મા આદ્યશક્તિનું મૂળ સ્વરૂપ કાલિ છે અને જ્યારે જ્યારે સમાજમાં દૂષણો વધે છે, ત્યારે એનો નાશ કરવા મા આદ્યશક્તિ ક્રાંતિ લાવવા માટે અવતરે છે! ભલે એનો બાહ્ય દેખાવ શાસ્ત્રોમાં વર્ણવેલા સ્વરૂપથી ભિન્ન હોય પણ એ પોતાના અડગ મનોબળ અને ક્રાંતિકારી વિચારોની મશાલ લઈને નીકળી પડે છે અને ધાર્યું કાર્ય કરીને જ રહે છે,આપણાં દેશમાં આવી તો કેટલીય વીરાંગનાઓ થઈ, પણ આઝાદી સમયમાં અંગ્રેજોના નાકે દમ લાવી શકે, એવી
સાચી વીરાંગના વિશે મહિલા દિવસ અંતર્ગત વાત ન કરીએ એ કેમ ચાલે! આમ પણ દુર્ગાનાં મુખ્ય ત્રણ સ્વરૂપમાં મહાકાલીનો પ્રથમ પરિચય છે, અને દુર્ગા દેવી એ અંગ્રેજો સામે સાચે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી સાક્ષાત દુર્ગાનો પરિચય આપ્યો હતો, તો આજે આપણે દુર્ગાનાં એ ક્રાંતિકારી સ્વરૂપ દુર્ગા દેવી વિશે વાત કરીશું.
7 ઓક્ટોબર 1907 મા પ્રયાગરાજ અલ્હાબાદમાં જેનો જન્મ છે, પણ એ છે ગુજરાતી વડનગરા નાગર. તેમનો જન્મ પિતા બાંકે બિહારીલાલ ભટ્ટ, વડનગરા નાગરને ત્યાં થયો હતો, તેમના પિતા એક નિવૃત્ત જજ હતાં. એમના જન્મબાદ થોડા સમયમાં જ એમના માતા ગુજરી ગયાં, અને પિતા એ સંન્યાસ લીધો, ત્યારબાદ તેમનો ઉછેર એમનાં માસી એ કર્યો! અને 11 વર્ષની ઉંમરે એમનાં લગ્ન જાણીતા વિવેચક અને ક્રાંતિકારી ભગવતીચરણ વોહરા સાથે થયા, જે પણ નાગર હતાં. દુર્ગા દેવી એ ચાર ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો, અને પતિનાં મૃત્યુ પછી પણ આજીવિકા માટે આગળ અભ્યાસ કર્યો હતો.
ભારતને આઝાદી અપાવી પ્રજાસત્તાક બનાવવામાં અનેક મહિલાઓએ યોગદાન આપ્યું છે, તેમાં સ્વાતંત્રસેનાની દુર્ગા ભાભીનો પણ મોટો ફાળો છે. સોન્ડર્સની હત્યા કર્યા પછી કલકત્તા મેલમાં અંગ્રેજોથી બચવા માટે અંગ્રેજ પતિ પત્નીનો વેશ ધારણ કરીને ભગતસિંહને કલકત્તા પહોંચાડયા હતા. તે હંમેશા પોતાની પાસે પિસ્તોલ રાખતાં હતાં. તેઓ ક્રાંતિકારી સ્વાતંત્ર સેનાની ભગવતિ ચરણ વોહરાના ધર્મ પત્ની હતા.
ભગવતી ચરણ વોહરાના પિતા રેલવે ખાતામાં ઉચ્ચ પદ પર બિરાજમાન હતાં, છતાં ભગવતી ચરણ વોહરા બ્રિટિશ સરકાર સામે લડવા માટે તૈયાર કરેલાં એક ક્રાંતિકારી સંગઠનના સચિવ બન્યાં હતાં. તેઓ જ્યારે લાહોર યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતાં હતાં, ત્યારે તેમનો પરિચય ભગતસિંહ સાથે થયો હતો, અને તેમનાં અંગ્રેજો વિરુદ્ધ ક્રાંતિકારી વિચારોને વેગ મળ્યો હતો. દુર્ગાભાભી પણ પતિનાં પગલે ક્રાંતિકારીઓની મદદ માટે આગળ આવ્યાં હતાં. આ બંને દંપતિએ એ જમાનામાં રુપિયા 50 હજાર ક્રાંતિકારીઓ માટે ખર્ચ કર્યા હતા. ઇસ 1926માં ભગવતિ ચરણ વોહરાએ ભગતસિંહની સાથે લોહીથી લખાયેલા કાગળ પર હસ્તાક્ષર કર્યા હતા. ભગવતી ચરણ વોહરા 28 મે 1930ના રોજ રાવી નદીના કાંઠે તેમના સાથીઓની સાથે બોંબ બનાવી રહ્યાં હતાં, ત્યારે બોંબના પરીક્ષણ દરમિયાન શહીદ થયાં હતાં. પતિના શહિદ થયા પછી દુર્ગાભાભીએ ભગતસિંહ,ચંદ્રશેખર આઝાદ જેવા શહીદોને મદદ અને પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખ્યું હતું.
9 ઓકટોબર 1930 નાં રોજ દુર્ગાભાભીએ ગર્વનર હેલી પર ગોળીઓ છોડી, જેમાં હેલી બચી ગયો, પરંતુ તેનો એક સૈનિક અધિકારી ટેલર ઘાયલ થયો હતો. ત્યાર બાદ મુંબઇના પોલીસ કમિશ્નરને પણ દુર્ગાભાભીએ ગોળી મારી હતી, અને સાબિત કર્યું કે એક સામાન્ય સ્ત્રી પણ સમય આવ્યે વીરાંગના બની શકે છે, આથી પોલીસ આ ક્રાંતિકારી મહિલાની શોધખોળ પાછળ પડી ગઇ હતી. ભગવતી ચરણ વોહરાના પત્ની હોવાથી અન્ય ક્રાંતિકારી ઓમા એ દુર્ગા ભાભીના નામથી પ્રચલિત થયાં. મુંબઇમાં એક મકાનમાંથી દુર્ગાભાભી તથા યશપાલની ધરપકડ કરવામાં આવી હતી. દુર્ગાભાભી રાજસ્થાનથી ક્રાંતિકારીઓ માટે પિસ્તોલ પુરી પાડવાની કામગીરી કરતા હતા.
ચંદ્રશેખર આઝાદે અંગ્રેજો સામે લડતાં લડતાં શહીદી વ્હોરી લીધી હતી, એ પિસ્તોલ પણ દુર્ગાભાભીએ જ લાવી આપી હતી. તેમણે પિસ્તોલ ચલાવવાની તાલિમ લાહોર અને કાનપુરમાં લીધી હતી. ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે જયારે કેન્દ્રીય એસેમ્બલીમાં બોંબ ફેંકવા જઇ રહયા હતાં, ત્યારે પોતાનાં લોહીથી તિલક કર્યું હતું. સુખદેવના મનમાં એમ હતું કે ભગતસિંહને પ્રેમ થયો છે, અને એનો સંકેત દુર્ગા દેવી તરફ હતો! અને ભગતસિંહ એ એક પત્ર દ્વારા પ્રેમની લાગણી કેવી હોય, એની વ્યાખ્યા કરી હતી! પણ સ્પષ્ટ કોઈ વાત કરી નહોતી! જોકે એક બેબાક અંદાજમાં અંગ્રેજોને હચમચાવી મુકવા જેવી પરા શક્તિ! એ અત્યંત પ્રભાવિત થઈ જવાય એવી જ વાત છે.
તેમનાં પતિને ક્રાંતિકારી સંગઠન હિન્દુસ્તાન રિપબ્લિકન સોશિયલિસ્ટ એસોસિએશનના માસ્ટર બ્રેન ગણવામાં આવે છે, તો દુર્ગા ભાભીને બૅકબૉન કહેવામાં આવતા હતાં.પતિનાં મૃત્યુ બાદ પણ એમણે ક્રાંતિકારીઓને હથિયાર મળી રહે, એ માટે પતિનું કાર્ય ચાલુ રાખ્યું! અને ખુદમાં પણ દેશને આઝાદ કરવાં માટે એક જ્વાલા સગળગી હતી, અને એટલે જ બ્રીટીશ સરકાર એ એનું નામ “ભારત કી અગ્નિ’ એવું રાખ્યું હતું. ભગતસિંહ સુખદેવ અને રાજગુરુને ફાંસી જાહેર થઈ ત્યારે, દુર્ગા દેવી એ ગાંધીજી પર ફાંસી રોકવા માટે અંગ્રેજોને સમજાવવા એક પત્ર પણ લખ્યો હતો! ભગતસિંહને ફાંસી અપાયાં પછી ક્રાંતિકારી ચળવળ શાંત થતાં દુર્ગાભાભીની ક્રાંતિકારી પ્રવૃત્તિઓ બંધ થતાં, તે પોતાનાં પાંચ વર્ષનાં પુત્રને લઇને અભ્યાસ માટે દિલ્હી આવ્યાં, જેની પોલીસને જાણ થતાં લાહોર જતાં રહ્યાં હતાં. પોલીસે અહી તેમની ધરપકડ કરીને ત્રણ વર્ષ સુધી નજર કેદ રાખ્યા હતા. જેલમાંથી છુટીને 1935માં ગાઝીયાબાદમાં પ્યારેલાલ કન્યા વિધાલયમાં નોકરી કરવા લાગ્યા હતાં. ઇસ 1939 માં મદ્રાસ જઇને મારિયા મોન્ટેસરીમાં મોટેસરી પધ્ધતિનું શિક્ષણ લઇને 1940 માં લખનૌ કેન્ટ રોડ પાસે નજીરાબાદમાં પાંચ વિધાર્થીઓ સાથે મોન્ટેસરી શાળા ખોલી હતી, જે આજે મોન્ટેસરી ઇન્ટર કોલેજના નામથી ઓળખાય છે. 15 ઓકટોબર 1999 નાં રોજ ગાજીયાબાદમાં દુર્ગાભાભીનું અવસાન થયું હતું.
મૂળ વાત એ છે કે દુર્ગા દેવી ક્રાંતિકારી વીરાંગના હોવા છતાં, ભારતીય સમાજના મોટાભાગનાં લોકો એને ઓળખતા નથી. પણ ફિલ્મ રંગ દે બસંતી ફિલ્મમાં દુર્ગા દેવીનો રોલ સોહા અલી ખાન એ નિભાવ્યો હતો. જાણીતા ફિલ્મ ડાયરેક્ટર વિષ્ણુ વર્ધન ઈન્દુરી એ આઝાદીનાં 75 વર્ષ પૂરાં થયાં, એ નિમિત્તે “આઝાદ હિન્દ” ના શીર્ષક તળે ફિલ્મ બનાવવાની ઘોષણા કરી છે, અને આ ફિલ્મ મુખ્ય દુર્ગા દેવીનાં ચરિત્ર પર હશે એવું એમણે કહ્યું છે. ફિલ્મ બની રહી છે, એટલે એમાં કેટલીય પ્રકારના મીર્ચ મસાલા નાખવામાં આવશે! અને દુર્ગા દેવી કે જે એક વીરાંગના ઉપરાંત પતિવ્રતા સ્ત્રી હતી, એનાં ભગતસિંહ સાથેના સંબંધ ને જો બતાવશે! તો આ જ ભારતીય સમાજ, કે જે એને આજે વીરાંગના કહે છે, એ જ સમાજ એની પવિત્રતા પર આંગળી ચીંધશે! એમાં કોઈ બે મત નથી. નાગર હોવાને નાતે એટલું અવશ્ય કહીશ કે, જન્મથી જ દીકરા દીકરીનાં ભેદ વગર ઉછરી હોવાથી, એને પોતાનાં પતિનાં એ તમામ સાથી મિત્રો સાથે પણ મિત્રતા હોય શકે! અને ભગતસિંહ સાથે સોન્ડર્સની હત્યા માટે વધુ રહેવાનું થયું હોવાથી એ મિત્રતા ગાઢ બની હોય, પણ એનો અર્થ એવો બિલકુલ નથી કે એનું ચરિત્ર ખરાબ છે, અથવા યુવાન હોવાથી પગ લપસી ગયો હોય! અને જો કદાચ એવાં કોઈ ભાવ હોત તો એ સરેઆમ એનો સ્વીકાર કરત! અંગ્રેજ સભામાં પિસ્તોલ ચલાવનારી એ સ્ત્રીમાં શું એટલી હિમ્મત નહોત? ભગતસિંહ પણ મૌન રહ્યાં, એ બતાવે છે કે દુર્ગા દેવી એ એની મર્યાદા ઓળંગી નથી. આપણે આશા રાખીએ કે વિષ્ણુ વર્ધન ઈન્દુરી આ ચરિત્રને ઉજાગર કરવામાં આ રીતે એને બદનામ ન કરે! જય ભવાની.
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

