સોલર પીવી ટેકનિશિયનની તાલીમ મેળવી પુરુષપ્રધાન ટેકનિકલ ક્ષેત્રે સફળતાનો નવો માર્ગ કંડારતી ગ્રામ્ય યુવતી
ભાવિકા લીંબાસીયા
માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર
દીકરીઓ જ્યારે પોતાના સપનાઓને અડગ સંકલ્પમાં પરિવર્તિત કરે છે, ત્યારે સમાજ અને દેશના ઇતિહાસમાં એક નવો સ્વર્ણિમ અધ્યાય લખાય છે. સામાન્ય પરિવારમાં જન્મેલી એક ગ્રામ્ય યુવતી જ્યારે પોતાના અથાક પરિશ્રમ, કૌશલ્ય અને આત્મવિશ્વાસના બળે દેશના સર્વોચ્ચ રાષ્ટ્રીય સમારોહ સુધી પહોંચે છે, ત્યારે તેની આ સફળતા વ્યક્તિગત સિદ્ધિ પૂરતી મર્યાદિત ન રહેતાં સમગ્ર સમાજ માટે પ્રેરણાનો દીપસ્તંભ બની જાય છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના નાનકડા ભરાડા ગામની દીકરી પાયલ મુંજપરાએ પણ આવી જ એક ગૌરવવંતી અને પ્રેરણાદાયી ગાથા આલેખી છે.
સૂર્યઊર્જાના ક્ષેત્રમાં પોતાના સમર્પિત કાર્યથી રાષ્ટ્રીય સ્તરે આગવી ઓળખ ઊભી કરનાર પાયલ હવે ૧૫ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા ખાતે યોજાનારા સ્વતંત્રતા દિવસના રાષ્ટ્રીય સમારોહમાં ’વિશેષ અતિથિ’ તરીકે ઉપસ્થિત રહેશે. ભારત સરકારના ’જન ભાગીદારી’ અભિગમ હેઠળ દેશના ખૂણે-ખૂણેથી સમાજ અને રાષ્ટ્ર નિર્માણમાં નોંધપાત્ર યોગદાન આપનાર નાગરિકોને સન્માનિત કરવાના ભાગરૂપે પાયલને આ દુર્લભ આમંત્રણ પ્રાપ્ત થયું છે. લાલ કિલ્લા પરથી જ્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તિરંગો ફરકાવી રાષ્ટ્રને સંબોધિત કરશે, ત્યારે તે ઐતિહાસિક ક્ષણની સાક્ષી બનીને પાયલ સમગ્ર સુરેન્દ્રનગર અને ગુજરાતનું ગૌરવ વધારશે.
પાયલની આ સફળતા પાછળ ભારે સંઘર્ષ અને દ્રઢ મનોબળ રહેલાં છે. સામાન્ય ગ્રામીણ પૃષ્ઠભૂમિ ધરાવતી આ યુવતીને બાળપણથી જ કંઈક અલગ અને દેશોપયોગી કાર્ય કરવાની તમન્ના હતી. પોતાનું શિક્ષણ પૂર્ણ કર્યા બાદ તેણે પરંપરાગત વ્યવસાયોનો માર્ગ પસંદ કરવાને બદલે ’સેવા’ () સંગઠન સાથે જોડાઈને સોલર એનર્જી ક્ષેત્રમાં પ્રોફેશનલ તાલીમ મેળવવાનું નક્કી કર્યું. વિજ્ઞાન અને ટેકનિકલ ક્ષેત્રમાં સોલર પીવી ટેકનિશિયન તરીકેની તાલીમ પૂર્ણ કરીને આજે તે સોલર પેનલ ઇન્સ્ટોલેશન, ફિટિંગ, વાયરિંગ અને મેન્ટેનન્સ જેવા જટિલ ટેકનિકલ કામોમાં પૂર્ણ નિપુણતા ધરાવે છે.
એક સમય હતો જ્યારે ભારે સાધનો અને ફિલ્ડ વર્કવાળા ટેકનિકલ ક્ષેત્રોમાં માત્ર પુરુષોનું પ્રભુત્વ જોવા મળતું હતું, પરંતુ પાયલે પોતાની કાર્યકુશળતાથી આ માન્યતાઓને પડકારીને એક નવી ઓળખ ઊભી કરી છે. તે સોલર પેનલ લગાવવાની કામગીરીની સાથે સાથે ગ્રામીણ યુવતીઓ અને મહિલાઓને કૌશલ્ય વિકાસ, રોજગાર અને આત્મનિર્ભરતા અંગે પણ જાગૃત કરી રહી છે. તેના માર્ગદર્શન હેઠળ આજે અનેક યુવતીઓ ટેકનિકલ તાલીમ મેળવીને આત્મનિર્ભર બની રહી છે, જે હરિત ઊર્જા અને મહિલા સશક્તિકરણ બંને ક્ષેત્રોને નવી દિશા આપી રહ્યું છે.
પાયલના આ સમર્પિત અને પરિવર્તનકારી કાર્યની નોંધ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ પોતાના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ ’મન કી બાત’ના ૧૩૨મા એપિસોડમાં લીધી હતી. વડાપ્રધાનશ્રીએ પાયલના કાર્યોના મુક્તકંઠે વખાણ કરીને તેને ગ્રામીણ ભારતની યુવતીઓ માટે એક આદર્શ ઉદાહરણ ગણાવી હતી. દેશના સર્વોચ્ચ નેતૃત્વ દ્વારા મળેલી આ રાષ્ટ્રીય ઓળખ બાદ હવે સ્વતંત્રતા દિવસના રાષ્ટ્રીય સમારોહમાં વિશેષ અતિથિ તરીકે મળેલું સન્માન તેની આ સફરની સુવર્ણ સિદ્ધિ સમાન છે.
આજે જ્યારે ભારત ’વિકસિત ભારત ૨૦૪૭’ના સંકલ્પ સાથે આગળ વધી રહ્યું છે, ત્યારે પાયલ મુંજપરા જેવી દીકરીઓ કૌશલ્ય વિકાસ, હરિત ઊર્જા, મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભરતાના સ્તંભોને મજબૂત કરી રહી છે. આ સફળતા સાબિત કરે છે કે યોગ્ય તક અને દ્રઢ સંકલ્પ હોય તો ગામડાની દીકરી પણ દેશના સર્વોચ્ચ મંચ સુધી પહોંચી શકે છે.
પોતાની આ અભૂતપૂર્વ સિદ્ધિ અંગે હર્ષ અને આભાર વ્યક્ત કરતાં પાયલ મુંજપરા જણાવે છે કે, ‘‘મેં ’સેવા’ સંગઠન સાથે જોડાઈને સોલર પીવી ટેકનિશિયનની તાલીમ લીધી છે. આ તાલીમના આધારે જ હું આજે સોલર ક્ષેત્રમાં સફળતાપૂર્વક કામ કરી રહી છું. તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ’મન કી બાત’ના ૧૩૨મા એપિસોડમાં મારી કામગીરીનો ઉલ્લેખ કર્યો, તેનો અમને ખૂબ જ આનંદ થયો હતો. હવે ૧૫મી ઓગસ્ટના રાષ્ટ્રીય સમારોહ માટે અમને વિશેષ આમંત્રણ મળ્યું છે. મને સ્વપને પણ ખ્યાલ નહોતો કે, મને દિલ્હી જઈને આવા ઐતિહાસિક કાર્યક્રમમાં ભાગ લેવાનો અને રાષ્ટ્રપતિ ભવનના મહેમાન બનવાનો મોકો મળશે. મારા આ નાના કાર્યને આટલું મોટું સન્માન આપવા બદલ હું ભારત સરકારનો હૃદયપૂર્વક આભાર માનૂં છું.‘‘
દીકરીની આ અવિશ્વસનીય ક્ષમતા અને રાષ્ટ્રીય સ્તરે થયેલા સન્માન અંગે પાયલના પિતા જીતેન્દ્રભાઈ મુંજપરા પોતાના ભાવ વ્યક્ત કરતાં કહે છે કે, ‘‘મારી દીકરી આજે સોલર પીવી ટેકનીશિયનની તાલીમ મેળવી ખૂબ જ ખંતપૂર્વક કામ કરી રહી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ’મન કી બાત’માં તેની નોંધ લીધી તે જ અમારા માટે ખૂબ મોટા ગૌરવની વાત હતી. તેના અનુસંધાને આજે રાષ્ટ્રપતિ ભવન તરફથી ૧૫મી ઓગસ્ટે દિલ્હી ખાતે ઉપસ્થિત રહેવા માટે નિમંત્રણ પત્ર મળ્યો છે. આપણી દીકરીને આટલું મોટું રાષ્ટ્રીય સન્માન મળે તે સમગ્ર પરિવાર માટે અત્યંત હરખની ક્ષણ છે, તે બદલ હું સરકારશ્રીનો આભાર વ્યક્ત કરું છું.‘‘
ગામની દીકરીની આ ઐતિહાસિક સિદ્ધિથી ભરાડા ગામમાં પણ ઉત્સવનો માહોલ છે. ગામના સ્થાનિક અગ્રણી રમણિકભાઈ શિવાભાઈ પટેલે હરખ વ્યક્ત કરતાં જણાવ્યું કે, ‘‘અમારા ગામની દીકરી પાયલબેનને રાષ્ટ્રપતિ ભવનમાંથી આમંત્રણ આવ્યું છે અને ૧૫મી ઓગસ્ટે તેમને દિલ્હી બોલાવ્યા છે. અમારા ગામની દીકરી આવા રૂડા કાર્યમાં આગળ વધે અને દેશમાં ગામનું નામ રોશન કરે, તે બદલ અમે ખૂબ રાજી થયા છીએ. આ તકે અમે સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.‘‘

