Mumbai,તા.05
મુંબઈ પોલીસ વિભાગમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેણે સરકારી સેલેરી સિસ્ટમ પર મોટા સવાલો ઊભા કર્યા છે. જે કર્મચારીઓનું વાસ્તવિક અસ્તિત્વ જ નહોતું, તેમના નામે કરોડો રૂપિયાનો પગાર ચૂકવવામાં આવતો હોવાનો મોટો પર્દાફાશ થયો છે.
કાગળ પર નોંધાયેલા 10 કથિત બોગસ કર્મચારીઓને વર્ષ 2019-20 દરમિયાન અંદાજે રૂ. 6.41 કરોડ પગાર તરીકે ચૂકવી દેવામાં આવ્યા હતા. આ આખા કૌભાંડનો ખુલાસો આશરે છ વર્ષ પછી થયો, જ્યારે કર્મચારીઓનો ડેટા જૂના પે પોર્ટલ `સેવાર્થ’ પરથી નવા સોફ્ટવેર પ્લેટફોર્મ પર ટ્રાન્સફર કરવામાં આવી રહ્યો હતો.
બિન-પોલીસ વ્યક્તિઓને વિભાગના સ્ટાફ દર્શાવાયા
તપાસ દરમિયાન સામે આવ્યું કે, જે લોકોને દર મહિને સરકારી તિજોરીમાંથી પગાર આપવામાં આવી રહ્યો હતો, તેઓ મુંબઈ પોલીસના કર્મચારી હતા જ નહીં. આમ છતાં તેમના નામ સેલેરી લિસ્ટમાં સામેલ હતા અને દર મહિને તેમના બેંક ખાતામાં રકમ જમા થતી હતી.
આ મામલાનો ખુલાસો મુંબઈ પોલીસના ઉત્તર ક્ષેત્રીય વિભાગના એક અધિકારીની ફરિયાદ બાદ થયો હતો. ફરિયાદ મુજબ 10 બિન-પોલીસ વ્યક્તિઓને વિભાગના કર્મચારી દર્શાવીને નિયમિતપણે પગાર ચૂકવવામાં આવ્યો હતો.
FIRમાં જે 10 બોગસ કર્મચારીઓના નામ નોંધાયેલા છે, તેમાં રામદાસ ભોગલે, સુધાકર કદમ, સરજૂ યાદવ, ભગવત ભોસલે, ગુણાજી ખવકર, મહાદેવ હલદંકર, રાજેન્દ્ર સોનાર, ઉત્તમ થોરાત, સૂર્યકાંત પાટીલ અને પાંડુરંગ કદમનો સમાવેશ થાય છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આ બોગસ પગાર ચૂકવણું મુખ્યત્વે બે તબક્કામાં થયું હતું, જેમાં પહેલું ડિસેમ્બર 2019 થી ફેબ્રુઆરી 2020 અને બીજું જૂન 2020 થી સપ્ટેમ્બર 2020 દરમિયાન આચરાયું હતું.
તપાસમાં ખુલાસો થયો છે કે તે સમયે મંત્રાલય સ્તરના કેટલાક ક્લાર્કોએ મળીને બોગસ હાજરી પત્રક અને અન્ય રેકોર્ડ તૈયાર કર્યા હતા. બહારના લોકોના નામ પગાર યાદીમાં ઉમેરીને પગાર જારી કરાયો હતો.
આ કેસમાં પૂર્વ વહીવટી અધિકારી રામકિશન ગોસ્વામી, નાગેશ તલવડેકર અને વિજયા ચૌહાણ ઉપરાંત હેડ ક્લાર્ક અજય રાઠોડ અને સિનિયર ક્લાર્ક અમોલ મેશ્રામ સામે ઇગજ હેઠળ છેતરપિંડી અને કાવતરાની FIR નોંધાઈ છે. બોગસ સર્વિસ આઈડી અને DCPS આઈડી બનાવવાના આરોપસર વિજયા ચૌહાણ અને અમોલ મેશ્રામને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાયા છે.
આ મુદ્દે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, “આ મામલો વર્ષ 2020નો છે, આજનો નથી. જે લોકોએ ગડબડ કરી છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે અને આગળ પણ ચાલુ રહેશે. જ્યાં પણ શંકા અને પુરાવા મળશે ત્યાં પૂરી નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે.”

