Bhavnagar,તા.૯
ભાવનગરમાં થયેલા નકલી દારૂકાંડને લઈને એસએમસી દ્વારા તપાસનો ધમધમાટ હજુ પણ યથાવત છે. આજે આ સમગ્ર મામલાની તપાસનો ૨૧મો દિવસ શરૂ થયો છે. અત્યાર સુધીમાં એસએમસી દ્વારા કુલ ૪૦ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાંથી ૩૮ આરોપીઓને જેલ હવાલે કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. જ્યારે અન્ય આરોપીઓની પૂછપરછ અને તપાસની કાર્યવાહી પણ આગળ ચાલી રહી છે.
હાલમાં પોલીસ કર્મચારી રાજદીપસિંહ ગોહિલ અને દિલ્હીથી ઝડપાયેલો મનજીતસિંઘ સૈની પોલીસ રિમાન્ડ પર છે. રાજદીપસિંહ ગોહિલના ૧૧ સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે, જ્યારે મનજીતસિંઘ સૈનીના ૧૦ સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ છે. રિમાન્ડ દરમિયાન બંનેની પૂછપરછ કરવામાં આવી રહી છે અને આ પૂછપરછના આધારે વધુ આરોપીઓની ધરપકડ થાય તેવી શક્યતા પણ છે.
નકલી દારૂકાંડમાં સંડોવાયેલા એક શખ્સ અંગે સિહોર પોલીસ પણ તપાસ કરી રહી છે. હરદીપસિંહ મોરીની ધરપકડ બાદ સિહોર પોલીસે તેના રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે સિહોર પોલીસની માંગણીને મંજૂર કરીને હરદીપસિંહ મોરીના ૪ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે રિમાન્ડ દરમિયાન પોલીસ તેની પાસેથી સમગ્ર મામલાને લઈને વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરશે.
આ નકલી દારૂકાંડમાં પોલીસની ભૂમિકા અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને રાજદીપસિંહ ગોહિલની ભૂમિકા અંગે તપાસ ચાલી રહી છે. સમગ્ર મામલામાં અત્યાર સુધીમાં ૨ પીઆઇ સહિત કુલ ૫ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.એસએમસીના આઇજી ગાગનદીપ ગંભીર દ્વારા ભાવનગરમાં સતત ૬ દિવસ સુધી પોલીસની ભૂમિકા અંગે તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન એસપી,ડીવાયએસપી,પીઆઇ સહિતના પોલીસ અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી હતી. આ ઉપરાંત નકલી દારૂકાંડ સાથે સંકળાયેલા બુટલેગરોની પણ પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસ અધિકારીઓ અને બુટલેગરોની પૂછપરછ બાદ સમગ્ર તપાસનો રિપોર્ટ ગૃહ વિભાગને સોંપવામાં આવ્યો છે. હવે નકલી દારૂકાંડમાં પોલીસની ભૂમિકા કેટલી હતી અને સમગ્ર નેટવર્કમાં કોણ-કોણ સંડોવાયેલું હતું તે અંગેની તપાસ આગળ વધી રહી છે.
ભાવનગરના આ નકલી દારૂકાંડમાં અત્યાર સુધીમાં ૬૧ લોકો અસરગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. નકલી દારૂના સેવનના કારણે અનેક લોકોની તબિયત લથડી હતી. આ સમગ્ર ઘટનામાં સત્તાવાર રીતે અત્યાર સુધીમાં ૧૩ લોકોના મોત જાહેર કરવામાં આવ્યા છે. હાલ જીસ્ઝ્ર દ્વારા સમગ્ર મામલાની તપાસ સતત ચાલુ રાખવામાં આવી છે. આજે તપાસનો ૨૧મો દિવસ શરૂ થયો છે ત્યારે રિમાન્ડ પર રહેલા આરોપીઓની પૂછપરછમાં શું માહિતી સામે આવે છે અને તેના આધારે વધુ કેટલા લોકોની ધરપકડ થાય છે તેના પર સૌની નજર છે. બીજી તરફ પોલીસની ભૂમિકા અંગે ચાલી રહેલી તપાસમાં પણ આગામી દિવસોમાં વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે.

