાત તબીબોની કડક દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. તેમની તબિયતના સમાચાર સામે આવતા જ ભાજપના નેતાઓ, સમર્થકો અને શુભચિંતકોએ તેમની ઝડપી રિકવરી માટે પ્રાર્થના કરી છે.
હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવા છતાં, જે.પી. નડ્ડાએ 14 ઓગસ્ટે ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ નિમિત્તે સોશિયલ મીડિયા પર એક ભાવુક સંદેશ શેર કર્યો હતો. તેમણે લખ્યું કે, આ દિવસ દેશના ભાગલા વખતે કઠિન પરિસ્થિતિઓમાંથી પસાર થયેલા અને પોતાના પ્રાણ ગુમાવનારા લાખો લોકોના દર્દ અને બલિદાનની યાદ અપાવે છે.ભારત સરકારમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનો કાર્યભાળ સંભાળતા જે.પી. નડ્ડા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. સંસદના હાલના ચોમાસુ સત્ર દરમિયાન તેઓ રાજ્યસભામાં ખૂબ જ સક્રિય રહ્યા હતા. બે દિવસ પહેલા જ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગૃહમંત્રી અમિત શાહની ગેરહાજરી મુદ્દે ઉઠાવેલા સવાલો પર નડ્ડાએ આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, “વિપક્ષના નેતા ગૃહને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને ચર્ચામાંથી ભાગી રહ્યા છે.”

