વિનોદભાઇ માછી નિરંકારી
હવે ભગવાન તત્વજ્ઞાનનો મહિમા બતાવતા રહીને કર્મયોગની વિશેષ મહત્તા (૪/૩૮)માં પ્રગટ કરે છે.
ન હિ જ્ઞાનેન સદૃશં પવિત્રમિહ વિદ્યતે
તત્સ્વયં યોગસંસિદ્ધઃ કાલેનાત્મનિ વિન્દતિ
(ઇહ-આ મનુષ્ય લોકમાં, જ્ઞાનેન-જ્ઞાન, સદૃશમ્-જેવું, પવિત્રમ્-પવિત્ર કરનારૂં, હિ-નિઃસંદેહ બીજું કોઇ સાધન, ન વિદ્યતે-નથી, યોગસંસિદ્ધઃ-જેનો યોગ સારી રીતે સિદ્ધ થઇ ગયો છે તે કર્મયોગી, તત્-એ તત્વજ્ઞાનને, કાલેન-અવશ્ય જ, સ્વયંમ્-આપમેળે, આત્મનિ-પોતાનામાં, વિન્દતિ-પ્રાપ્ત કરી લે છે.)
આ મનુષ્ય લોકમાં જ્ઞાન જેવું પવિત્ર કરનારૂં નિઃસંદેહ બીજું કોઇ સાધન નથી, જેનો યોગ સારી રીતે સિદ્ધ થઇ ગયો છે તે કર્મયોગી એ તત્વજ્ઞાનને અવશ્ય જ આપમેળે પોતાનામાં પ્રાપ્ત કરી લે છે.(૪/૩૮)
‘ન હિ જ્ઞાનેન સદૃશં પવિત્રમિહ વિદ્યતે’ અહી ‘ઇહ’ પદ મનુષ્યલોકનું વાચક છે કેમકે સઘળે સઘળી પવિત્રતા આ મનુષ્યલોકમાં જ પ્રાપ્ત કરવામાં આવે છે. પવિત્રતા પ્રાપ્ત કરવાનો અધિકાર અને અવસર મનુષ્ય શરીરમાં જ છે, એવો અધિકાર કોઇ અન્ય શરીરમાં નથી. અલગ અલગ લોકોના અધિકારો પણ મનુષ્યલોકથી જ મળે છે.
સંસારની સ્વતંત્ર સત્તાને માનવાથી તથા તેના દ્વારા સુખ લેવાની ઇચ્છાથી જ તમામ દોષો અને પાપો ઉત્પન્ન થાય છે.(૩/૩૭) તત્વજ્ઞાન થતાં જ્યારે સંસારની સ્વતંત્ર સત્તા જ રહેતી નથી ત્યારે તમામ પાપોનો નાશ થઇ જાય છે અને પરમ પવિત્રતા આવી જાય છે એટલા માટે સંસારમાં જ્ઞાનના સમાન પવિત્ર કરવાવાળું બીજું કોઇ સાધન છે જ નહી.સંસારમાં યજ્ઞ,દાન,તપ,પૂજા,વ્રત,ઉપવાસ,પ્રભુ સુમિરણ,ધ્યાન,પ્રાણાયામ વગેરે જેટલાં સાધનો છે ગંગા વગેરે જેટલાં તીર્થો છે તે બધાં મનુષ્યનાં પાપોનો નાશ કરીને તેને પવિત્ર કરવાવાળાં છે પરંતુ તે બધામાં પણ તત્વજ્ઞાન સમાન પવિત્ર કરવાવાળું બીજું કોઇપણ સાધન,તીર્થ વગેરે નથી કેમકે એ બધાં તત્વજ્ઞાનનાં સાધનો છે અને તત્વજ્ઞાન એ બધાનું સાધ્ય છે.
‘યોગસંસિદ્ધઃ’ જેનો કર્મયોગ સિદ્ધ થઇ ગયો છે એટલે કે કર્મયોગનું અનુષ્ઠાન સાંગોપાંગ પૂર્ણ થઇ ગયું છે તે મહાપુરૂષને અહી ‘યોગસંસિદ્ધઃ’ કહેવામાં આવ્યો છે. ગીતાઃ૬/૪માં તેને જ ‘યોગારૂઢઃ’ કહેવામાં આવ્યો છે. યોગારૂઢ થવું એ કર્મયોગની અંતિમ અવસ્થા છે. યોગારૂઢ થતાં જ તત્વબોધ થઇ જાય છે. તત્વબોધ થઇ જતાં સંસાર સાથે સર્વથા સબંધ-વિચ્છેદ થઇ જાય છે.
કર્મયોગની મુખ્ય વાત છે-પોતાનું કંઇપણ ન માનીને તમામ કર્મો સંસારના હિતના માટે કરવાં, પોતાને માટે કંઇપણ ન કરવું, આમ કરતાં સામગ્રી અને ક્રિયાશક્તિ-બંન્નેનો પ્રવાહ સંસારની સેવામાં થઇ જાય છે. સંસારની સેવામાં પ્રવાહ થતાં ‘હું સેવક છું’ એવો અહમનો ભાવ પણ રહેતો નથી. આ રીતે જ્યારે સેવક સેવા બનીને સેવ્યમાં લીન થઇ જાય છે ત્યારે પ્રકૃતિનાં કાર્ય શરીર તથા સંસાર સાથે સર્વથા વિયોગ- સબંધ-વિચ્છેદ થઇ જાય છે. વિયોગ થતાં સંસારની સ્વતંત્ર સત્તા રહેતી નથી, ફક્ત ક્રિયા રહી જાય છે એને યોગની સંસિદ્ધિ કહે છે. કર્મ અને ફળની આસક્તિના કારણે જ ‘યોગ’નો અનુભવ થતો નથી. વાસ્તવમાં કર્મો અને પદાર્થો તો અનિત્ય,આદિ-અંતવાળા છે અને પોતાનું સ્વરૂપ નિત્ય છે. અનિત્ય કર્મોથી નિત્ય સ્વરૂપને શું મળી શકે છે? એટલા માટે સ્વરૂપને કર્મો દ્વારા કંઇ મેળવવાનું નથી-આ ‘કર્મવિજ્ઞાન’ છે. કર્મવિજ્ઞાનનો અનુભવ થતાં કર્મફળ સાથે પણ સબંધ-વિચ્છેદ થઇ જાય છે એટલે કર્મજન્ય સુખ લેવાની આસક્તિ દૂર થઇ જાય છે, જે દૂર થતાં જ પરમાત્માની સાથે પોતાના સ્વભાવિક નિત્ય સબંધનો અનુભવ થઇ જાય છે જે ‘યોગવિજ્ઞાન’ છે. યોગવિજ્ઞાનનો અનુભવ થવો એ જ યોગની સંસિદ્ધિ છે.
આ શ્ર્લોક બહુ મહત્વનો છે, તેમાં ચાર મુદ્દાનું સ્પષ્ટીકરણ થયું છે, જ્ઞાનથી વધુ કશું પવિત્ર નથી એટલે કે જ્ઞાન જ સર્વોચ્ચ પવિત્ર છે, જ્ઞાન લાંબા સમયની સાધના પછી પ્રાપ્ત થાય છે, જ્ઞાન સ્વયં પોતાનામાં જ પ્રગટે છે અને તે યોગ સંસિદ્ધ એટલે ઇશ્વરના યોગથી સિદ્ધ થાય છે જેને ભક્તિયોગ કહે છેજે પુંયથી રક્ષા કરે તેને પવિત્ર કહેવાય. પુંય એટલે પરૂં-પાચ-મળ-મૂત્ર-કફ વગેરે..આ બધાં તત્વો અસ્વચ્છતા અને દુર્ગંધ ફેલાવનારાં છે, તે જ્યાં હોય ત્યાં ઉભા રહેવું પણ ગમે નહી. લોકોને ન ગમે તો ભગવાનને તો ગમે જ ક્યાંથી? આ બધી અસ્વચ્છતા થઇ પણ ખરી અસ્વચ્છતા ‘પાપ’ છે. પાપી કદી સ્વચ્છ ના હોય એટલે કે પવિત્ર ના હોય. પાપ નિવૃત્તિ જ ખરી પવિત્રતા છે. જ્ઞાન જ એક એવો અગ્નિ છે જે બધાં પાપોને બાળી નાખે છે. જ્ઞાનરૂપી સૂર્યનો ઉદય થતાં જ પાપવૃત્તિનું નિવારણ થઇ જાય છે, તેથી પવિત્રતા આવે છે, નિષ્પાપ જીવન પવિત્ર છે. જે કોઇની હાય લેતો નથી, ત્રાસ ફેલાવતો નથી પણ લોકોની આંતરડી ઠારે છે, પુણ્ય કાર્યો કરે છે તે પવિત્ર છે. પવિત્રતાથી પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. પવિત્રતા સ્થાનિક, આર્થિક, શારીરિક, માનસિક અને બૌધિક હોય છે.
સ્થાનિક પવિત્રતા-જે સ્થાનો, ભૂમિ સ્વચ્છ રહે છે અને જ્યાં ભજન-સત્સંગ-સાધના થતી રહે છે તે સ્થાનો પવિત્ર છે.આર્થિક પવિત્રતા-ખરી પવિત્રતા ધનની હોય છે. જે ધા ન્યાય-નીતિ અને હક્કનું મેળવ્યું હોય તે પવિત્ર છે. જે ધન અન્યાય-અનીતિ અને હરામનું મેળવ્યું હોય તે અપવિત્ર છે. બધી પવિત્રતામાં સૌથી મોટી પવિત્રતા ધનની છે.શારીરીક પવિત્રતા-શરીર મળ-મૂત્ર,પરસેવો,લીંટ વગેરે દ્વારા વારંવાર ગંધાતું થઇ જાય છે તેથી તેને વારંવાર સ્વચ્છ કરવું જરૂરી છે. તેવું ન કરનારાઓને ગંદા કહેવાય છે, તેમનાથી લોકો દૂર ભાગે છે. શરીર જળથી પવિત્ર થાય છે.
માનસિક પવિત્રતા-મનની પવિત્રતા પ્રભુ-પરમાત્માના નામ સુમિરણથી થાય છે. જેમ જેમ સાધક નામ સુમિરણ કરતો જાય તેમ તેમ તેનું મન મલિન વિચારોથી મુક્ત થતું જાય છે. મલિન વિચારો જ મનની અપવિત્રતા છે. શુદ્ધ વિચારો જ મનની નિર્મળતા છે.
બૌધિક પવિત્રતા-બુદ્ધિની પવિત્રતા પણ પ્રભુ પરમાત્માના નામ સુમિરણ અને સત્સંગથી થાય છે. સાધક જેમ જેમ પ્રભુનું નામ સુમિરણ વધારે છે અને સાચો સત્સંગ કરે છે તેમ તેમ બુદ્ધિ નિર્મળ થતી જાય છે. બુદ્ધિની પવિત્રતા એ જ જ્ઞાન છે. જ્ઞાન પવિત્ર છે કારણ કે સમગ્ર જીવનને પવિત્ર કરે છે.
‘કાલેન’ આ પવિત્રતા લાંબા કાળે પ્રાપ્ત થતી હોય છે. લાંબો સમય ધીરજ રાખીને તન્મયતાપૂર્વક ઉપાસના કરતો રહે તેને આવું જ્ઞાન પ્રાપ્ત થતું હોય છે. જે ઉતાવળીયા છે, જે ચપટી વગાડતાં જ સાક્ષાત્કાર કરાવી દેવાનો દાવો કરતા ફરે છે તે ધૂર્તલોકો છે,તેમનાથી બચવું જોઇએ. કર્મયોગથી અવશ્ય જ તત્વજ્ઞાન કે પરમાત્મતત્વનો અનુભવ થઇ જાય છે. ‘આત્મનિ’ એટલે પોતે જ પોતાનામાં પ્રાપ્ત કરે છે. જ્ઞાન અંદરથી ઉદભવતી વસ્તુ છે, બહારથી આવતી કે થોથવાતી વસ્તુ નથી.
‘તત્સ્વયં કાલેનાત્મનિ વિન્દતિ’ જે તત્વજ્ઞાનથી તમામ કર્મો ભસ્મ થઇ જાય છે અને જેના સમાન પવિત્ર કરવાવાળું સંસારમાં બીજું કોઇ સાધન નથી, કર્મયોગી યોગસંસિદ્ધ થતાં બીજા કોઇ સાધન વિના પોતાની મેળે પોતાના આત્મામાં જ તે જ તત્વજ્ઞાનને તત્કાળ પ્રાપ્ત કરી લે છે. ૪/૩૪માં ભગવાને બતાવ્યું કે પ્રચલિત પ્રણાલી અનુસાર કર્મોનો ત્યાગ કરીને ગુરૂની પાસે જતાં તેઓ તત્વજ્ઞાનનો ઉપદેશ આપશે પરંતુ ગુરૂ તો ઉપદેશ દઇ દેશે પણ તેનાથી તત્વજ્ઞાન થઇ જ જશે-એવું નિશ્ચિત નથી. ભગવાન અહી બતાવે છે કે કર્મયોગની પ્રણાલીથી કર્મો કરવાવાળા મનુષ્યને યોગસંસિદ્ધિ મળી જતાં તત્વજ્ઞાન થઇ જ જાય છે.
‘સ્વયમ્’ તત્વજ્ઞાન પ્રાપ્ત કરવાને માટે કર્મયોગીને કોઇ ગુરૂની-ગ્રંથની કે બીજા કોઇ સાધનની અપેક્ષા નથી. કર્મયોગની વિધિથી કર્તવ્યકર્મો કરતા રહેવાથી જ તેને પોતાની મેળે તત્વજ્ઞાન પ્રાપ્ત થઇ જશે.‘આત્મની વિન્દતિ’ તત્વજ્ઞાનને પ્રાપ્ત કરવાને માટે કર્મયોગીને કોઇ બીજી જગ્યાએ જવાની જરૂર નથી. કર્મયોગ સિદ્ધ થતાં તેને પોતાની જાતમાં જ સ્વતઃસિદ્ધ તત્વજ્ઞાનનો અનુભવ થઇ જાય છે. પરમાત્મા બધી જગ્યાએ પરીપૂર્ણ હોવાથી પોતાનામાં પણ છે. જ્યાં સાધક ‘હું છું’ રૂપે પોતાની જાતને માને છે ત્યાં જ પરમાત્મા બિરાજમાન છે પરંતુ પરમાત્માથી વિમુખ થઇને સંસાર સાથે પોતાનો સબંધ માની લેવાના કારણે પોતાની જાતમાં રહેલા પરમાત્માનો અનુભવ થતો નથી. કર્મયોગનું સારી રીતે અનુષ્ઠાન કરવાથી જ્યારે સંસાર સાથે સર્વથા સબંધ-વિચ્છેદ થઇ જાય છે ત્યારે તેને પોતાની જાતમાં જ તત્વનો સુખપૂર્વક અનુભવ થઇ જાય છે.
