New Delhi, તા. 5
સુપ્રીમ કોર્ટે મંગળવારે એક મહત્વપૂર્ણ નિર્ણયમાં નવી કાર માટે થર્ડ-પાર્ટી વીમાની અવધિ (મુદ્દત) ચાર વર્ષ અને નવાં દ્વિચક્રી (બે પૈડાંવાળાં) વાહનો માટે છ વર્ષ કરવાની સૂચના આપી છે. પહેલાં આ અવધિ કાર માટે ત્રણ વર્ષ અને મોટરસાઇકલ માટે પાંચ વર્ષ હતી. પીઠે વીમા નિયામક અને વિકાસ પ્રાધિકરણ (IRDA/ઇરડા) અને જનરલ ઇન્શ્યોરન્સ કાઉન્સિલના વાંધાઓને બાજુ પર મૂકીને આ આદેશ આપ્યો છે.
જસ્ટિસ કરોલે આદેશમાં કહ્યું કે આઠ વર્ષ પહેલાં આપવામાં આવેલાં નિર્દેશો છતાં, મોટી સંખ્યામાં વાહનો વીમા વગરનાં છે. સુપ્રીમ કોર્ટે ઇરડાને આ આદેશનો અમલ કરાવવા માટે તાત્કાલિક જરૂરી નિર્દેશો બહાર પાડવાનો આદેશ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે નિયમોનું પાલન ન થવા પર ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે સંસદીય સ્થાયી સમિતિનાં રિપોર્ટ અનુસાર ભારતીય રસ્તાઓ પર ચાલતાં લગભગ 56 ટકા વાહનોનો વીમો નથી.
પીઠે જણાવ્યું કે 30.48 કરોડ વાહનોમાંથી લગભગ 16.54 કરોડ વાહનો પાસે વેલિડ વીમો નથી. માર્ગ અકસ્માતનો ભોગ બનેલાં લોકોને અવારનવાર વળતર મેળવવા માટે ‘ભટકવું’ પડે છે, ખાસ કરીને ત્યારે જ્યારે દોષિત વાહન પાસે કોઈ વીમા કવર ન હોય.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે મોટર વાહન અધિનિયમની કલમ-146 હેઠળ ફરજિયાત વીમાનો હેતુ માત્ર એ જ નથી કે માર્ગ અકસ્માતનો ભોગ બનેલાં લોકોને વળતર મળે, પરંતુ એ પણ છે કે તેમણે લાંબા સમય સુધી ચાલતા કાનૂની કેસોમાં ફસાઈ જવું ન પડે.

