સો કામ છોડી ભોજન કરો,હજાર કામ છોડી સ્નાન કરો,લાખ કામ છોડી દાન કરો અને કરોડ કામ છોડીને સેવા-સુમિરણ અને ધ્યાન કરો.
એક નગરમાં એક ઘણા જ સાધન સંપન્ન શેઠ રહેતા હતા.તેમનો વ્યાપાર અનેક ઘણો વધી રહ્યો હતો.આટલી સમૃદ્ધિ હોવા છતાં શેઠનો લોભ વધતો જઇ રહ્યો હતો.શેઠ વધુમાં વધુ ધન કમાવવામાં લાગેલા હતા અને શેઠ એટલા મોટા કંજૂસ હતા કે કોઇ યાચકને એક રૂપિયો પણ દાન આપતા ન હતા.એક દિવસ શેઠના દ્વાર ઉપર એક ફક્કડ સાધુ આવે છે અને કંઇક આપવા માટે પ્રાર્થના કરે છે.તે દિવસે શેઠને કોન જાણે શું થયું કે શેઠે સાધુની ઝોલીમાં એક પૈસો નાખ્યો.સાધુ તેને ભગવાનનો પ્રસાદ સમજીને આર્શિવચન આપીને ચાલ્યા જાય છે.
સાંજે શેઠને પ્રસાદમાં એક સોનામહોર મળે છે.સોનામહોર મળ્યા પછી શેઠને ઘણી જ પ્રસન્નતા થાય છે સાથે સાથે અફસોસ થાય છે કે તેને સાધુને એક પૈસો જ કેમ આપ્યો ! બીજા દિવસે સાધુ ફરીથી શેઠના ઘેર આવે છે.આ લોભી શેઠ તો સાધુની રાહ જોઇને જ બેઠા હતા.આ વખતે શેઠે સાધુની ઝોળીમાં મુઠ્ઠીભરીને પૈસા નાખે છે અને આશિષ આપીને ચાલ્યા જાય છે.શેઠ સાંજ પડવાની રાહ જોઇ રહ્યા છે.રાત પડવા છતાં તેમને સોનામહોર મળતી નથી.શેઠ નિરાશ વદને કહે છે કે મારા તો પૈસા પણ ગયા અને સોનામહોરો પણ ના મળી ત્યારે શેઠની ધર્મપરાયણ પત્નીએ સમજાવ્યું કે દુઃખી ના થશો અને બોધપાઠ લો કે ત્યાગ ફળે છે અને લોભ છેતરે છે.પત્નીની આ વાતથી શેઠની આંખ ખુલી જાય છે.
આ કથાનો સાર એ છે કે નિઃસ્વાર્થભાવથી કરવામાં આવેલ દાન હંમેશાં સારૂં ફળ આપે છે જ્યારે તેનાથી ઉલ્ટું સ્વાર્થભાવથી કરવામાં આવેલ દાનથી ઉપલબ્ધિ કે આત્મસંતોષ મળતો નથી.
માણસે પોતાના સમયનો સદઉ૫યોગ દાન આપવામાં,પુણ્ય કાર્યમાં અને શાસ્ત્રનો અભ્યાસ કરવામાં કરવો જોઇએ.દાતા હોવા છતાં મીઠું બોલે અને યોગ્ય પાત્રને દાન કરે,વીર હોવા છતાં પોતાના શૌર્યની વાતો ના કરે અને સત્યવાદી હોવા છતાં દયાવાન હોય..તે બધા સિદ્ધ પુરૂષો કહેવાય..
પ્રાણીઓની ઉ૫ર જન્મ-જન્માંતરના કર્મોની વાસના ભરેલી પડી છે,તેથી હંમેશાં સત્કર્મો કરવાની ચેષ્ટા કરવી જોઇએ.તમામ પ્રાણીઓમાં પ્રભુ પરમાત્માનો વાસ છે,આવો નિશ્ર્ચય કરીને તમામની સેવા કરવાથી શરીર ૫વિત્ર બની જાય છે,દાન આ૫વાથી ધન પવિત્ર બની જાય છે અને પ્રભુ પરમાત્માનું ભજન કરવાથી અંતઃકરણ નિર્મળ બની જાય છે.
તન પવિત્ર સેવા કિયે,ધન પવિત્ર કર દાન,
મન પવિત્ર હરિભજન કરે,હોત ત્રિવિધ કલ્યાણ..
પ્રભુ આપે છે,તમે આપતા નથી–એ ભાવના સાથે તમે દાન કરો તો દાનનું હજાર ગણું પુણ્ય મળે છે.
ધર્મરાજા યુધિષ્ઠિર પાસે એક યાચક દાન માગવા આવ્યો.ધર્મરાજાએ તેને બીજે દિવસે આવવા કહ્યું.આ વાત ભીમસેને સાંભળી એટલે વિજયદુંદુભી વગાડવા લાગ્યો.બધાને લાગ્યું કે ભીમસેનનું ખસી તો નથી ગયું ને? આ વિજયદુંદુભી તો યુદ્ધમાં વિજય થયો હોય ત્યારે જ વગાડવામાં આવે છે.ભીમને કારણ પૂછ્યું ત્યારે ભીમે જણાવ્યું કે આજે મારા મોટાભાઈએ કાળ ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે.ધર્મરાજાને ખબર પડી ગઈ છે કે તે આવતીકાલ સુધી જીવવાના છે,તેથી તેના વિજયમાં આ નગારૂં વગાડું છું.ધર્મરાજાને પોતાની ભૂલ સમજાઈ ગઇ.ના જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે..માટે સત્કાર્ય તરત કરો.યાચકને તરત પાછો બોલાવ્યો અને યથા યોગ્ય દાન આપ્યું.
દાતા હોવા છતાં મીઠું બોલે અને પાત્રને યોગ્ય જોઇને દાન કરે તે સિદ્ધ પુરૂષ કહેવાય છે.જે કંઇ દાન આપવાના શુભ સંકલ્પની સ્ફુરણા થાય તેનો તુરંત જ અમલ કરી દેવો.જે વસ્તુનું તમે આ જન્મમાં દાન કરો તે આવતા જન્મમાં તમને મળે છે.
ભાગવતમાં લખ્યું છે કે તમારી આવકનો પાંચમો ભાગ દાન કરો,પછી પરિસ્થિતિ બદલાતાં મનુ મહારાજે થોડી છૂટ આપીને કહ્યું કે આવકનો દસમો ભાગ દાનમાં આપજો,અત્યારના જમાનામાં તો ૧% આપે તો પણ ઘણું છે.ઘરમાં આવેલું સઘળું ધન શુદ્ધ નથી હોતું,દાનથી ધનની શુદ્ધિ થાય છે.
ભિખારી ભીખ માગવા આવતો નથી પણ આપણને ઉપદેશ આપવા આવે છે કે ગયા જન્મમાં મેં દાન આપ્યું નહિ તેથી મારી આ દશા થઇ છે,તમે પણ દાન નહિ આપો તો મારા જેવી દશા થશે.
વામનજી ભગવાન બલિરાજાને ત્યાં દાન લેવા ગયા અને દાન લઇ તેના ઘેર પહેરો ભરવો પડ્યો. જે દાન લે છે તે બંધનમાં પડે છે.વામનજીએ દાન લઇ સ્વર્ગનું રાજ્ય ઇન્દ્રને અને પાતાળનું રાજ્ય બલિરાજાને આપ્યું હતું.ક્યા કર્મના આચરણથી સર્વોત્તમ ગતિ પ્રાપ્ત થાય છે? સત્પાત્રને દાન આપવાથી, સત્ય અને પ્રિય વચન બોલવાથી તથા અહિંસા ધર્મમાં તત્પર રહેવાથી મનુષ્યને ઉત્તમ ગતિની પ્રાપ્તિ થાય છે.
ધર્મના ચાર ચરણ:સત્ય-દયા-તપ અને દાન પ્રસિધ્ધ છે કે જેમાં દાનરૂપી એક ચરણ જ કળિયુગમાં પ્રધાનરૂપે છે.કોઈપણ ઉદ્દેશથી આપવામાં આવેલ દાન કલ્યાણ કરનારૂં છે.
જે કંઇ દાન આપવાના શુભ સંકલ્પની સ્ફુરણા થાય તેનો તુરંત જ અમલ કરી દેવો.સામાન્ય રીતે મનુષ્યની પ્રકૃતિ જ એવી છે કે તે કોઇને ૫ણ કોઇપણ ચીજ આપવા ઇચ્છતો જ નથી..૫રંતુ ક્યારેક કોઇને કંઇ૫ણ આપવાની ભાવના જાગે તો આ કામ તુરંત જ કરી દેવું.જીવનમાં આ૫ણે જે કંઇ ખાધું પીધું,ભોગવ્યું તેની કોઇ કિંમત નથી.આ૫ણે બીજાને કેટલું આપ્યું..? તેનું જ મૂલ્ય છે.જે વ્યક્તિ આર્થિક રીતે સંપન્ન હોવા છતાં ધર્મકાર્યમાં દાન આપતાં અચકાય છે તે મૃતક સમાન છે.
ઇતિહાસમાં એક સેવાભાવી મહાપુરૂષનું વર્ણન છે તેમનું નામ છે-રહીમજી.તે મહાન ભક્ત કવિ હતા. ધનનું દાન કરવું એ એમનું કર્મ બની ગયું હતું.તે રોજ ધનનું દાન કરતા હતા ૫રંતુ દાનના પાત્ર કે વ્યક્તિની સામે તે જોતા ૫ણ નહોતા.કોઇએ પુછ્યું તો તેમને કહ્યું કે..દેનહાર કોઇ ઔર હૈ,ભેજત હૈ દિન-રાત,લોગ ભરમ મુજ પે કરે તાતે નીચે નૈન..તે માનતા હતા કે કીડીને કણ અને હાથીને મણ આપવાવાળો તો પ્રભુ ૫રમાત્મા છે કોઇને આપવાવાળો હું કોન?
અમે જે દાન આપીએ છીએ તે જ સાચું સોનું છે અને અમે જે કંઇ ભેગું કરીએ છીએ તે તો કાયમના માટે માટી બની જાય છે.
સત્પાત્રને દાન આપવાથી મનુષ્યને ઉત્તમ ગતિની પ્રાપ્તિ થાય છે.જે ધન મળ્યું છે તેને વા૫રો અને બીજાને આપો,તેનો ફક્ત સંચય ના કરો,નહી તો સંગ્રહેલું ધન બીજા ઉપાડી જશે.જે ખાય છે અને ખવડાવે છે તે જ ખરો ખાનદાન છે.શાસ્ત્રોમાં ધનની ત્રણ ગતિઓ બતાવી છેઃદાન-ભોગ અને નાશ..દાન આ૫વામાં આ૫નારને સમાધાન અને લેનારને સંતોષ મળે છે.ભોગવવામાં ભોગવનારને જ સુખ મળે છે,જે આ૫તો નથી અને ભોગવતો ૫ણ નથી તેના ધનનો નાશ થાય છે.જે વ્યક્તિ આર્થિક રીતે સંપન્ન હોવા છતાં ધર્મકાર્યમાં દાન આપતાં અચકાય છે તે મૃતક સમાન છે.
એક પ્રાચિન ભજનની પંક્તિ છે કેઃ
ધન મળ્યુ ૫ણ મોજ ન માણી કહું કરમની કહાણી રે,
કાં તો ભાગ્ય બીજાનું ભળ્યું,
કાં તો ખોટી કમાણી મારા સંતો
જૂના ધરમ લ્યો જાણી રે
મૃત્યુ પછી સૌથી વધુ આપણે કરેલ દાન જ કામમાં આવે છે એટલે દાન કરવું એ તમામ ધર્મોમાં શ્રેષ્ઠ છે.સંસારમાં આપણે બધા ધન-સંપત્તિ કમાઇએ છીએ,સમગ્ર જીવન દરમ્યાન તેનો ભોગ કરીએ છીએ પરંતુ અમે એ નથી જાણતા કે આપણા મૃત્યુ પછી પણ આ સંપત્તિ અમારી સાથે કેવી રીતે આવે તેની વિધિ અમે જાણતા નથી.આ સંપત્તિ અત્યારે જે રૂપમાં અમારી પાસે છે તે રૂપમાં મૃત્યુ પછી અમારી સાથે લઇ જઇ શકવાના નથી.
દાન આપવું એક શુભ કર્મ છે,પુણ્ય કર્મ છે એટલે ઉત્તમ વેદોક્ત કર્મોમાં દાન આપીએ,આસપાસના જરૂરતમંદોને દાન આપીએ, જે લોકો સમાજસેવા કરે છે,પરોપકારના કામો કરે છે,ગૌશાળા અનાથાલય ધર્માર્થ દવાખાના વૃદ્ધાશ્રમ વગેરે સંસ્થાઓ ચલાવે છે,વેદોનો પ્રચાર કરે છે તેમને દાન આપીએ.આ આપણું શુભકર્મ-પુણ્યકર્મ કહેવાશે.આ કર્મ આગલા જન્મમાં આપણી સાથે આવશે.થોડું દાન કરવાથી તેનું અનેકઘણું ફળ મળે છે.
આજે મારા હ્રદયમાં એક સેવા કરવાનો ભાવ ઉત્પન્ન થયો જેને વાંચકોના શ્રીચરણોમાં મુકું છું.હાલમાં લગ્નસીઝન ચાલી રહી છે,જેમાં અનેક ધનાઢ્ય સદગૃહસ્થો છે તેવી ધાર્મિક સંસ્થાઓ સમુહલગ્નનું આયોજન કરે છે,જે ઘણું જ પ્રશંસનીય કામ છે.માછી સમાજના ૯ ગામનો સમુહલગ્ન તા.૨૪-૦૪-૨૦૨૬ના રોજ છે જેમાં ૪૦ દિકરીઓ પ્રભુતામાં પગલા પાડવાની છે.મારી જાણકારી મુજબ મારી પરીચિત જુદા-જુદા સમાજની તથા સત્સંગી ગૃપની ૧૦ થી ૧૫ દિકરીઓ એવી છે જેના માથે પિતાનું છત્ર નથી,ખુબ જ ગરીબીમાં વિધવા માતાના સહારે જીવન જીવે છે,આવી નિરાધાર દિકરીઓના લગ્નપ્રસંગે વાંચકો તરફથી દિકરીઓને કંઇ ને કંઇ યથાશક્તિ કરિયાવરના રૂપમાં આપીએ તો કેવું? આ કાર્યમાં વાંચકોનો સહકાર મળશે તેવી અપેક્ષા છે.જો કોઇ મહાનુભાવની સેવા કરવાની ભાવના હોય તો મારા બેંક ખાતાની વિગતો આપું છું.HDFC Bank,Godhra A/C No.07841 5300 10601 IFSC:HDFC0000784
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)

