New Delhi, તા.1
આગામી સમય માટે ભારતીય સેનાને લાંબા અંતરના ડ્રોન અને મિસાઈલથી સજજ કરવાના ભાગરૂપે ભારતે એક બાદ એક મધ્યમ અંતરના મિસાઈલનું પરિક્ષણ શરુ કર્યુ છે અને હવે હિન્દ મહાસાગરમાં નોટીસ ટુ એરમેન એટલે કે અહીથી પસાર થતા વિમાનો સહિત તમામને માટે એક એલર્ટ જાહેર કર્યુ છે.
અહી ભારત 2530 કી.મી.ના વિસ્તારમાં મધ્યમ દુરીના મિસાઈલનું પરિક્ષણ શરુ કરી રહ્યું છે. સતાવાર માહિતી મુજબ ભારતે આ ચેતવણી તા.6 અને 7 ઓગષ્ટ માટે જાહેર કરી છે જે સમય દરમ્યાન આ વિસ્તારમાં ભારતીય નૌકાદળ મધ્યમ અંતરના મિસાઈલનું એટલે કે સમુદ્રમાંથી હવામાં અને જમીન પર પ્રહાર કરી શકાય તેવા મિસાઈલનું પરિક્ષણ કરશે.
2530 કી.મી. ના વિસ્તારમાં હવાઈ સીમાથી દુર રહેવા તમામ વિમાનો અને અન્ય ઉડ્ડયન ડિવાઈસ માટે આ ચેતવણી છે. ઓડિસાના તટથી થોડે દુર અબ્દુલ કલામ દ્વીપમાં ભારત આધુનિક મિસાઈલ પ્રણાલીને ગોઠવવા માટે આગળ વધી રહ્યું છે.
માનવામાં આવે છે કે, ભારતનું આ પરિક્ષણ અગ્નિ-6 મિસાઈલનું હોઈ શકે છે. થોડા સમય પહેલા જ ભારતે જાહેર કર્યુ હતું કે અગ્નિ-6 એ 10 હજાર કી.મી. સુધી પ્રહાર કરી શકે તે રીતે તૈયાર કરાયુ છે અને કેન્દ્ર સરકારની મંજુરી મળતા જ તેના આખરી પરિક્ષણ શરુ કરાશે. ભારત અગાઉ જ અગ્નિ-5 મિસાઈલનું પરિક્ષણ કરી ચૂકયુ છે.

