ફરિયાદી ના પત્નીના રીપેરિંગ માટે બુટીયા કાઢ્યા બાદ લોકર ખુલ્લું રહી જતાં હાર અને ચેઈન-પેન્ડલ ગુમ થયાની ઘટના
(નયના દવે દ્વારા)
Jamnagar તા.૨૧
Jamnagar જિલ્લાના લાલપુર તાલુકાના મેઘપર ગામે રહેતા રાજેશભાઈ નરભેરામ અગ્રાવતે પોતાના રહેણાંક મકાનમાંથી રૂ. ૫૦,૫૦૦ના સોનાના દાગીના ગાયબ થઈ જતાં પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ફરિયાદ મુજબ, ગત તા. ૨૮ એપ્રિલ ૨૦૨૬ ના રોજ ફરિયાદીના પત્ની મીતાબેને કબાટના લોકરમાંથી સોનાના બુટીયાની એક જોડી રીપેરિંગ માટે કાઢી હતી. તે સમયે ઉતાવળમાં કબાટનું લોક મારવાનું રહી ગયું હતું. ત્યારબાદ બંને પતિ-પત્ની જામનગર રીપેરિંગ માટે ગયા હતા અને બુટીયા પહેરી લીધા હતા.
પછી તા. ૨૮ મે ૨૦૨૬ના રોજ પત્ની પૈસા મૂકવા માટે લોકર ખોલતાં અંદર રાખેલો ત્રણ તોલાનો સોનાનો હાર અને બે તોલાની સોનાની ચેઈન-પેન્ડલ ગાયબ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જ્યારે અન્ય સોનાના દાગીના લોકરમાં યથાવત હતા. પરિવારજનો સાથે સમગ્ર ઘરમાં શોધખોળ કરવા છતાં દાગીના મળી આવ્યા ન હતા, અને પરિવારના સભ્યોએ પણ દાગીના લીધા ન હોવાનું જણાવ્યું હતું.ફરિયાદીએ જણાવ્યું છે કે, ત્રણ તોલાના હારની કિંમત રૂ. ૩૦,૩૦૦ તથા બે તોલાની ચેઈન-પેન્ડલની કિંમત રૂ. ૨૦,૨૦૦ મળી કુલ રૂ. ૫૦,૫૦૦ના દાગીના ગાયબ થયા છે. આ સમયગાળા દરમિયાન પરિવારના સભ્યો ઉપરાંત ઘરમાં અવરજવર કરનારાઓમાંથી કોઈએ ચોરી કરી હોવાની શંકાના આધારે ફરિયાદ નોંધાવવામાં આવી છે.ફરિયાદીએ દાગીનાનું બિલ હાલમાં ઉપલબ્ધ ન હોવાનું, પરંતુ બાદમાં મળી આવશે તો પોલીસ સમક્ષ રજૂ કરવાની તેમજ લગ્ન અને અન્ય સામાજિક પ્રસંગોમાં પહેરેલા દાગીનાના ફોટોગ્રાફ પોલીસને સુપરત કર્યાનું પણ ફરિયાદમાં જણાવ્યું છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

