Rajkot,તા.૧૮
રાજકોટમાં હત્યાના બનાવથી ચકચાર મચી છે. કાલાવડ રોડ પર આવેલી બાપા સીતારામ સોસાયટીમાં રહેતી ૫૫ વર્ષીય ગીતાબેન કિશોરભાઈ વાજાની તેમના જ ઘરમાં હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. ગીતાબેન ઘર નજીક બ્યુટી પાર્લર ચલાવીને જીવનનિર્વાહ કરતા હતા.
મળતી માહિતી મુજબ, આજે સવારે આશરે ૯ વાગ્યે ગીતાબેનનો પુત્ર આશિષ વાજા તેમની માતાના ઘરે આવ્યો હતો. ઘરમાં પ્રવેશ્યા બાદ તેણે માતાને જમીન પર લોહીલુહાણ અને બેભાન હાલતમાં પડેલા જોયા હતા. આથી તેણે તાત્કાલિક ૧૦૮ને જાણ કરી હતી.૧૦૮ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મહિલાની તપાસ કરતાં તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ સહિતનો પોલીસ સ્ટાફ પણ સ્થળ પર પહોંચ્યો હતો.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ગીતાબેન પોતાના પતિ કિશોરભાઈ અને પુત્ર આશિષથી અલગ રહેતા હતા. તેમનો અન્ય એક પુત્ર જીતુ અમદાવાદમાં રહે છે. ગીતાબેન એકલા રહેતા હોવાથી પરિવારજનો સમયાંતરે તેમની ખબરઅંતર પૂછવા માટે આવતા હતા.
ગીતાબેન ઘર નજીક જ બ્યુટી પાર્લર ચલાવતા હતા અને પોતાનું ગુજરાન ચલાવતા હતા. તેમના ઘરમાં બનેલી આ ઘટનાથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે.
આ હત્યા કેસમાં હત્યા કોણે અને કયા કારણોસર કરી તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. પ્રાથમિક રીતે કોઈ પરિચિત વ્યક્તિએ જ ઘટનાને અંજામ આપ્યો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, હત્યાનું ચોક્કસ કારણ અને આરોપી અંગે પોલીસ તપાસ પૂર્ણ
પોલીસ દ્વારા પરિવારજનો ઉપરાંત મૃતકને ઓળખતા અને તેમની સાથે સંપર્કમાં રહેલા લોકોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. ઘટનાસ્થળેથી મળેલા પુરાવા અને અન્ય વિગતોના આધારે તપાસ આગળ વધારવામાં આવી રહી છે.રાજકોટ શહેરમાં છેલ્લા ચાર દિવસમાં હત્યાનો આ બીજો બનાવ હોવાનું પણ સામે આવ્યું છે. જેના કારણે શહેરના ગુનાખોરીના બનાવોને લઈને ફરી ચર્ચા શરૂ થઈ છે.

