Ahmedabad,તા.23
અમદાવાદ શહેરમાં ગુરુવારે સવારથી જ મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં આખા શહેરમાં જળબંબાકારની ગંભીર સ્થિતિ સર્જાઈ છે. સવારે 6 થી બપોરે 12 વાગ્યા સુધીના માત્ર 6 કલાકના સમયગાળામાં પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ અમદાવાદના વિસ્તારોમાં 5 થી 6 ઇંચ જેટલો મુશળધાર વરસાદ ખાબક્યો છે. આ આકાશી આફતને કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, પ્રહલાદનગરમાં વાહનો તરતા જોવા મળ્યા છે અને વિઝિબિલિટી લગભગ શૂન્ય થઈ જતાં જનજીવન ભારે પ્રભાવિત થયું છે.અમદાવાદ શહેરમાં ગુરુવાર સવારથી વરસી રહેલા અતિભારે વરસાદ અને સમગ્ર શહેરમાં સર્જાયેલી જળબંબાકારની સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદના જિલ્લા કલેક્ટરની ખાસ સૂચના બાદ જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) દ્વારા અમદાવાદ શહેર અને જિલ્લાની તમામ પ્રાથમિક, માધ્યમિક શાળાઓ તેમજ કોલેજોમાં આવતીકાલે (શુક્રવારે) રજા જાહેર કરવામાં આવી છે.
ભારે વરસાદ વચ્ચે શહેરના સૌથી વ્યસ્ત ગણાતા S.G. હાઈવે પર થલતેજથી ઇસ્કોન તરફના માર્ગે કિલોમીટરો લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. અતિભારે ટ્રાફિકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કાફલો પણ પેલેડિયમ મોલ ચાર રસ્તા પાસે લાંબો સમય સુધી ફસાઈ ગયો હતો. ટ્રાફિક હળવો કરવા માટે પેલેડિયમ મોલ પાસેનો રોડ કટ પણ ખોલવો પડ્યો હતો.પાણી ભરાવાના કારણે તંત્ર દ્વારા સુરક્ષાના ભાગરૂપે અખબાર નગર, પરિમલ, જલારામ, ઉસ્માનપુરા અને શાહીબાગ અંડરપાસ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત, ઉપરવાસમાંથી પાણીની ભારે આવક થતાં વાસણા બેરેજના 3 ગેટ ખોલી દેવાયા છે અને સાબરમતી નદી કિનારે ન જવાની નાગરિકોને કડક અપીલ કરવામાં આવી છે.

