હત્યાના એક મહિના પહેલાંથી રચાઈ હતી સાજિશ; કારખાનામાં ૧૨થી ૧૫ ફૂટ ઊંડો ખાડો તૈયાર કરી મૃતદેહ દાટી દેવાયો
સાયનાઇડ ભેળવેલા દારૂથી હત્યા બાદ સિમેન્ટનું પ્લાસ્ટર કરી પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ; ત્રણેય આરોપીઓ ઝડપાયા, ડીએનએ ટેસ્ટ સહિતની તપાસ શરૂ
(નયના દવે દ્વારા)
Jamnagar તા.૩૦
જામનગર જિલ્લામાં ચર્ચાસ્પદ બનેલા ચકચારી મર્ડર મિસ્ટ્રી પ્રકરણમાં પોલીસ તપાસ દરમિયાન એક પછી એક ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે. પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ આરોપીઓએ હત્યાની ઘટનાના અંદાજે એક મહિના પહેલાંથી જ સમગ્ર કાવતરું ઘડવાનું શરૂ કર્યું હતું.
તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ પૈકીના મુખ્ય સૂત્રધાર નિલેશ કછેટીયાએ ઉદ્યોગનગર વિસ્તારમાં કારખાનું ભાડે રાખ્યું હતું. ત્યાં મશીનરી ફિટ કરવાની હોવાનું કારણ દર્શાવી અગાઉથી અંદાજે ૧૨થી ૧૫ ફૂટ ઊંડો ખાડો તૈયાર કરવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ આ ખાડો મૃતદેહને દાટી દેવા માટે જ તૈયાર કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
તપાસ દરમિયાન આરોપી નીલેશે પોલીસ સમક્ષ સમગ્ર ઘટનાક્રમ અંગે મહત્વની કબૂલાત આપી હોવાનું જાણવા મળે છે. તેના આધારે ત્રીજા સાગરિત બલવીર દેવીરામ વર્મા દ્વારા સાયનાઇડની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું પણ બહાર આવ્યું છે.
યોજનાના ભાગરૂપે રાત્રિના સમયે કારખાનામાં દારૂની મહેફિલ ગોઠવવામાં આવી હતી, જેમાં મૃતક જીગ્નેશ માવદીયા તેમજ આરોપી નીલેશ અને બલવીર હાજર હતા. આ દરમિયાન મૃતકને જાણ ન પડે તે રીતે તેના દારૂના ગ્લાસમાં સાયનાઇડ ભેળવી દેવામાં આવ્યું હતું. મૃતકે દારૂની ચૂસ્કી લેતાં જ સાયનાઇડ શરીરમાં પ્રવેશતાં તેનું તાત્કાલિક મોત નીપજ્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
હત્યા બાદ આરોપીઓએ મૃતદેહને અગાઉથી તૈયાર કરાયેલા ખાડામાં દાટી દીધો હતો. ત્યારબાદ તેના પર માટી નાખી સિમેન્ટનું પ્લાસ્ટર કરવામાં આવ્યું હતું. ત્યાર પછી ફરી માટી ભરી વધુ એક વખત સિમેન્ટનો થર ચડાવી સ્થળને સંપૂર્ણપણે સામાન્ય દેખાય તે રીતે તૈયાર કરી પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ઘટનાના થોડા સમય બાદ આરોપીએ કારખાનું હવે ચલાવવાનું નથી તેમ જણાવી અંદાજે એકાદ મહિનાનું ભાડું ચૂકવી સ્થળ ખાલી કરી દીધું હતું. ત્યારબાદ આ જ કારખાનું અન્ય વ્યક્તિએ ભાડે લઈ ત્યાં મશીનરી પણ સ્થાપિત કરી દીધી હતી.
આરોપીઓએ પોલીસને સ્થળ બતાવ્યા બાદ કારખાનામાંથી મશીનરી હટાવી ખોદકામ હાથ ધરાયું હતું. પોલીસે વિડીઓ રેકોર્ડિંગ પણ કરાવ્યું હતું, અને ખોદકામ દરમિયાન મૃતકના હાડપિંજર ઉપરાંત કપડાં અને અન્ય કેટલાક અવશેષો મળી આવ્યા છે. આ અવશેષોની ઓળખ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
સમગ્ર પ્રકરણની તપાસ લાલપુરના આઈપીએસ અધિકારી પ્રતિભા રાવના માર્ગદર્શન હેઠળ પંચકોશી બી. ડિવિઝનના પી.આઈ. વી. જે. રાઠોડ, તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. હવે સૌપ્રથમ ડીએનએ પરીક્ષણની કાર્યવાહી હાથ ધરાશે, જેના માટે ફોરેન્સિક વિજ્ઞાનની મદદ લેવામાં આવશે. પોલીસે આ કેસમાં મૃતક ની પત્ની પૃથ્વી ઉર્ફે ભૂમિ, નિલેશ કછેટીયા અને બલવીર વર્મા સહિત ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. તેઓને અદાલત સમક્ષ રજૂ કરીને રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરાશે. રિમાન્ડ દરમિયાન સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન સહિતની વધુ તપાસ કરવામાં આવશે, જેથી હત્યાના કાવતરાની દરેક કડી સ્પષ્ટ થઈ શકે.

