Ahmedabad,તા.૧૯
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે શાકભાજીના ભાવમાં ફરી એકવાર વધારો થતાં ગૃહિણીઓનું ઘરખર્ચનું બજેટ ખોરવાયું છે. શહેરનાં વિવિધ શાકમાર્કેટ અને છૂટક બજારોમાં અનેક શાકભાજીના ભાવમાં છેલ્લા કેટલાક દિવસની સરખામણીએ ઉછાળો નોંધાયો છે. ખાસ કરીને રીંગણનો ભાવ રૂ.૧૨૦ પ્રતિ કિલો સુધી પહોંચતાં ગ્રાહકોને મોટો ઝટકો લાગ્યો છે.
વરસાદને કારણે આસપાસના વિસ્તારોમાંથી શાકભાજીની આવક અને ગુણવત્તા બંને પર અસર પડી હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. ખેતરોમાં પાણી ભરાવા, પરિવહનમાં મુશ્કેલી અને આવકમાં ઘટાડાની અસર સીધી છૂટક બજારના ભાવ પર પડી રહી છે. પરિણામે રસોડામાં વપરાતાં શાક ખરીદવા માટે પણ ગ્રાહકોને વધુ રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે.
શાકભાજીના ભાવ વધતાં ગૃહિણીઓ માટે રસોડાનું બજેટ સંભાળવું મુશ્કેલ બની રહ્યું છે. એક તરફ દાળ, તેલ અને અન્ય કરિયાણાની વસ્તુઓના ખર્ચ વચ્ચે હવે શાકભાજીના વધેલા ભાવનો વધારાનો બોજ આવ્યો છે. પરિણામે અનેક પરિવારો મોંઘાં શાકની જગ્યાએ સસ્તા વિકલ્પો તરફ વળી રહ્યા છે. વેપારીઓના જણાવ્યા મુજબ અમદાવાદમાં શાકભાજીની આવક મુખ્યત્વે આસપાસના ગ્રામ્ય વિસ્તારો ઉપરાંત અન્ય જિલ્લામાંથી થાય છે. ભારે વરસાદના કારણે કેટલાક માર્ગો પર પરિવહન ધીમું પડતાં તથા ખેતરમાંથી આવતી આવક ઘટતાં હોલસેલ બજારથી છૂટક બજાર સુધી ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.
શાકભાજી અને અંદાજિત ભાવ (પ્રતિ કિલોગ્રામ)ઃ રીંગણઃ રૂ. ૧૦૦થી ૧૨૦,ટામેટાંઃ રૂ. ૬૦થી ૮૦,ભીંડાઃ રૂ. ૮૦થી ૧૦૦,કોબીજઃ રૂ. ૫૦થી ૭૦,ફ્લાવરઃ રૂ. ૮૦થી ૧૦૦,ડુંગળીઃ રૂ. ૪૦થી ૬૦,બટાકાઃ રૂ. ૩૦થી ૪૦,કારેલાં : રૂ. ૧૦૦,ચોળીઃ રૂ. ૧૨૦,પરવળઃ રૂ. ૧૨૦,કંકોડાઃ રૂ. ૧૨૦,ગવારઃ રૂ. ૧૦૦
આકસ્મિક ભાવ વધારા પાછળનાં મુખ્ય કારણ : વરસાદને કારણે ખેતરમાં પાકને મોટું નુકસાન.,પાક બગડવાથી બજારમાં શાકભાજીની આવક ઘટતાં..ગ્રાહકોની માગ વધુ હોવાથી ભાવ આસમાને.

