વિનોદભાઇ માછી નિરંકારી
અર્જુન પોતાનું કલ્યાણ ઇચ્છે છે આથી કલ્યાણપ્રાપ્તિનાં વિભિન્ન સાધનોનું યજ્ઞરૂપે વર્ણન કરીને જ્ઞાન ક્યાં અને કેવી રીતે મળે? તેનો જવાબ આપતાં ભગવાન જ્ઞાનયજ્ઞ દ્વારા તત્વજ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રચલિત પ્રણાલીનું વર્ણન કરતાં શ્ર્લોક(૪/૩૪)માં કહે છે કે..
તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા
ઉપદેક્ષ્યન્તિ તે જ્ઞાનં જ્ઞાનિનસ્તત્વદર્શિનઃ
(તત્-એ તત્વજ્ઞાનને તૂં તત્વદર્શી જ્ઞાની મહાપુરૂષો પાસે જઇને, વિદ્ધિ-જાણી લે, પ્રણિપાતેન-એમને સાષ્ટાંગ દંડવત્ પ્રમાણ કરવાથી, સેવયા-એમની સેવા કરવાથી તેમજ, પરિપ્રશ્નેન-સરળભાવે પ્રશ્ન પુછવાથી, તે-તે, તત્વદર્શિનઃ-તત્વદર્શી-અનુભવી, જ્ઞાનિનઃ-જ્ઞાની-શાસ્ત્રજ્ઞ મહાપુરૂષ, જ્ઞાનમ્-તને તે તત્વજ્ઞાનનો, ઉપદેક્ષ્યન્તિ-ઉપદેશ આપશે.)
એ તત્વજ્ઞાનને તૂં તત્વદર્શી જ્ઞાની મહાપુરૂષો પાસે જઇને જાણી લે,એમને સાષ્ટાંગ દંડવત્ પ્રમાણ કરવાથી, એમની સેવા કરવાથી તેમજ સરળભાવે પ્રશ્ન પુછવાથી તે તત્વદર્શી-અનુભવી જ્ઞાની-શાસ્ત્રજ્ઞ મહાપુરૂષ તને તે તત્વજ્ઞાનનો ઉપદેશ આપશે.આ શ્ર્લોક મહત્વનો છે જેમાં જ્ઞાન પ્રાપ્તિનો ઉપાય બતાવે છે.છે.પહેલાં તૂં તત્વદ્રષ્ટા-જ્ઞાની મહાપુરૂષને શોધી કાઢ.આ પ્રાપ્તિ બહુ દુર્લભ છે.બનાવટી,દંભી,આડંબરી,ઢોંગી લોકોથી બચી શકે તે જ તત્વદર્શન પ્રાપ્ત કરી શકે.જેમ બજારમાં બધી વસ્તુઓમાં ભેળસેળ થાય છે તેમ સૌથી મોટી ભેળસેળ આધ્યાત્મિક ક્ષેત્રમાં થઇ રહી છે.કેટલાક દંભી-પાખંડીઓ વધુમાં વધુ લોકોને શિષ્યો બનાવવા જાતજાતના આડંબરો-પાખંડ કરતા હોય છે,તેમનાથી બચી શકાય તો જ સાચો તત્વદ્રષ્ટા –જ્ઞાની પુરૂષ મેળવી શકાય.આ આડંબરીઓ સાક્ષાત્કાર,ઇશદર્શન,કુંડલીજાગૃતિ,શક્તિપાત વગેરેનો દાવો કરતા ફરે છે.પોતાની જાતને ભગવાન ઘોષિત કરે છે.તે બધા પોતપોતાનો વાડો લઇને ઘેટા શોધતા ફરતા હોય છે.તત્વદર્શી-જ્ઞાની મહાપુરૂષનો વાડો ના હોય-આવા તત્વદર્શી-જ્ઞાની પાસે તૂં જાય તો ત્રણ વસ્તુઓનું ધ્યાન રાખજે..પ્રણિપાત-પરીપ્રશ્નેન અને સેવયા.
‘તદ્વિદ્ધિ’ અર્જુને પહેલાં કહ્યું હતું કે યુદ્ધમાં સ્વજનોને મારીને હું હિત જોતો નથી.(૧/૩૧) આ આતતાયીઓને મારવાથી તો પાપ જ લાગશે.(૧/૩૬) યુદ્ધ કરવાની અપેક્ષાએ હું ભિક્ષા માંગીને જીવન નિર્વાહ કરવાનું શ્રેષ્ઠ સમજું છું.(ગીતાઃ૨/૫) આ રીતે અર્જુન યુદ્ધરૂપી કર્તવ્યકર્મ કરવાનું શ્રેષ્ઠ માને છે પરંતુ ભગવાનના મતાનુસાર જ્ઞાનપ્રાપ્તિના માટે કર્મોનો ત્યાગ કરવો આવશ્યક નથી.(૩/૨૦,૪/૧૫) એટલા માટે અહી ભગવાન અર્જુનને જાણે એમ કહી રહ્યા છે કે જો તૂં કર્મોનો સ્વરૂપથી ત્યાગ કરીને જ્ઞાન પ્રાપ્ત કરવાને જ શ્રેષ્ઠ માનતો હોય તો તૂં કોઇ તત્વદર્શી–જ્ઞાની મહાપુરૂષની પાસે જઇને વિધિપૂર્વક જ્ઞાન પ્રાપ્ત કર, હું તને એવો ઉપદેશ નહી આપું.
વાસ્તવમાં અહી ભગવાનનો અભિપ્રાય અર્જુનને જ્ઞાની-મહાપુરૂષની પાસે મોકલવાનો નથી પરંતુ તેમને ચેતવવાનો છે-એવું પ્રતિત થાય છે. જેવી રીતે કોઇ મહાપુરૂષ કોઇને તેના કલ્યાણની વાત કહી રહ્યા છે પરંતુ શ્રદ્ધાની ઉણપના કારણે સાંભળનારને તે વાત રૂચતી નથી તો તે મહાપુરૂષ તેને કહી દે છે કે તૂં કોઇ બીજા મહાપુરૂષની પાસે જઇને પોતાના કલ્યાણનો ઉપાય પૂછ. એવી જ રીતે ભગવાન જાણે એમ કહી રહ્યા છે કે જો તને મારી વાત રૂચતી નથી તો તૂં કોઇ જ્ઞાની મહાપુરૂષ પાસે જઇને પ્રચલિત પ્રણાલી વડે જ્ઞાન પ્રાપ્ત કર. જ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રચલિત પ્રણાલી છે-કર્મોનો સ્વરૂપથી ત્યાગ કરીને જીજ્ઞાસાપૂર્વક શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ ગુરૂની પાસે જઇને વિધિપૂર્વક જ્ઞાન પ્રાપ્ત કરવું.
‘પ્રણિપાતેન’ પ્રણિપાત એટલે વંદન. વંદનમાં નમ્રતાનાં દર્શન થવાં જોઇએ. નમ્રતા વિના ગુરૂનું મન જીતાય નહી. વંદનના ચાર પ્રકાર છેઃ ફક્ત હાથ જોડીને, માથું નમાવીને હાથ જોડીને, માથાને જમીન સાથે અડાડીને ઝુકીને અને આખા શરીરને દંડની માફક જમીન ઉપર લાંબુ કરીને.. આ ચોથો પ્રકાર દંડવત્ એ પ્રણિપાત છે. પ્રણિપાત સમર્પણની નિશાની છે. પ્રણિપાત એટલે નમ્રતાથી નમન કરવું. મસ્તક નમાવવાનો અર્થ છે આ માથું તારૂં છે. તમે મારા સ્વામી છો, મારી બુદ્ધિ ઉપર તમારી સત્તા ચાલશે, તમે કહેશો તે નિર્ણય, કહેશો તે વિચાર અને કહેશો તેવું જીવન હું જીવીશ. જ્ઞાન પ્રાપ્તિના માટે ગુરૂની પાસે જઇને તેમને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરવા. ગુરૂની પાસે નીચ પુરૂષની જેમ રહેવું. ‘નીચવત્ સેવેત્ સદગુરૂમ્’ જેથી પોતાના શરીરથી ગુરૂનો ક્યારેય અનાદર અને તિરસ્કાર ના થઇ જાય. નમ્રતા-સરળતા અને જીજ્ઞાસાભાવથી તેમની પાસે રહેવું અને એમની સેવા કરવી. પોતાની જાતને એમને સમર્પિત કરી દેવી, એમને આધિન થઇ જવું. શરીર અને વસ્તુઓ-બંન્ને એમને અર્પણ કરી દેવાં.
‘સેવયા’ શરીર અને વસ્તુઓ વડે ગુરૂની સેવા કરવી. જેનાથી તેઓ પ્રસન્ન થાય તેવું કામ કરવું, તેમની પ્રસન્નતા પ્રાપ્ત કરવી હોય તો પોતાની જાતને તેમને આધિન કરી દેવી. એમના મનને, સંકેતને અને આજ્ઞાને અનુકૂળ કામ કરવું-આ વાસ્તવિક સેવા છે. સંતમહાપુરૂષની સૌથી મોટી સેવા છે-એમના સિદ્ધાંતો અનુસાર પોતાનું જીવન બનાવવું કારણ કે એમને સિદ્ધાંતો જેટલા પ્રિય હોય છે એટલું પોતાનું શરીર પ્રિય હોતું નથી. જે લોકો ફક્ત કાન ફુંકાવે છે કે કંઠી બંધાવે છે તેને જ્ઞાનદીક્ષા ના કહેવાય. બહુ બહુ તો તેને ‘વાડાદીક્ષા’ કહેવાય. વાડાદીક્ષા એટલે વાડામાં પુરાઇ જવાની દીક્ષા. જ્ઞાનની અપેક્ષા રાખનારે હંમેશાં વાડાથી દૂર રહેવું કારણ કે વાડો અને જ્ઞાન સાથે ના રહી શકે.
‘પરિપ્રશ્નેન’ ફક્ત પરમાત્માતત્વને જાણવાને માટે જીજ્ઞાસુભાવે સરળતા અને વિનમ્રતાપૂર્વક ગુરૂને પ્રશ્ન કરવો, પોતાની વિદ્વતા બતાવવાને માટે અથવા તેમની પરીક્ષા કરવાને માટે પ્રશ્ન ન કરવો. હું કોન છું? સંસાર શું છે? બંધન શું છે? મોક્ષ શું છે? પરમાત્માતત્વનો અનુભવ કેવી રીતે થઇ શકે છે? મારી સાધનામાં કયાં કયાં વિઘ્નો છે? એ વિઘ્નોને કેવી રીતે દૂર કરવામાં આવે? તત્વ સમજમાં કેમ નથી આવતું? વગેરે પ્રશ્નો ફક્ત પોતાના બોધના માટે કરવા. જીજ્ઞાસામાંથી પ્રશ્ન ઉદભવે છે.છે. જીજ્ઞાસા જ્ઞાન પ્રાપ્તિનું પ્રથમ પગથીયું છે.જેને જીજ્ઞાસા જ ના હોય તેને પ્રશ્ન પણ ના હોય. ‘જ્ઞાનિનસ્તત્વદર્શિનઃ’ તત્વદર્શિનઃ પદનો અર્થ છે તે મહાપુરૂષને પરમાત્માતત્વનો અનુભવ થઇ ગયો હોય. ‘જ્ઞાનિનઃ’ પદનો અર્થ છે કે એમનો વેદો અને શાસ્ત્રોનું સારી રીતે જ્ઞાન હોય, એવા તત્વદર્શી અને જ્ઞાની મહાપુરૂષની પાસે જઇને જ જ્ઞાન પ્રાપ્ત કરવું.
અંતઃકરણની શુદ્ધિ અનુસાર જ્ઞાનના ત્રણ પ્રકારના અધિકારી છે-ઉત્તમ-મધ્યમ અને કનિષ્ઠ. ઉત્તમ અધિકારીને શ્રવણમાત્રથી તત્વજ્ઞાન થઇ જાય છે. મધ્યમ અધિકારીને શ્રવણ-મનન અને નિદિધ્યાસન કરવાથી તત્વજ્ઞાન થાય છે. કનિષ્ઠ અધિકારી તત્વને સમજવા માટે ભિન્ન-ભિન્ન પ્રકારની શંકાઓ કર્યા કરે છે, એ શંકાઓનું સમાધાન કરવા માટે વેદો અને શાસ્ત્રોનું સારૂં એવું જ્ઞાન હોવું આવશ્યક છે કેમકે ત્યાં ફક્ત યુક્તિઓથી તત્વને સમજાવી શકાતું નથી. આથી જો ગુરૂ તત્વદર્શી હોય પરંતુ જ્ઞાની ના હોય તો તે શિષ્યની જાતજાતની શંકાઓનું સમધાન કરી શકતા નથી. જો ગુરૂ શાસ્ત્રોના જ્ઞાતા હોય પરંતુ તત્વદર્શી ના હોય તો તેમની વાતો એવી નક્કર નહી હોય જેનાથી શ્રોતાને પરમાત્માતત્વનું દર્શન-જ્ઞાન થઇ જાય, એટલા માટે ગુરૂનું જ્ઞાની અને તત્વદર્શી બંન્નેય હોવું જરૂરી છે.
‘ઉપદેક્ષ્યન્તિ તે જ્ઞાનં’ મહાપુરૂષને દંડવત્ પ્રણામ કરવાથી, તેમની સેવા કરવાથી અને તેમને સરળતાપૂર્વક પ્રશ્નો પુછવાથી તેઓ તને તત્વજ્ઞાનનો ઉપદેશ આપશે-એનો અર્થ એ છે કે તે મહાપુરૂષને આ બધાની અપેક્ષા રહે છે. વાસ્તવમાં તેમને પ્રણામ, સેવા વગેરેની સહેજપણ ઇચ્છા હોતી નથી. આ બધુ કહેવાનો ભાવ એ છે કે આમ કરવાથી એ મહાપુરૂષના અંતઃકરણમાં તેના પ્રત્યે વિશેષ ભાવ પેદા થઇ જાય છે જેનાથી સાધકને લાભ થાય છે.
‘જ્ઞાનમ્’ પદ અહી તત્વજ્ઞાન અથવા સ્વરૂપબોધનું વાચક છે. વાસ્તવમાં જ્ઞાન સ્વરૂપનું થતું નથી પરંતુ સંસારનું થાય છે. સંસારનું જ્ઞાન થતાં જ સંસાર સાથે સબંધ-વિચ્છેદ થઇ જાય છે અને સ્વતઃસિદ્ધ સ્વરૂપનો અનુભવ થઇ જાય છે. મહાપુરૂષ જ્ઞાનનો ઉપદેશ તો આપે છે એનાથી સાધકને બોધ થઇ જ જાય એ નિશ્ચિત નથી. આગળ ભગવાન શ્ર્લોક ૪/૩૯માં કહ્યું છે કે ‘શ્રદ્ધાર્વાંલ્લભતે જ્ઞાનમ્’ શ્રદ્ધાવાન પુરૂષ જ્ઞાનને પ્રાપ્ત થાય છે કારણ કે શ્રદ્ધા અંતઃકરણની વસ્તુ છે પરંતુ પ્રણામ, સેવા, પ્રશ્ન વગેરે કપટપૂર્વક પણ કરી શકાય છે એટલા માટે અહી મહાપુરૂષ દ્વારા ફક્ત જ્ઞાનનો ઉપદેશ આપવાની જ વાત કહેવામાં આવી છે.
ગુરૂની કૃપાથી જ મનમાં વિદ્યમાન અજ્ઞાનરૂપી અંધકાર દૂર થાય છે અને આ જ્ઞાનનો પ્રકાશ થતાં તમામ ભ્રમો-સંશયો દૂર થાય છે. શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ તત્વદર્શી જ્ઞાની ગુરૂ વિના ૫રમાત્માનું જ્ઞાન પ્રાપ્ત થઇ શકતું નથી. પૂર્ણ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ તત્વદર્શી સમરથ સદગુરૂના ચરણોમાં નતમસ્તક થવાથી આ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. જે સમયે આવા સદગુરૂની કૃપાથી પ્રભુ પરમાત્માના દર્શન થઇ જાય છે ત્યારે સાધકમાં વિશાળતા, પ્રેમ, નમ્રતા, સમદ્રષ્ટિ, ૫રો૫કાર, ભાઇચારાની ભાવના વગેરે ગુણો પ્રગટ થાય છે. આમ પૂર્ણ ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ તત્વદર્શી સદગુરૂ મળી જાય તો એક ક્ષણમાં પ્રભુ ૫રમાત્માના દિદાર થઇ જાય છે. જન્મ જન્માન્તરથી કરોડો પાપોથી એક ક્ષણમાં છુટકારો મળી જાય છે. જગતમાંના ખોટા પાખંડી ગુરૂઓના કારણે જ જિજ્ઞાસુઓના ભ્રમો દૂર થતા નથી, વાસ્તવિકતાનો બોધ થતો નથી.પૂર્ણ સદગુરૂ પોતે પ્રભુ ૫રમાત્માનું સાકાર સ્વરૂ૫ હોય છે. ઘણા લોકોના મનમાં એવો ભ્રમ હોય છે કે પ્રભુ ૫રમાત્માના પ્રત્યક્ષ દર્શન ક્ષણમાં થઇ શકતા નથી. મુક્તિ મળતી નથી. આ વાતો નિરાધાર અને ભ્રામક છે. મનુષ્ય ઉત્તમ ભાગ્ય હોય તો સમરથ સદગુરૂ મળી જાય છે અને તેમની કૃપાથી પ્રભુના દિદાર થઇ જાય છે.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)

