Sri Lanka તા. 14
ભારતીય ક્રિકેટ ટીમનાં બોલિંગ કોચ મોર્ને મોર્કેલે ગુરૂવારે સંકેત આપ્યો હતો કે શ્રીલંકા સામેની પહેલી ટેસ્ટ મેચમાં ભારત પોતાનાં ત્રણેય ડાબોડી (લેફ્ટ આર્મ) સ્પિનરોને મેદાનમાં ઉતારી શકે છે. તેમણે કહ્યું કે કુલદીપ યાદવ, માનવ સુથાર અને રવિન્દ્ર જાડેજા ત્રણેય અલગ-અલગ રીતે બોલિંગ કરીને વિકેટો લઈ શકે છે.
કુલદીપ કાંડાના ઉપયોગથી સ્પિન કરાવીને બેટ્સમેનને થાપ આપી શકે છે, જાડેજાની એકદમ સચોટ બોલિંગ મોટામાં મોટા બેટ્સમેનને પણ પરેશાન કરી શકે છે, જ્યારે સુથાર એકદમ સાદી અને પરંપરાગત સ્ટાઈલના ડાબોડી સ્પિનર છે.
આવડત અલગ-અલગ
મોર્કેલે કહ્યું, ‘કુલદીપ આપણી સાથે છે અને તે આક્રમક રીતે બોલિંગ કરે છે. તેનો અનુભવ અને સ્તર આપણા માટે ખૂબ જ મહત્વના છે. મારા મતે આ ત્રણેય બોલરો એકબીજાથી અલગ છે. સુથાર બોલને થોડો વધુ સ્પિન (ટર્ન) કરાવે છે, જાડેજા એકદમ ચોક્કસ જગ્યાએ બોલ ફેંકે છે. એટલે ત્રણ ડાબોડી સ્પિનરો રમાડવામાં આપણને કોઈ વાંધો કે ચિંતા નથી.’ મોર્કેલે આગળ કહ્યું, ‘મેચ દરમિયાન કેપ્ટન શુભમન ગિલ આ બોલરોનો ક્યારે અને કેવી રીતે ઉપયોગ કરે છે, તેના પર બધો આધાર રહેશે.’
બોલ નરમ થાય ત્યારે શું કરવું?
મોર્કેલે કહ્યું, “કૂકાબુરા બોલ થોડો જૂનો અને નરમ થઈ જાય પછી આપણે સતત ઝડપથી ઓવરો ફેંકીને સામેની ટીમ પર દબાણ બનાવવું પડશે. છેલ્લા એક અઠવાડિયાથી ખેલાડીઓ જે રીતે મહેનત કરી રહ્યા છે તે જોઈને મને બહુ ખુશી થઈ છે.” તેમણે આગળ ઉમેર્યું, “બધો ખેલ મગજ અને વિચારોનો છે.
જો તમે ફાસ્ટ બોલર છો, તો 20થી 35 ઓવર પછી બોલ નરમ પડી જાય છે, પણ તે પછી આપણે શું કરવું એ મહત્વનું છે.’ મોર્કેલે કહ્યું, ‘આપણે સમજદારી બતાવીને ક્રીઝનો ઉપયોગ કરવો પડશે અને શોર્ટ બોલથી વિરોધીઓને પરેશાન કરવા પડશે. આવી સ્થિતિમાં આપણે ઝડપી નિર્ણયો લઈને પૂરી તાકાતથી બોલિંગ કરવી પડશે.’
પીચ સારી દેખાઈ રહી છે
મોર્કેલે જણાવ્યું કે ભારતનો સ્પિન એટેક ખૂબ જ આક્રમક વિકલ્પ આપે છે, ખાસ કરીને ગોલની પીચને જોતાં જ્યાં મેચ આગળ વધશે તેમ સ્પિનરોને વધુ મદદ મળવાની આશા છે. તેમણે કહ્યું, ‘જો તમે આ મેદાનનો જૂનો ઈતિહાસ જુઓ, તો ત્રણ સ્પિનરો સાથે મેદાનમાં ઉતરવું જ સૌથી સાચો રસ્તો લાગે છે. આપણી સ્પિન બોલિંગ ખૂબ આક્રમક છે અને આ પીચ પણ સારી દેખાઈ રહી છે.’
વરૂણ કે કૃષ્ણામાંથી એકને તક
મોર્કેલે કહ્યું કે ટીમે દરેક પરિસ્થિતિ માટે તૈયારી કરી લીધી છે. આ માટે મગજ મજબૂત રાખવું, લાંબો સમય બેટિંગ કરવી અને યોગ્ય જગ્યાએ બોલિંગ કરવી જરૂરી છે. અનુભવી મોહમ્મદ સિરાજ સિવાય ફાસ્ટ બોલિંગમાં ગુરનૂર બરાડ અથવા પ્રસિદ્ધ કૃષ્ણામાંથી કોઈ એકને તક મળશે, જેમની પાસે ટેસ્ટ મેચ રમવાનો ઓછો અનુભવ છે. મોર્કેલે આગળ કહ્યું, “આ બહુ રોમાંચક રહેશે. આ ખેલાડીઓ ઘરેલું ક્રિકેટમાં ઘણું રમેલા છે જ્યાં પરિસ્થિતિ અઘરી હોય છે. અહીં આવ્યા પછી આપણો સૌથી મોટો પડકાર ગરમી અને બફારા સામે ટકી રહેવાનો હશે.”
શ્રીલંકા પાસે પણ પ્રભાત-રમેશની જોડી
ગોલનું મેદાન શ્રીલંકાના બે મુખ્ય સ્પિનર પ્રભાત જયસૂર્યા અને રમેશ મેન્ડિસનો ગઢ ગણાય છે. આ મેદાન પર આ બંને સ્પિનરો સતત વિરોધી બેટ્સમેનો પર હાવિ રહ્યાં છે અને બંનેએ મળીને અહીં 145 વિકેટો ઝડપી છે.
ડાબોડી સ્પિનર પ્રભાત જયસૂર્યાએ માત્ર 11 ટેસ્ટમાં 81 વિકેટો લીધી છે. ઓફ સ્પિનર રમેશ મેન્ડિસે 12 ટેસ્ટમાં 64 વિકેટો પોતાના નામે કરી છે. ડાબોડી સ્પિનર પ્રભાતે આ જ મેદાન પર માત્ર 7 ટેસ્ટ મેચોમાં 50 વિકેટ પૂરી કરીને એક જ મેદાન પર સૌથી ઝડપી 50 ટેસ્ટ વિકેટ લેવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે.

