દેરડી-લાઠી વચ્ચે અંદાજે ૩૦ જેટલા અનધિકૃત દબાણો દૂર કરાયા
(મિલાપ રૂપારેલ દ્વારા)
Amreli,તા.૧૧
અમરેલી જિલ્લામાં રસ્તા વપરાશકર્તાઓની સલામત અને સુગમ અવરજવર સુનિશ્ચિત કરવા માટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા, રાજકોટ દ્વારા નેશનલ હાઈવે પર આવેલા અનધિકૃત દબાણો દૂર કરવાની સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ કામગીરીના ભાગરૂપે આજે દેરડીથી લાઠી વચ્ચેના નેશનલ હાઈવેમાં આવેલા અંદાજે ૩૦ જેટલા અનધિકૃત દબાણો દૂર કરવામાં આવ્યા હતા. અમરેલી જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી તેમજ પોલીસ બંદોબસ્ત હેઠળ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે રીતે આ કામગીરી કરવામાં આવી હતી.
નેશનલ હાઈવે પર આવેલા અનધિકૃત દબાણોના કારણે વાહનવ્યવહારને અવરોધ થવાની તેમજ માર્ગનો ઉપયોગ કરતા વાહનચાલકો અને અન્ય રસ્તા વપરાશકર્તાઓની સલામતી પર પ્રતિકૂળ અસર થવાની સંભાવના રહે છે. માર્ગ સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને આવા અનધિકૃત દબાણો દૂર કરવાની કામગીરી આગળ પણ સતત ચાલુ રાખવામાં આવશે.
આ ઉપરાંત, નેશનલ હાઈવે પર અનધિકૃત રીતે દબાણ કરનારા તમામ દબાણકર્તાઓને જાહેર હિત તથા માર્ગ સલામતીને ધ્યાને લઈ પોતાના અનધિકૃત દબાણો સ્વેચ્છાએ તાત્કાલિક દૂર કરવા અપીલ કરવામાં આવે છે. જેથી નેશનલ હાઈવે પર વાહનવ્યવહાર સલામત, સુગમ અને અવરોધમુક્ત રહી શકે. જાહેર હિત અને માર્ગ સલામતીને સર્વોચ્ચ પ્રાધાન્ય આપી નેશનલ હાઈવેને દબાણમુક્ત રાખવા માટે આવી કામગીરી નિયમિતપણે ચાલુ રાખવામાં આવશે.

