અનાજ ખરીદી નાણાં ન ચૂકવનાર રિક્ષાચાલક સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશને ઠગાઈનો ગુનો નોંધાયો
Mehsana, તા.૨૪
Mehsana ગંજબજારમાં આવેલી અનાજની પેઢીમાં બોગસ પેઢીઓના નામે ખાતાં ખોલાવી રૂ.૯.૬૩ લાખનું અનાજ ખરીદી નાણાં ન ચૂકવનાર રિક્ષાચાલક સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશને ઠગાઈનો ગુનો નોંધાયો છે. માલગોડાઉન રોડ પર આવેલી પ્રભુનગર સોસાયટીમાં રહેતા અને ગંજ બજારમાં એમ.કે. ટ્રેડર્સ નામે અનાજનો વેપાર કરતા મુકેશકુમાર કાંતિલાલ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ, મહેસાણાના ઋતુરાજ એપાર્ટમેન્ટ પાસે રશ્મી ફ્લેટમાં રહેતા અને રિક્ષા ધરાવતા જગદીશભાઈ શંકરભાઈ પ્રજાપતિ (હાલ રહે. કરશનપુરા, તા.મહેસાણા) તેમની પેઢીએ અનાજ ખરીદવા આવતા હતા. જગદીશભાઈએ વેપારીનો વિશ્વાસ જીતી બહુચર ફ્લોર, ખોડિયાર ફ્લોર મીલ, બ્રહ્માણી ફ્લોર મીલ સહિતની વિવિધ પેઢીઓના નામે ખાતાં પડાવ્યાં હતાં.તા.૭ એપ્રિલ ૨૦૨૫ના રોજ જગદીશભાઈ મુકેશકુમારની પેઢીમાંથી વિવિધ પેઢીઓનાં ખાતામાં પોતાની જવાબદારી પર પોતાની રિક્ષામાં કુલ રૂ.૧૯,૩૫,૦૭૬ કિંમતનું ઘઉં, બાજરી, જુવાર અને મકાઈ અનાજ ખરીદ્યું હતું. જેમાંથી તેણે તબક્કાવાર રૂ.૯,૭૨,૦૭૬ જમા કરાવ્યા હતા, પરંતુ બાકી નીકળતા રૂ.૯,૬૩,૩૦૬ જમા ન કરાવી ગલ્લા-તલ્લા કરવા લાગ્યો હતો અને ફોન પણ બંધ કરી દીધો હતો. વેપારીએ તપાસ કરતાં બીલમાં દર્શાવેલી પેઢીઓ બોગસ હોવાનું ખુલ્યું હતું. આ અંગે મહેસાણા શહેર ‘એ’ ડિવિઝન પોલીસે આરોપી જગદીશ પ્રજાપતિ સામે છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

