જ્યાયસી ચેત્કર્મણસ્તે મતા બુદ્ધિર્જનાર્દન
તત્કિં કર્મણિ ઘોરે માં નિયોજયસિ કેશવ (ગીતાઃ૩/૧-૨)
અર્જુન કહે છે કે હે જનાર્દન ! જો તમે કર્મ કરતાં જ્ઞાનને ચઢીયાતું માનો છો તો પછી હે કેશવ ! મને આ યુદ્ધરૂપી ઘોર કર્મમાં કેમ જોડો છો? તમે મિશ્ર જેવાં વચનોથી મારી બુદ્ધિને જાણે મોહિત કરી રહ્યા છો તેથી આપ નિશ્ચિત કરીને તે એક વાતને કહો કે જેનાથી હું કલ્યાણને પ્રાપ્ત થાઉં.
અહી ભગવાનનાં બે સંબોધનછેઃજનાર્દન અને કેશવ.જનાર્દન દુષ્ટજનોનું જે અર્દન-નાશ કરે તે જનાર્દન.બીજો અર્થ છે આપ બધાંની યાચના પૂર્ણ કરવાવાળા છો.મનુષ્યના અંતઃકરણમાં એક કમજોરી રહે છે તે પ્રશ્ન કરીને જવાબના રૂપમાં પણ વક્તા પાસેથી પોતાની વાત કે સિદ્ધાંતનું જ સમર્થન ઇચ્છે છે.અહી અર્જુનમાં પણ હિંસાત્યાગરૂપી ભલાઇના વેશમાં કર્તવ્ય ત્યાગરૂપી બુરાઇ આવી છે.આથી તેઓ કર્તવ્યકર્મ કરતાં જ્ઞાનને શ્રેષ્ઠ માની રહ્યા છે.ભગવાન જ્યારે બંન્ને સેનાઓની વચમાં ભિષ્મ-દ્રોણ તથા રાજાઓની સામે રથને ઉભો રાખીને કહ્યું કે તૂં આ કુરૂવંશીઓને જો.ત્યારે અર્જુનને કૌટુબિક મોહ જાગૃત થયો.મોહ જાગૃત થવાથી તેમની વૃત્તિ યુદ્ધથી,કર્મથી ઉપરામ થઇને જ્ઞાન તરફી થઇ ગઇ કેમકે જ્ઞાનમાં યુદ્ધ જેવા ઘોરકર્મ કરવાં પડતાં નથી આથી અર્જુન કહે છે કે આપ મને ઘોર કર્મમાં કેમ જોડો છો?
અહી બુદ્ધિનો અર્થ જ્ઞાન કરવામાં આવ્યો છે.બુદ્ધિનો અર્થ સમબુદ્ધિ(સમતા) કરવામાં આવે તો વ્યામિશ્ર વચન સિદ્ધ નહી થાય.અર્જુન કહે છે કે આપ કહો છો કે કર્મ કર અને ક્યારેક કહો છો કે જ્ઞાનનો આશ્રય લે. આપનાં આ મિશ્ર જેવાં વચનોથી મારી બુદ્ધિ મોહિત થઇ છે.અર્જુન કહે છે કે મારૂં કલ્યાણ કર્મ કરવાથી થશે કે જ્ઞાનથી થશે? તે પૈકી આપ નક્કી કરીને મારા માટે એક વાત કહો જેથી મારૂં કલ્યાણ થઇ જાય.જ્યાં સુધી સંસારની સત્તા માનીએ છીએ ત્યાંસુધી કર્મ ભયંકર દેખાય છે કારણ કે સંસારની સત્તા માનવાથી દ્રષ્ટિ કર્મ તરફ રહે છે,પોતાના કર્તવ્ય તરફ રહેતી નથી.
હવે આગળના ત્રણ શ્ર્લોકોમાં ભગવાન અર્જુનને તેના પ્રશ્નોનો જવાબ આપતાં કહે છે..
લોકેઙસ્મિન્દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયાનઘ
જ્ઞાનયોગેન સાંખ્યાનાં કર્મયોગેન યોગિનામ્ (૩/૩)
હે નિષ્પાપ અર્જુન ! આ મનુષ્ય લોકમાં બે પ્રકારની નિષ્ઠા મારા વડે પહેલાં કહેવાઇ ચુકી છે એમનામાંથી જ્ઞાનીઓની નિષ્ઠા જ્ઞાનયોગ દ્વારા અને યોગીઓની નિષ્ઠા કર્મયોગ દ્વારા થાય છે.
અનધ એટલે નિષ્પાપ.શાસ્ત્રોમાં પાંચ હિંસાઓને અનિવાર્ય માની છે.ખાંડણીયામાં ખાંડવાથી,ઘંટીમાં દળવાથી,ચૂલા પર રસોઇ બનાવવાથી,પાણિયારામાં પાણી ભરવાથી અને સાવરણી દ્વારા ઘરની સફાઇ કરવાથી,પ્રયત્નપૂર્વક પાપ ન કરનારને નિષ્પાપ કહે છે.અર્જુન દ્વારા પોતાના શ્રેય(કલ્યાણ)ની વાત પુછાઇ જવી એ જ તેમની નિષ્પાપતા છે કેમકે પોતાના કલ્યાણની તીવ્ર ઇચ્છા થવાથી સાધકનાં પાપ નષ્ટ થઇ જાય છે.લોકે નો અર્થ મનુષ્ય શરીર સમજવો જોઇએ કેમકે જ્ઞાનયોગ અને કર્મયોગ-બંન્ને પ્રકારના સાધનોને કરવાનો અધિકાર મનુષ્ય શરીરમાં જ છે.નિષ્ઠા એટલે કે સમભાવમાં સ્થિતિ એક જ છે જેને જ્ઞાનયોગ અને કર્મયોગ આ બે રીતે પ્રાપ્ત કરી શકાય છે.સંસારમાં બે પ્રકારની નિષ્ઠાઓ છે તેવી જ રીતે સંસારમાં બે પ્રકારના પુરૂષો છે-ક્ષર અને અક્ષર. ક્ષરની સિદ્ધિ-અસિદ્ધિ,પ્રાપ્તિ-અપ્રાપ્તિમાં સમ રહેવું એ કર્મયોગ છે અને ક્ષરથી વિમુખ થઇને અક્ષરમાં સ્થિત થવું એ જ્ઞાનયોગ છે પરંતુ ક્ષર-અક્ષર બંન્નેથી ઉત્તમ પુરૂષ તો જુદો છે જેને પરમાત્મા નામથી ઓળખવામાં આવે છે.આવા પરમાત્માને સર્વથા સર્વભાવથી શરણે જવું એ ભગવન્નિષ્ઠા(ભક્તિયોગ) છે.સાંખ્યનિષ્ઠા અને યોગનિષ્ઠામાં તો જાણવું(વિવેક) મુખ્ય હોય છે અને ભગવન્નિષ્ઠામાં માનવું (શ્રદ્ધા-વિશ્વાસ) મુખ્ય છે.
પ્રકૃતિથી ઉત્પન્ન તમામ ગુણો જ ગુણોમાં વર્તી રહ્યા છે,તમામ ક્રિયાઓ ગુણોમાં-ઇન્દ્રિયોમાં થઇ રહી છે (૩/૨૮) અને મારો તેમની સાથે કોઇ જ સબંધ નથી-એવું સમજીને તમામ ક્રિયાઓમાં કર્તાપણાના અભિમાનનો ત્યાગ કરી દેવો એ જ્ઞાનયોગ છે.વર્ણ,આશ્રમ,સ્વભાવ અને પરિસ્થિતિ અનુસાર જે શાસ્ત્રવિહિત કર્તવ્યકર્મ સામે આવી જાય તેને તે કર્મ તથા તેના ફળમાં કામના-મમતા અને આસક્તિનો સર્વથા ત્યાગ કરીને કરવું તથા કર્મની સિદ્ધિ-અસિદ્ધિમાં સમ રહેવું એ કર્મયોગ છે.ભગવાને કર્મયોગનું વર્ણન ગીતા(૨/૪૭-૪૮)માં મુખ્યરૂપમાં કર્યું છે કે “કર્તવ્યકર્મ કરવામાં જ તારો અધિકાર છે ફળોમાં ક્યારેય નહી માટે તૂં કર્મોના ફળનો હેતુ પણ ના થા તથા તારી કર્મ ન કરવામાં પણ આસક્તિ ન થાઓ.તૂં આસક્તિ ત્યજીને તથા સિદ્ધિ અને અસિદ્ધિમાં સમબુદ્ધિ રાખીને યોગમાં સ્થિત થઇ કર્તવ્યકર્મો કર કેમકે સમત્વ એ જ યોગ કહેવાય છે તેમ કહ્યું છે.” જીવ અને જગતને પ્રધાનતા આપવાથી જ આ બંન્ને નિષ્ઠાઓ થઇ છે.જો જીવ અને જગતને પ્રધાનતા ન આપીને ફક્ત પરમાત્માને જ પ્રધાનતા આપવામાં આવે તો બે નિષ્ઠાઓ નહી પરંતુ ફક્ત અલૌકિક ભગવન્નિષ્ઠા એટલે કે ભક્તિ જ રહેશે. કોઇને નીચો ન માનવો,કોઇનું અહિત ન ઇચ્છવું અને કોઇનું અહિત ન કરીએ તો કર્મયોગ પ્રારંભ થઇ જાય છે.મારૂં કશુ જ નથી,મારે કશું ના જોઇએ અને મારે મારા માટે કશું કરવું નથી-આ સત્યને સ્વીકારી લે તો જ્ઞાનયોગનો આરંભ થઇ જાય છે.
ન કર્મણામનારમ્ભાન્નૈષ્કર્મ્યં પુરૂષોઙશ્નુતે
નચ સંન્યસનાદેવસિદ્ધિં સમધિગચ્છતિ (ગીતાઃ૩/૪)
માણસ ન તો કર્મનો આરંભ કર્યા વિના નિષ્કર્મતાનો અનુભવ કરે છે ન તો કર્મોના ત્યાગ માત્રથી સિદ્ધિને પ્રાપ્ત થાય છે.આ કર્મયોગમાં કર્મ કરવું અત્યંત આવશ્યક છે કારણ કે નિષ્કામભાવથી કર્મ કરવાથી જ કર્મયોગની સિદ્ધિ થાય છે.આ સિદ્ધિ મનુષ્યને કર્મ કર્યા વિના મળી શકતી નથી.મનુષ્યના અંતઃકરણમાં કર્મ કરવાનો જે વેગ વિદ્યમાન રહે છે તેને શાંત કરવા માટે કામનાનો ત્યાગ કરીને કર્તવ્યકર્મ કરવું આવશ્યક છે.કામના રાખીને કર્મ કરવાથી આ વેગ દૂર થતો નથી પરંતુ વધે છે.
કર્મયોગનું આચરણ કરવાવાળો મનુષ્ય કર્મોને કરતો રહીને જ નિષ્કર્મતાને પામે છે.જે સ્થિતિમાં મનુષ્યના કર્મો અકર્મ બની જાય છે એટલે કે બંધનકર્તા થતાં નથી તે સ્થિતિને નિષ્કર્મતા કહે છે.જેવી રીતે બીજને શેકવાથી તેમાંથી અંકુર ફુટવાની શક્તિ નષ્ટ થઇ જાય છે તેમ કામનાથી રહિત થઇને કરવામાં આવેલાં કર્મોનું ફળ ભોગવવું પડતું નથી.આથી નિષ્કામ મનુષ્યોના કર્મોમાં ફરીથી જન્મમરણના ચક્કરમાં ઘુમાવવાની શક્તિ રહેતી નથી.કામનાનો ત્યાગ ત્યારે જ થઇ શકે છે કે જ્યારે બધાં જ કર્મો પોતાના માટે નહી પરંતુ બીજાઓની સેવા માટે કરવામાં આવે કારણ કે કર્મ માત્રનો સબંધ સંસાર સાથે છે અને પોતાનો (સ્વરૂપનો) સબંધ પરમાત્મા સાથે છે.પોતાની સાથે કર્મનો સબંધ છે જ નહી એટલા માટે જ્યાંસુધી પોતાના માટે કર્મ કરીશું ત્યાં સુધી કામનાનો ત્યાગ નહી થાય અને જ્યાં સુધી કામનાનો ત્યાગ નહી થાય ત્યાં સુધી નિષ્કર્મતાની પ્રાપ્તિ નહી થાય.ફક્ત કર્મોનો સ્વરૂપથી ત્યાગ કરી દેવાથી સાંખ્યયોગીને સિદ્ધિ એટલે કે નિષ્કર્મતાની પ્રાપ્તિ થતી નથી.સિદ્ધિની પ્રાપ્તિના માટે તેણે કર્તાપણા(અહંતા)નો ત્યાગ કરવો આવશ્યક છે.
શ્રીમદ ભગવદગીતા મનુષ્યને વ્યવહારમાં પરમાર્થ સિદ્ધિની કળા શિખવાડે છે.તેનો આશય કર્તવ્ય કર્મ કરાવવામાં છે,છોડાવવામાં નહી એટલે ભગવાન કર્મયોગ અને જ્ઞાનયોગ-બંન્ને સાધનોમાં કર્મ કરવાની વાત કહે છે.જ્યારે સાધક પોતાનું કલ્યાણ ઇચ્છે છે ત્યારે તે સાંસારીક કર્મોથી ગભરાવવા લાગે છે અને તેને છોડવા માંગે છે.ભગવાનનો અભિપ્રાય કર્મોને સ્વરૂપથી છોડાવવાનો નથી પરંતુ કર્મ કરાવવામાં છે.અહી ભગવાન કર્મોમાં જે ઝેરીલો અંશ-કામના-મમતા અને આસક્તિ છે તેનો ત્યાગ કરીને જ કર્મ કરવાની આજ્ઞા આપે છે.સંપૂર્ણ કર્મત્યાગ શક્ય નથી.ગીતા તે બતાવતાં કહે છે કે..
ન હિ કશ્ચિત્ક્ષણમપિ જાતુ તિષ્ઠત્યકર્મકૃત્
કાર્યતે હ્યવશઃ કર્મ સર્વઃ પ્રકૃતિજૈર્ગુણૈઃ (ગીતાઃ૩/૫)
કોઇપણ માણસ કોઇપણ અવસ્થામાં ક્ષણમાત્ર પણ કર્મ કર્યા વિના રહી શકતો નથી કેમકે પ્રકૃતિને પરવશ થઇને આખાય માનવસમુદાયને પ્રકૃતિ જનિત ગુણો કર્મ કરાવી લે છે.કર્મયોગ-જ્ઞાનયોગ અને ભક્તિયોગ-કોઇપણ માર્ગમાં સાધક જ્ઞાની હોય કે અજ્ઞાની કર્મ કર્યા વિના રહી શકતો નથી.જાગૃત,સ્વપ્ન, સુષુપ્તિ કે મૂર્છા વગેરે કોઇપણ અવસ્થામાં મનુષ્ય કર્મ કર્યા વિના રહી શકતો નથી.પ્રકૃતિના પરવશ હોવાના કારણે તેને કર્મો કરવાં પડે છે.જે શારીરિક કે માનસિક ક્રિયાઓની સાથે મનુષ્ય પોતાનો સબંધ માની લે છે એ જ તમામ ક્રિયાઓ કર્મ બનીને તેને બાંધવાવાળી થાય છે.
કર્મો ત્રણ રીતે થતાં હોય છે. દૈવ(પ્રકૃતિ) પ્રેરીત..આપણે શ્વાસ લઇએ છે,લોહીનું પરીભ્રમણ થાય છે, હ્રદય ધબકે છે,ખાધેલું પચે છે વગેરે ક્રિયાઓ આપણી ઇચ્છા વિના નિદ્રાવસ્થામાં પણ થયા કરતી હોય છે, આ કુદરત પ્રેરીત કર્મ કહેવાય. પરપ્રેરીત..આપણે કર્મ ન કરવું હોય પણ બીજાના દબાણથી કર્મ કરવું પડતું હોય છે આ પરપ્રેરીત કર્મ કહેવાય. આવેગ પ્રેરીત કર્મ..શરીરના આવેગો ધક્કો મારીને તમારી પાસે કર્મ કરાવતા હોય છે.આવેગો ગુણોને આધિન હોય છે એટલે જ્યારે જે ગુણની પ્રધાનતા હોય ત્યારે તે ગુણ તેવા આવેગો વંટોળિયા ઉભા કરે જે જબરજસ્તી કર્મ કરાવી લેતા હોય છે.
પ્રકૃતિજન્ય ગુણો(પ્રકૃતિને) પરવશ થયેલા પ્રાણીઓ દ્વારા કર્મ કરાવે છે.પરવશ થવાથી પ્રકૃતિના ગુણો દ્વારા કર્મો કરાવાય છે કેમકે પ્રકૃતિ અને તેના ગુણો નિરંતર ક્રિયાશીલ છે.જો આત્મા સ્વયં નિષ્ક્રિય,અસંગ, અવિનાશી,નિર્વિકાર તથા નિર્લિપ્ત છે તો પણ જ્યાંસુધી પ્રકૃતિ અને તેનાં કાર્ય-સ્થૂળ,સુક્ષ્મ અને કારણ શરીરો પૈકી કોઇપણ શરીરની સાથે પોતાનો સબંધ માનીને તેના દ્વારા સુખ ઇચ્છે છે ત્યાંસુધી તે પ્રકૃતિને પરવશ રહે છે.આ જીવ જ્યાંસુધી પ્રકૃતિ અને તેના ગુણોથી અતિત બનતો નથી,પરમાત્માની પ્રાપ્તિ કરી લેતો નથી ત્યાંસુધી તે ગુણ-કાળ,સ્વભાવ વગેરેને પરવશ જ રહે છે.જ્યારે તે ગુણોથી અતિત પોતાના સ્વરૂપનો કે પરમાત્માતત્વનો અનુભવ કરી લે ત્યારપછી તેની પરવશતા રહેતી નથી.કર્મ કરવામાં તો આપણે પરતંત્ર છીએ પરંતુ તેમાં રાગ-દ્વેષ કરવામાં અથવા ન કરવામાં સ્વતંત્ર છીએ.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)

