પી.જી.વી.સી.એલમાં લાઇટની અરજી મુદ્દે તકરાર બાદ રસ્તો રોકી હુમલો,ઇમરાન જુણેજા સામે ફરિયાદ
(નયના દવે દ્વારા)
Jamnagar તા.૧૮
Jamnagar તાલુકાના અલીયા ગામના ઉપસરપંચ અને રેસ્ટોરન્ટ સંચાલક પાર્થ પ્રકાશભાઈ હરિયાણી પર અલીયા ગામની ફાટક પાસે બેઝબોલના ધોકાથી હુમલો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. હુમલામાં તેમને બે જગ્યાએ ફ્રેક્ચર સહિતની ગંભીર ઇજાઓ પહોંચતાં જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
ફરિયાદ મુજબ, પાર્થ પ્રકાશભાઈ હરિયાણી ગ્રીન સિટી, જામનગર ખાતે રહે છે, અને પટેલ કોલોની વિસ્તારમાં ‘‘ઓવનસબ‘‘ નામનું રેસ્ટોરન્ટ ચલાવે છે. તેઓ અલીયા ગ્રામ પંચાયતના ઉપસરપંચ પણ છે. ઘટનાના દિવસે તેઓ ગામના સમૂહ જમણવારમાં હાજરી આપવા અલીયા ગયા હતા. સાંજે ગ્રામ પંચાયતેથી જામનગર પરત ફરી રહ્યા હતા, ત્યારે અલીયા ગામની ફાટક નજીક પાછળથી આવેલા સિલ્વર રંગના મોટરસાયકલચાલકે તેમની કાર આગળ મોટરસાયકલ ઉભું રાખી તેમને અટકાવ્યા હતા.
આરોપીએ પી.જી.વી.સી.એલ. માં લાઇટ માટે અરજી કેમ કરી હોવાનું પૂછતાં પાર્થભાઈએ આવી કોઈ અરજી કરી ન હોવાનું જણાવ્યું હતું. આ વાતથી ઉશ્કેરાયેલા આરોપીએ ગાળો આપી રસ્તાની બાજુમાં પડેલો બેઝબોલનો ધોકો લઈને તેમના ડાબા પગના ગોઠણ પાસે ઘા માર્યો હતો. તેઓ નીચે પડી જતાં આરોપીએ આડેધડ હુમલો ચાલુ રાખ્યો હતો.
બૂમાબૂમ સાંભળી અલીયા ગામના કલ્પેશભાઈ મહેશભાઈ મકવાણા સ્થળ પર પહોંચ્યા અને હુમલાખોરના ચંગુલમાંથી પાર્થભાઈને છોડાવ્યા હતા. તે દરમિયાન આરોપીએ પોતાનું નામ ઇમરાન જુણેજા હોવાનું જણાવ્યું હતું અને ‘‘આજે તો બચી ગયો, ફરી મળીશ તો જાનથી મારી નાખીશ‘‘ તેવી ધમકી આપી મોટરસાયકલ પર ફરાર થઈ ગયો હતો.
ઈજાગ્રસ્ત પાર્થભાઈને કલ્પેશ મકવાણાએ જી.જી. હોસ્પિટલ પહોંચાડ્યા હતા. તબીબી તપાસમાં તેમના ડાબા પગના ગોઠણ પાસે તથા ડાબા હાથની ટચલી આંગળીમાં ફ્રેક્ચર તેમજ જમણા પગના ગોઠણ અને જમણા હાથમાં મુઠ્ઠી ઇજાઓ હોવાનું સામે આવ્યું છે.આ બનાવ અંગે પાર્થ પ્રકાશભાઈ હરિયાણીની ફરિયાદના આધારે પોલીસે ઇમરાન જુણેજા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

