Amreli, તા.6
માતૃભૂમિની સરહદો પર અપ્રતિમ શેર્ય અને સમર્પણના પ્રતીકસમા વીર જવાનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્તત કરવાના હેતુથી શાંતાબેન હરિભાઈગજેરા કેમ્પસ તથા અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે. કે. પારેખ કોમર્સ કોલેજ ખાતે સરહદે સ્નેહની રાખડી કાર્યક્રમનું અત્યંત ભાવસભર અને સંસ્કૃતિમય આયોજન કરવામાં આવ્યું હતું.
પવિત્ર રક્ષાબંધનના પર્વ નિમિત્તે, મા ભોમની રક્ષા કરતા સૈનિક ભાઈઓ પ્રત્યે આદર, પ્રેમ અને કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરતા કોલેજની વિદ્યાર્થીની બહેનોએ 60 પવિત્ર રાખડીઓ તથા સ્નેહ- સંવેદનાઓથી સભર પત્રો દિલ્હી સ્થિત આર્મી હેડ-ક્વાર્ટર ખાતે રવાના કર્યા હતા. દેશના સીમાડા સાચવતા વીર જવાનો સુધી બહેનોનો આ સ્નેહસેતુ પહોંચે તેવો આ મંગલ પ્રયાસ હતો.
આ સમગ્ર દેશભક્તિતપૂર્ણ કાર્યક્રમનું સફળ આયોજન અને સુચારૂ સંચાલન કોલેજના સીનિયર ડો.એમ. એમ. પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સુપેરે પાર પાડવા માટે એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડો. એ. બી. ગોરવાડિયા તથા પ્રોગ્રામ ઓફિસર ડો. એ. જી. પટેલ અને સમગ્ર ટીમે પ્રશંસનીય જહેમત ઉઠાવી હતી.

