વિદેશની ધરતી પરથી આઝાદીનો સિંહનાદ કરનાર ગુજરાતના અમર ક્રાંતિવીર સરદારસિંહ રવાજીભાઈ રાણા
હીરાના વેપારમાંથી મળેલી સંપત્તિ દેશને અર્પણ કરી, મેડમ ભીખાજી કામા, શ્યામજી કૃષ્ણ વર્મા, વીર સાવરકર અને અન્ય ક્રાંતિકારીઓના વિશ્વાસુ સહયોગી બની આઝાદીની લડતને વૈશ્વિક ઓળખ અપાવી
વિશેષ અહેવાલ- ભાવિકા લીંબાસીયા
માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર
માતૃભૂમિની આઝાદી માટે માત્ર ભારતની ભૌગોલિક સીમાઓની અંદર જ નહીં, પણ હજારો માઇલ દૂર વિદેશી ધરતી પર રહીને પણ કેટલાક વીરોએ બ્રિટિશ સામ્રાજ્યવાદના પાયા હચમચાવી નાખ્યા હતા. જ્યારે વિદેશમાં રહીને લડત ચલાવવાની વાત આવે ત્યારે ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના પનોતા પુત્ર સરદારસિંહ રાવજીભાઈ રાણાનું નામ આઝાદીના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે ચમકી ઊઠે છે. તેમણે યુરોપની ધરતીને ક્રાંતિનું સશક્ત કેન્દ્ર બનાવીને ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામને વૈચારિક, આર્થિક અને વ્યૂહાત્મક પીઠબળ પૂરું પાડ્યું હતું.
સરદારસિંહ રાણાનો જન્મ ૧૦ એપ્રિલ, ૧૮૭૦ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના (તત્કાલીન લીંબડી રાજ્ય) કંથારિયા ગામે એક સમૃદ્ધ અને ખુમારી ધરાવતા રાજપૂત પરિવારમાં થયો હતો. બાળપણથી જ તેમનામાં તેજસ્વી બુદ્ધિમત્તા, અડગ સ્વાભિમાન અને રાષ્ટ્રપ્રેમના સંસ્કાર વણાયેલા હતા. તેમણે માધ્યમિક શિક્ષણ રાજકોટની પ્રખ્યાત આલ્બર્ટ હાઈસ્કૂલમાંથી પ્રાપ્ત કર્યું. અહીં તેમને પોતાનાથી વયમાં વરિષ્ઠ એવા મોહનદાસ કરમચંદ ગાંધી (મહાત્મા ગાંધી)નો પ્રથમ પરિચય અને સંગાથ સાંપડ્યો હતો. ત્યારબાદ તેમણે ઉચ્ચ અભ્યાસ અર્થે મુંબઈની પ્રખ્યાત એલ્ફિન્સ્ટન કોલેજ અને પુણેની ફર્ગ્યુસન કોલેજમાં પ્રવેશ મેળવ્યો. વર્ષ ૧૮૯૫માં યોજાયેલા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશન દરમિયાન તેઓ લોકમાન્ય બાલ ગંગાધર ટિળકના સંપર્કમાં આવ્યા. ટિળકજીના ઉગ્ર રાષ્ટ્રવાદી વિચારો અને દેશભક્તિની જ્યોતે રાણાજીના મનમાં સ્વતંત્રતા માટે કંઈક કરી છૂટવાની તીવ્ર તમન્ના જગાવી.
કાયદાના ઉચ્ચ અભ્યાસ માટે સરદારસિંહ રાણા લંડન ગયા. લંડનની ધરતી પર તેમનો મિલાપ ક્રાંતિકારી વિચારધારાના પ્રણેતા શ્યામજી કૃષ્ણ વર્મા અને મેડમ ભીખાજી કામા સાથે થયો. આ ત્રિપુટીના સંગાથે તેમના જીવનની દિશા જ બદલી નાખી. લંડનમાં ભારતીય યુવાનોને સંગઠિત કરવા અને રાષ્ટ્રીય ચેતનાનો પ્રસાર કરવા માટે સ્થાપવામાં આવેલા ’ઇન્ડિયા હાઉસ’ના નિર્માણ તથા તેની પ્રવૃત્તિઓમાં રાણાજીનું યોગદાન પાયાનું રહ્યું.
સરદારસિંહ રાણા માનતા હતા કે, ભારતના તેજસ્વી યુવાનો જો વિદેશમાં આવીને શિક્ષણ મેળવે તો તેઓ આઝાદીની લડતને વૈશ્વિક સ્તરે વધુ મજબૂત બનાવી શકે. આ ઉમદા હેતુથી તેમણે પોતાના ખર્ચે દર વર્ષે ત્રણથી પાંચ ભારતીય વિદ્યાર્થીઓ માટે વાર્ષિક આશરે ૨,૦૦૦ પાઉન્ડની મૂલ્યવાન શિષ્યવૃત્તિઓ શરૂ કરી. આ શિષ્યવૃત્તિઓના બળે જ વીર સાવરકર અને સેનાપતિ બાપટ જેવા પ્રખર ક્રાંતિકારીઓ લંડન આવી શક્યા અને ઉચ્ચ અભ્યાસની સાથે સશસ્ત્ર ક્રાંતિનો પાયો મજબૂત કરી શક્યા. ૧૮૫૭ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામની સુવર્ણ જયંતી ઉજવણી વખતે લંડન સ્થિત ઇન્ડિયા હાઉસ ખાતે યોજાયેલા ઐતિહાસિક કાર્યક્રમનું અધ્યક્ષપદ પણ સરદારસિંહ રાણાએ જ શોભાવ્યું હતું.
બ્રિટિશ હકુમતની દમનકારી નીતિઓ અને સતત નજરને કારણે સરદારસિંહ રાણા ફ્રાન્સના પેરિસ ખાતે સ્થાયી થયા. ફ્રેંચ ભાષા પર તેમનું અદ્ભુત પ્રભુત્વ હોવાથી તેઓ શરૂઆતમાં દુભાષિયા તરીકે કામ કરવા લાગ્યા અને ટૂંક સમયમાં જ પોતાની કોઠાસૂઝથી હીરાના વ્યવસાયમાં સફળતા મેળવી પેરિસના અગ્રણી વેપારી બન્યા.
હીરાના વેપારમાંથી મળેલી બહોળી આવકનો મોટો હિસ્સો તેમણે અંગત ભોગવિલાસમાં વાપરવાને બદલે ભારતીય ક્રાંતિકારીઓને આર્થિક સહાય પૂરી પાડવામાં, ગુપ્ત શસ્ત્રોની સરભરા કરવામાં અને રાષ્ટ્રવાદી સાહિત્યના પ્રકાશનમાં ખર્ચી નાખ્યો. પેરિસ ટૂંક સમયમાં જ ભારતીય આઝાદીની લડતનું આંતરરાષ્ટ્રીય કેન્દ્ર બની ગયું.
મેડમ ભીખાજી કામા અને સરદારસિંહ રાણાની જોડીએ પેરિસથી બ્રિટિશ સામ્રાજ્યવાદ સામે આક્રમક ઝુંબેશ ચલાવી. વર્ષ ૧૯૦૭માં જર્મનીના સ્ટુટગાર્ટ શહેરમાં યોજાયેલી ’આંતરરાષ્ટ્રીય સોશિયલિસ્ટ પરિષદ’માં જ્યારે મેડમ કામાએ ભારતનો પ્રથમ ત્રિરંગો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો, ત્યારે સરદારસિંહ રાણા તેમની સાથે અગ્રણી સહયોગી તરીકે મંચ પર ઉપસ્થિત હતા. આ ઘટનાએ વિશ્વ સમક્ષ ભારતની આઝાદીની માંગને અનન્ય ઓળખ અપાવી.
બ્રિટિશ સરકાર માટે સરદારસિંહ રાણા એક મોટો પડકાર બની ગયા હતા. તેમની સક્રિય ક્રાંતિકારી પ્રવૃત્તિઓથી ગભરાઈને બ્રિટિશ સરકારે ભારતમાં આવેલી તેમની તમામ જમીન-મિલકતો જપ્ત કરી લીધી. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન અંગ્રેજોના ભારે દબાણને વશ થઈને ફ્રેન્ચ સરકારે તેમની ધરપકડ કરી અને કેરેબિયન ટાપુઓ પર દેશનિકાલ કરી દીધા. કઠોર યાતનાઓ અને દેશવટો ભોગવવા છતાં માતૃભૂમિ પ્રત્યેનો તેમનો અડગ રાષ્ટ્રપ્રેમ જરાય ડગ્યો નહીં.
દ્વિતીય વિશ્વયુદ્ધના ગાળામાં જ્યારે નેતાજી સુભાષચંદ્ર બોઝે બ્રિટિશરોની નજરકેદમાંથી છટકવાનો સાહસિક પ્લાન બનાવ્યો, ત્યારે સરદારસિંહ રાણાએ વિદેશની ધરતી પરથી અપ્રતિમ વ્યૂહાત્મક સહયોગ આપ્યો હતો. તેમણે પોતાની દ્વિતીય પત્નીના સાથથી નેતાજી માટે જર્મનીના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકો ગોઠવવામાં, ’આઝાદ હિંદ રેડિયો’ના પ્રસારણની વ્યવસ્થા કરવામાં તથા આઝાદ હિંદ ફોજને આંતરરાષ્ટ્રીય સ્તરે રાજદ્વારી અને નાણાકીય બળ પૂરું પાડવામાં અત્યંત નિર્ણાયક ભૂમિકા ભજવી હતી.
દીર્ઘકાલીન સંઘર્ષ અને જીવનનો મોટો ભાગ વિદેશમાં વિતાવ્યા બાદ, ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ જ્યારે ભારત આઝાદ થયું, ત્યારે આ વીર યોદ્ધો પોતાની માતૃભૂમિ પર પરત ફર્યો. ભારતમાં તેમનું ભવ્ય અને ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું. તેમણે પોતાના જીવનથી સાબિત કરી બતાવ્યું કે દેશપ્રેમ ભૌગોલિક સીમાઓથી પર હોય છે.
આજે જ્યારે ભારત વિકસિત ભારત ૨૦૪૭ના સ્વપન સાથે આગળ વધી રહ્યું છે, ત્યારે સુરેન્દ્રનગરના આ અમર ક્રાંતિવીર સરદારસિંહ રાવજીભાઈ રાણાનું જીવન યુવા પેઢી માટે રાષ્ટ્રપ્રેમ, સમર્પણ, કર્તવ્યનિષ્ઠા અને સ્વાભિમાનનો અમર પ્રેરણાસ્ત્રોત બની રહેશે.

