વ્યાજખોરો બેફામ બની ગયા, ખાખીનો કોઈ ડર રહ્યો ના હોય તેવો ઘાટ
(રવિ મોટવાણી દ્વારા)
Morbi તા.૧૮ઃ
મોરબી જીલ્લામાં પોલીસ લોક દરબાર કરીને વ્યાજખોરોના ત્રાસથી નાગરિકોને મુક્ત કરવાની ગમે તેટલી વાતો કરે વ્યાજખોરોને ડામવામાં પોલીસ નિષ્ફળ રહી હોય તેવા અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવતા રહે છે ટંકારા તાલુકાના નેકનામ ગામે ૨૯ લાખ વ્યાજે લીધા જેના બદલે રૂ ૨.૦૫ કરોડ ચૂકવ્યા છતાં વ્યાજખોરોએ વધુ ૫૦ લાખ પડાવવા માટે પઠાણી ઉઘરાણી કરી ધમકી આપતા ફિનાઈલ પી લીધું હતું પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
ટંકારા તાલુકાના નેકનામ ગામના રહેવાસી અને ચાની હોટેલ ચલાવતા લીંબાભાઈ માંડાભાઈ લામકા (ઉ.વ.૪૬) વાળાએ નેકનામ ગામે રહેતા આરોપીઓ રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજુભા દેવુભા ઝાલા અને વિક્રમસિંહ રાજુભા ઝાલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી લીંબાભાઈએ તેના દીકરા અને દીકરીના લગ્ન અને મકાનના રીનોવેશન માટે આરોપી રાજેન્દ્રસિંહ પાસેથી રૂ ૨૯.૭૦ લાખની રકમ ૨૦ ટકા વ્યાજે લીધી હતી તા. ૨૦-૦૫-૨૧ થી આજદિન સુધીમાં ફરિયાદીએ રૂ ૨,૦૫,૦૦,૦૦૦ ચૂકવી દીધા છે
છતાં આરોપીઓ રૂ ૫૦ લાખની પઠાણી ઉઘરાણી કરી ધમકી આપતા હતા જેથી ફરિયાદીએ ઘરના બાથરૂમમ રાખેલી ફિનાઈલ પી લેતા ઉલટીઓ થવા લાગતા સારવાર માટે પડધરી હોસ્પિટલ લઇ ગયા હતા ટંકારા પોલીસે બંને ઈસમો વિરુદ્ધ આઈપીસી કલમ ૩૮૪,૧૧૪ અને મની લેન્ડર્સ એક્ટ ૨૦૧૧ ની કલમ ૪૦,૪૨ મુજબ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે

