હે ઈશ્વર.
આપનાં શ્રીચરણોમાં મારાં સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. આજનાં સમાજની એક બહુ મોટી કડવી વાસ્તવિકતા એ છે કે હકીકતમાં જે પોતે છે, એનાં કરતાં એને કંઈક વિશેષ છે, એવું બતાવવું છે, એટલે કે આજનો સમાજ ઘણી રીતે દંભી છે. દંભ અને પાખંડ એ બે ભક્તિમાર્ગના સૌથી મોટા અવરોધક પરિબળ છે! જીવ પાસે ઈશ્વરને બીજી કોઈ જ અપેક્ષા હોતી નથી, માત્ર એણે પોતે જેવાં છે તેવાં ઈશ્વર ચરણે જવાનું છે, અને પોતાનાંમાં જે ખામીઓ છે, એની સાથે એને સ્વીકાર કરવાનું કહેવાનું છે. પરંતુ આપણે તો જ્ઞાની છીએ, દાતા છીએ, અને બહુ ઊંચા દરજ્જાનાં ભક્ત છીએ, એવું જતાવવું છે, અને એ પણ ઈશ્વરને! એટલે કે માનવી હું શ્રેષ્ઠ કે હું મહાન એવી રમતો અંદરોઅંદર રમે, પણ ઈશ્વર નેય છેતરવા નો? એકરીતે જોઈએ તો જીવ માયા પાસે વિવશ છે! માયા એ ઈશ્વરનું જ એક સ્વરૂપ છે, પણ ઈશ્વરે આપણી આસપાસ જે માયાની જાળ પાથરી છે, એને આપણે મારું મારું નાં ચક્રમાં દૂષિત કરી દીધી, અને એટલે માયાના તાણાવાણા માંથી આપણે જીવનભર બહાર નીકળી શકતા નથી, અને અંતે હું કરું! હું કરું! એ જ અજ્ઞાનતા! એમ આપણે છીએ એટલે જ સચ્ચાઈ અને અચ્છાઈ છે એમ જીવીએ છીએ, અને એ પણ ભૂલી જઈએ છીએ કે, કર્તા ધર્તા તો ઈશ્વર જ છે. માનવીમાં, હું પણું તો ઠીક છે કે, કંઈક હાંસલ કર્યું હોય અને એટલે અભિમાન કરે. એટલે કે દાખલા તરીકે કોઈ મહત્વની ડીગ્રી મેળવી હોય, તો એનું અભિમાન આવે! કોઈ કલામાં પારંગત થયા તો અભિમાન આવે ! પરંતુ પોતા પણું છૂટતું નથી! અને એનો એનું ગૌરવ હોવું જોઈએ કે ભઈ ભારતમાં જન્મ થયો! ઉંચ કુળમાં જન્મ થયો! સંસ્કારી અને ખાનદાન માતાપિતા ને ઘરે જન્મ્યા! અહીં એને કંઈ જ પોતે કર્યું નથી, એટલે પોતા પણાનું અભિમાન એને ઘણીવાર મગરુર બનાવી મૂકે!: પહેલાંનો સમાજ આવાં ઉંચ નીચ નાં જ્ઞાતિવાદનાં કાવાદાવાથી ઘેરાયેલો હતો, અને અસ્પૃશ્યતાનાં દૂષણથી ખદબદતો હતો. એવે સમયે ભક્તિ માટે નરસિંહની પણ કંઈક કસોટી થઈ, અને આવું જ એક પદ આજનાં પ્રાર્થનાનાં ક્રમમાં.
** નરસિંહ મહેતા**
૧)એવા રે અમો એવા રે એવા, તમે કહો છો વળી તેવા રે,
ભક્તિ કરતાં જો ભ્રષ્ટ કહેશો તો કરશું દામોદરની સેવા રે..
હરીજન વાસમાં ભજન કીર્તન કરવાં ગયેલાં નરસિંહને જ્યારે નાગર જ્ઞાતિએ નાત બહાર કર્યા, ત્યારે એમણે પોતાની સંવેદના આ પદ દ્વારા રજૂ કરીને, સમાજને કહ્યું કે એવાં રે અમે એવાં! એટલે કે બિલકુલ તમે કહો છો એવા જ અમે છીએ, ભક્તિનો સંદર્ભ અહીં કર્મકાંડ પ્રેરિત છે, અને એટલે કહે છે કે ભક્તિ કરતા ભ્રષ્ટ થયાં, અને હવે અમને કર્મકાંડ કરવાનો અધિકાર નથી, એમ તમે કહેશો તો અમે દામોદરની સેવા કરીશું.
૨)જેનું મન જે સાથે બંધાણું, પહેલું હતું ઘર રાતું રે
હવે થયું છે હરિરસ માતું, ઘેર ઘેર હીંડે છે ગાતું રે..
માણેક સાથે લગ્ન કરીને ઘર સંસાર વસાવ્યો, અને પ્રેમનો લાલ રંગ ઘરમાં ઘોળાયો, છૈયા છોકરાં થયાં, અને ઘર રાતું થયું. પણ ભગવાનની ભક્તિનો મહિમા સમજાયો, એટલે આ ઘર હવે હરિરસથી છલોછલ ભરાયું, અને ભજન કીર્તન ગાવા ઘેર ઘેર હાલી નીકળે છે.
૩)સઘળા સંસારમાં હું એક ભૂંડો, ભૂંડાથી વળી ભૂંડો રે
તમારે મન માને તે કહેજો, નેહ લાગ્યો છે ઊંડો રે.
સમાજ થુંથું કરે છે! જાણે કે આખાં સમાજમાં હું જ ભૂંડો છું!’પણ તમે કહો છો એનાથી પણ હું ભૂંડો એટલે કે ખરાબ છું. તમને ઠીક પડે એ સંબોધનથી તમે મને બોલાવજો, પણ ભગવાન પ્રત્યે અંતરનો ભાવ જાગ્યો છે, અને ભક્તિ કરવાનો નેહ લાગ્યો છે.
૪)કરમ-ધરમની વાત છે, જેટલી તે મુજને નવ ભાવે રે
સઘળા પદારથ જે થકી પામ્યો, મારા પ્રભુની તોલે ન આવે રે..
કરમ ધરમ એટલે અહીં જ્ઞાતિ પ્રેરક વાત કરી છે, કે નાગર હોય એને આમ કરવું જોઈએ, બ્રાહ્મણ હોય એણે આ પ્રકારનાં કર્મકાંડ પ્રેરક કર્મ કરવાં જોઈએ, અને એ જ એનો ધર્મ છે! પણ મને તે ગમતું નથી, હું તો ભક્તિ કરતાં જ સઘળા પદાર્થ પામ્યો છું! એટલે અહીં સાંસારિક ભૌતિક પદાર્થની વાત નથી! વિષય સુખ કરતા પણ ઊંચા આનંદની વાત છે, અને એટલે જ કહ્યું મારા હરિની તોલે કંઈ ના આવે.
હળવા કરમનો હું નરસૈંયો, મુજને તો વૈષ્ણવ વહાલા રે
હરિજનથી જે અંતર કરશે, તેનાં ફોગટ ફેરા ઠાલાં રે..
પંડિત કે વિદ્વાન જેવું શાસ્ત્ર જ્ઞાન મારી પાસે નથી, હું તો હળવા કરમનો એટલે કે પળેપળ હરિનામ સંકીર્તન કરતાં કરતાં જીવનારો છું! મને વૈષ્ણવ વ્હાલા છે! અહીં વૈષ્ણવ જન વાળા વૈષ્ણવની વાત નરસિંહ મૂકે છે, કોઈ જ્ઞાતિ કે અટકની વાત નથી. એ સમયે ભલે કદાચ એ સમાજ તિરસ્કૃત હોય, પણ હરીજન શબ્દ પણ એ જ સંદર્ભમાં મુકાયો છે! એટલે કે જેને હરિએ જેવાં બનાવ્યા છે, એમાં એ ખુશ છે! એને પોતાનાં જન્મની કોઈ ફરિયાદ નથી! એ તો ઉંચ સમાજ એને વગર કારણે પ્રતાડિત કરે છે, અને એટલે જ નરસિંહ ભક્તનાં અધિકાર સાથે ઘોષણા કરતાં કહે છે કે, આવાં હરિજન નું જે જ્ઞાતિવાદમાં આવી અપમાન કરશે, એનો આ જન્મનો ફેરો મુક્તિ માટે ફોગટ સાબિત થશે.
નરસિંહ તો નરસિંહ છે, અને જેમ જેમ એનાં પદોનું રસપાન કરું છું, એમ એની નિર્મળતા અને પારદર્શકતા પર વારી જવાનું મન થાય છે! આ પદની વાત કરીએ તો ભક્તિમાં પોતાનાં ગુણોનો સ્વીકાર કરવાથી અડધી યાત્રા આમ જ પૂરી થઈ જાય છે! ભલભલાં લોકો જાહેરમાં, લોકો શું કહેશે! એ વાતે સમયના કેટલાંય મુકામ ચૂકી જાય છે, અને સાવ રમતમાં મળી જતી મુક્તિ એટલે કે જીવન મુક્તતા થી વંચિત રહી જાય છે. આ પદમાં સાવ સીધાસાદા શબ્દોમાં નરસિંહ બહુ મોટી ચાર વાત કહે છે! રાતું શબ્દ પ્રયોજીને રાગની વાત કરે છે, અને કહે છે કે રાગ માંથી જ અનુરાગ સુધી એટલે કે હરિરસ સુધી પહોંચી શકાય છે. ભક્તિ માર્ગે પદાર્પણ થાય એટલે સમાજ ભૂલ શોધશે જ અને ભૂંડા એટલે કે ગાળો પણ આપશે! પણ ભક્ત આ બધું અણદેખ્યુ કરી દે, પણ ભક્તિ છોડતાં નથી. ભક્તિ અને કર્મકાંડને સાવ નોખા બતાવે છે, જ્યારે આપણે કર્મકાંડને જ ભક્તિ માની લીધી, અને પ્રારબ્ધ પ્રમાણે જે કંઈ વિષય સુખ મળ્યું એને જ ભક્તિનું ફળ માની લીધું! અને સૌથી મોટી વાત હળવા કરમની કરી, એટલે કળિયુગમાં હરિ સાક્ષાત્કારનો સૌથી સરળ ઉપાય હરિનામ સ્મરણ છે, અને સ્મરણ પાકશે ત્યારે એને સૌમાં એ જ પરમ તત્વનાં દર્શન થશે! પોતે સાચો વૈષ્ણવ જન બની અને બધાં જ હરિનાં જન છે, એવો ભાવ થાય! તો પછી અંતર ક્યાં રહે! પણ ભક્તિના નામે દંભ અને પાખંડ વધાર્યા હોય, એને તો આ અંતર નડવાનું જ છે! અને મહામૂલો માનવ જન્મ ફોગટ ફેરા જેમ નકામો જશે! તો આપણે નરસિંહ જેમ અંગ અંગ ભક્તિ રંગે રંગાઈએ એવી ભક્તિ શકીએ, અને બીજું કંઈ નહીં તો એણે જેવાં બનાવ્યાં, એવાં ફરિયાદ વગરના નિર્મળ રહી શકીએ, એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી, હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવા ચિંતન મનન સાથે, તો સૌને મારાં આજનાં દિવસનાં સ્નેહ વંદન અને જય સીયારામ.
લી. ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

