ઓસ્ટ્રેલિયાના સ્ટુડન્ટ વિઝાના બહાને ઠગાઈ કરનાર અમદાવાદના શખ્સ સામે ગુનો દાખલ
(મિલન જોશી દ્વારા)
Junagadh તા.૩૦
જુનાગઢ મનપાના પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન સહિત ૨ સાથે રૂ. ૭૫.૩૬ લાખની ઠગાઈ થઈ હોવાનું પોલીસ દફતરે નોંધાયું છે, ઓસ્ટ્રેલિયાના સ્ટુડન્ટ વિઝાના બહાને ઠગાઈ કરનાર ગાંધીનગરના શખ્સ સામે ગુનો દાખલ થવા પામ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, જુનાગઢ મનપાના પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન રાકેશભાઈ રસીકભાઈ ધુલેશીયા એ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અમદાવાદ ખાતેની ઓફિસ ધરાવતા અજયસિંહ વાઘેલા સામે એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, તેના પુત્ર સોહીલ અને તેના મિત્ર હરેશભાઈ સાકરીયાના પુત્ર વિશ્વજીતને ઓસ્ટ્રેલિયા અભ્યાસ માટે મોકલવા માટે જાન્યુઆરી ૨૦૨૩ માં વિઝા પ્રક્રિયા શરૂ કરી હતી. આ માટે ફરિયાદી રાકેશભાઈ અને સાહેદ હરેશભાઈને આરોપી અજયસિંહ વાઘેલાએ પોતાની અમદાવાદ ખાતેની ઓફિસે તેઓને બોલાવ્યા હતા અને એડમિશન, વિઝા ફી, ટિકિટ તથા લીગલ ફંડના નામે રાકેશભાઈ પાસેથી રૂ. ૨૧,૨૯,૭૫૦ અને હરેશભાઈ પાસેથી રૂ. ૭૦,૪૩,૨૫૨ મળી કુલ રૂ. ૯૧,૭૩,૦૦૨ લઈ હતા. પરંતુ ઘણા લાંબા સમય બાદ પણ એડમિશન કે વિઝા ના આવતા, રાકેશભાઈ અને હરેશભાઈએ પોતાના નાણાં પરત માંગ્યા હતા. આરોપીએ શરૂઆતમાં નાણાં પરત આપવાના વાયદા કર્યા હતા બાદમાં રાકેશભાઈને રૂ. ૧૧.૨૮ લાખ અને હરેશભાઈને રૂ. ૫.૦૮ લાખ પરત કર્યા હતા. પરંતુ બાદમાં બાકી નીકળતા રૂપિયા પરત આપવાને બદલે ફોન બંધ કરી દીધા હતા. અને આરોપીએ રાકેશભાઈના રૂ. ૧૦,૦૧,૭૫૦ અને હરેશભાઈના રૂ. ૬૫,૩૪,૨૯૫ મળી કુલ રૂ. ૭૫,૩૬,૦૪૫ પરત ન આપી ફોન બંધ કરી ફરાર થઈ ગયો હતો.
આ અંગે જુનાગઢ મનપાના પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન રાકેશભાઈ રસીકભાઈ ધુલેશીયા એ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અમદાવાદ ખાતેની ઓફિસ ધરાવતા આરોપી અજયસિંહ વાઘેલા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
