ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે ચાર અલગ-અલગ સ્પેશિયલ ટીમોની રચના કરી છે
Surat ,તા.૫
સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ખુલ્લા મેદાનમાં દિનદહાડે સતીશ મરાઠે નામના યુવકની તીક્ષ્ણ હથિયાર વડે નિર્મમ હત્યા કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ ભેસ્તાન પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ શરૂ કરી હતી.
પ્રાથમિક માહિતી અનુસાર, બપોરે આશરે ૪ વાગ્યાથી ૪ઃ૧૫ વાગ્યાના સમયગાળા દરમિયાન સતીશ મરાઠે પર ૪થી ૫ જેટલા શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો. હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયાર વડે એક પછી એક ઘા ઝીંકતા સતીશ ગંભીર રીતે ઘાયલ થયો હતો. ગંભીર ઇજાઓના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આશરે પાંચ વાગ્યા સુધીમાં પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ તપાસમાં એક મહત્વની માહિતી સામે આવી છે કે જ્યારે હુમલો થયો ત્યારે સતીશ પોતાની કારમાં તેની પ્રેમિકા સાથે હાજર હતો. અચાનક હુમલાખોરો તૂટી પડતાં સમગ્ર ઘટના થોડા જ મિનિટોમાં બની ગઈ હતી. હુમલા બાદ પોલીસ દ્વારા સતીશની પ્રેમિકાને ઘટનાની જાણકારી આપવામાં આવી હતી અને હાલ તેની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ માટે આ યુવતીનું નિવેદન તપાસમાં મહત્વની કડી બની શકે છે.
પોલીસના પ્રાથમિક તારણ મુજબ હત્યા પાછળ અંગત અદાવત અથવા પ્રેમ સંબંધિત વિવાદ જવાબદાર હોઈ શકે છે. જોકે હજુ સુધી કોઈ એક કારણને અંતિમ માનવામાં આવ્યું નથી. તપાસ દરમિયાન એવી પણ માહિતી સામે આવી છે કે મૃતક સતીશ મરાઠે ગંભીર પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું પોલીસના રેકોર્ડમાં નોંધાયેલું છે. આ ઉપરાંત, સૂરિયા મરાઠી નામના શખ્સની સંડોવણી અંગે પણ પોલીસને મહત્વની માહિતી મળી છે અને તેના આધારે તપાસને વધુ વેગ આપવામાં આવ્યો છે.
તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે મૃતક અને સંભવિત આરોપીઓ ગોડાદરા વિસ્તારના રહેવાસી છે. સતીશ ભેસ્તાનના આ ખુલ્લા મેદાનમાં શા માટે આવ્યો હતો, કોને મળવા આવ્યો હતો અને હુમલા પહેલાં તેની કોની સાથે વાતચીત થઈ હતી તે સહિતની તમામ વિગતો પોલીસ એકત્ર કરી રહી છે. આસપાસના વિસ્તારોના સીસીટીવી કેમેરાના ફૂટેજ, મોબાઇલ કોલ ડિટેઇલ્સ તેમજ ટેક્નિકલ સર્વેલન્સના આધારે આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે ચાર અલગ-અલગ સ્પેશિયલ ટીમોની રચના કરી છે. આ ટીમોને શહેરના વિવિધ વિસ્તારો તેમજ સંભવિત ઠેકાણાઓ પર તપાસ માટે રવાના કરવામાં આવી છે. પોલીસને વિશ્વાસ છે કે ટૂંક સમયમાં હત્યામાં સંડોવાયેલા તમામ આરોપીઓને ઝડપી પાડી સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલી લેવામાં આવશે.
દિવસના સમયે જાહેર સ્થળે બનેલી આ હત્યાની ઘટનાએ સ્થાનિકોમાં ભયનો માહોલ ઉભો કર્યો છે. લોકોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે પણ ચર્ચા શરૂ થઈ છે. હાલ સમગ્ર મામલે ભેસ્તાન પોલીસ દ્વારા વિવિધ એંગલથી તપાસ ચાલુ છે અને આરોપીઓની ધરપકડ બાદ જ હત્યા પાછળનું સાચું કારણ સ્પષ્ટ થશે.

