(નયના દવે દ્વારા)
Jamnagar તા.૫
જામનગર શહેરના પટેલ કોલોની વિસ્તારમાં આવેલ કંચનદીપ એપાર્ટમેન્ટમાં રહેતી એક પરિણીતાનું ચોથા માળની બાલ્કની પરથી નીચે પટકાતા કરુણ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે સિટી બી. ડિવિઝન પોલીસે અકસ્માત મોત નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસમાં નોંધાયેલી વિગતો મુજબ, પટેલ કોલોની, વિકાસગૃહ રોડ પર આવેલી કંચનદીપ એપાર્ટમેન્ટના ફ્લેટ નં. ૪૦૧માં રહેતા વત્સલભાઈ વિપુલભાઈ પટ્ટણી જાતે સોનીએ જાણ કરી હતી કે તેમની પત્ની નિકીતાબેન (ઉ.વ. ૨૫) ગત તા. ૪ ઓગસ્ટના રોજ બપોરે કોઈ સમયે ઘરની ચોથા માળની બાલ્કનીમાંથી નીચે પડી જતાં ગંભીર ઇજા પામ્યા હતા. તેમને તાત્કાલિક જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.આ બનાવ અંગે સિટી બી ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મામલામાં પીએસઆઇ જે.એસ. ગોવાણી વધુ તપાસ ચલાવી રહ્યા છે.

