વિનોદભાઇ માછી નિરંકારી
યજ્ઞોનું વર્ણન સાંભળીને એવી જીજ્ઞાસા થાય કે તે યજ્ઞોમાંથી કયો યજ્ઞ શ્રેષ્ઠ છે? એનું સમાધાન ભગવાન આગળના શ્ર્લોક(૪/૩૩)માં કરતાં કહે છે કે..
શ્રેયાન્દ્રવ્યમયાદ્યજ્ઞાજ્જ્ઞાનયજ્ઞઃ પરંતપ
સર્વં કર્માખિલં પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે
(પરંતપ પાર્થ-હે પરંતપ અર્જુન ! દ્રવ્યમયાત્-દ્રવ્યમય, યજ્ઞાત્-યજ્ઞની અપેક્ષાએ, જ્ઞાનયજ્ઞઃ-જ્ઞાનયજ્ઞ, શ્રેયાન્-શ્રેષ્ઠ છે. સર્વમ્-સઘળાં, કર્મ-કર્મો અને, અખિલમ્-પદાર્થો, જ્ઞાને-જ્ઞાન તત્વમાં, પરિસમાપ્યતે-સમાપ્ત-લીન થઇ જાય છે.)
હે પરંતપ અર્જુન ! દ્રવ્યમય યજ્ઞની અપેક્ષાએ જ્ઞાનયજ્ઞ શ્રેષ્ઠ છે.સઘળાં કર્મો અને પદાર્થો જ્ઞાન તત્વમાં સમાપ્ત-લીન થઇ જાય છે.
‘શ્રેયાન્દ્રવ્યમયાદ્યજ્ઞાજ્જ્ઞાનયજ્ઞઃ પરંતપ’ જે યજ્ઞોમાં દ્રવ્યો-પદાર્થો તથા કર્મોની આવશ્યકતા રહે છે તે બધા યજ્ઞો દ્રવ્યમય યજ્ઞો છે. એવા દ્રવ્યમય યજ્ઞ કરતાં જ્ઞાનયજ્ઞ શ્રેષ્ઠ છે કેમકે જ્ઞાનયજ્ઞમાં દ્રવ્ય અને કર્મની આવશ્યકતા હોતી નથી. બધા જ યજ્ઞોને ભગવાને કર્મજન્ય કહ્યા છે. તમામ કર્મો જ્ઞાનયજ્ઞમાં સંપૂર્ણ થઇ જાય છે એટલે કે જ્ઞાનયજ્ઞ કર્મજન્ય નથી પરંતુ વિવેક-વિચારજન્ય છે, આથી અહી જે જ્ઞાનયજ્ઞની વાત આવી છે તે અગાઉ વર્ણવેલા બાર યજ્ઞોની અંતર્ગત આવેલા જ્ઞાનયજ્ઞનો વાચક નથી પરંતુ આગળ આવનારા શ્ર્લોક ૪/૩૪માં વર્ણવેલી જ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રચલિત પ્રક્રિયાનો વાચક છે.
‘સર્વં કર્માખિલં પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે’ ‘સર્વમ્’ અને ‘અખિલમ્’ બંન્ને શબ્દો પર્યાયવાચી છે અને તેમનો અર્થ ‘સઘળાં’ થાય છે.
જ્યાં સુધી મનુષ્ય પોતાના માટે કર્મો કરે છે ત્યાં સુધી તેનો સબંધ ક્રિયાઓ અને પદાર્થો સાથે ચાલુ રહે છે અને ત્યાં સુધી અંતઃકરણમાં અશુદ્ધિ રહે છે એટલે પોતાના માટે કર્મો ન કરવાથી અંતઃકરણ શુદ્ધ થાય છે. અંતઃકરણમાં ત્રણ દોષ રહે છે. મળ (સંચિત પાપો), વિક્ષેપ (ચિત્તની ચંચળતા) અને આવરણ (અજ્ઞાન). સંસારમાત્રની સેવા માટે કર્મ કરવાથી મળ અને વિક્ષેપ દૂર થાય છે ત્યારે જ્ઞાન પ્રાપ્તિ દ્વારા આવરણદોષને દૂર કરવા માટે કર્મોનો સ્વરૂપથી ત્યાગ કરીને સદગુરૂ પાસે જાય છે તે સમયે કર્મો અને પદાર્થોથી પર થઇ જાય છે.
શાસ્ત્રોમાં જ્ઞાન પ્રાપ્તિનાં આઠ સાધન બતાવ્યાં છે. વિવેક, વૈરાગ્ય, શમ વગેરે ષટસંપત્તિ (શમ, દમ, શ્રદ્ધા, ઉપરતિ, તિતિક્ષા અને સમાધાન), મુમુક્ષતા, શ્રવણ, મનન, નિદિધ્યાસન અને તત્વપદાર્થસંશોધન.. સત અને અસતને અલગ અલગ જાણવા એ વિવેક કહેવાય છે. સત-અસતને અલગ જાણીને અસતનો ત્યાગ કરવો, સંસારથી વિમુખ થવું એ વૈરાગ્ય છે. મનને ઇન્દ્રિયોના વિષયોથી હટાવવું એ શમ છે. ઇન્દ્રિયોને વિષયોમાંથી હટાવવીએ દમ છે. ઇશ્વર, શાસ્ત્ર ઉપર પૂજ્યભાવપૂર્વક પ્રત્યક્ષથી પણ વધારે વિશ્વાસ રાખવો એ શ્રદ્ધા છે. વૃતિઓનું સંસાર તરફથી હટી જવું એ ઉપરતિ છે. શરદી ગરમી વગેરે દ્વંદ્વોને સહન કરવાં, તેમની ઉપેક્ષા કરવી એ તિતિક્ષા છે. અંતઃકરણમાં શંકાઓ ના રહેવી એ સમાધાન છે. સંસારથી છુટવાની ઇચ્છાએ મુમુક્ષતા છે. મુમુક્ષતા જાગ્રત થયા બાદ પદાર્થો અને કર્મોનો સ્વરૂપથી ત્યાગ કરીને ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ સદગુરૂની પાસે જઇને શાસ્ત્રોને સાંભળીને તાત્પર્યનો નિર્ણય કરવો તથા તેને ધારણ કરવો એને શ્રવણ કહે છે. શ્રવણથી પ્રમાણગત સંશય દૂર થાય છે. પરમાત્મા તત્વનું યુક્તિપ્રયુક્તિઓથી ચિંતન કરવું એ મનન છે. મનનથી પ્રમેયગત સંશય દૂર થાય છે. સંસારની સત્તા માનવી અને પરમાત્માતત્વની સત્તા ન માનવી એ વિપરીત ભાવના છે. વિપરીતભાવનાને હટાવવી એ નિદિધ્યાસન છે. પાકૃત પદાર્થ માત્ર સાથે સબંધ વિચ્છેદ થઇ જાય અને ફક્ત એક ચિન્મય તત્વ શેષ રહી જાય એ તત્વપદાર્થસંશોધન છે એને જ તત્વસાક્ષાત્કાર કહે છે.
વિચારપૂર્વક જોવામાં આવે તો આ બધાં સાધનોનું તાત્પર્ય છે-અસાધન એટલે કે અસતના સબંધનો ત્યાગ. ત્યાજ્ય વસ્તુ પોતાને માટે હોતી નથી પરંતુ ત્યાગનું પરીણામ તત્વસાક્ષાત્કાર પોતાને માટે હોય છે.
દ્રવ્યમય યજ્ઞમાં ક્રિયા અને પદાર્થની પ્રધાનતા રહે છે તેથી તે કરણસાપેક્ષ છે. જ્ઞાનયજ્ઞમાં વિવેક-વિચારની પ્રધાનતા છે તેથી તે કરણ નિરપેક્ષ છે તેથી દ્રવ્યમય યજ્ઞથી જ્ઞાનયજ્ઞ શ્રેષ્ઠ છે. જ્ઞાનયજ્ઞમાં સંપૂર્ણ ક્રિયાઓ અને પદાર્થોથી સબંધ છુટી જાય છે એટલે કે તત્વજ્ઞાન થતાં કંઇપણ કરવું, જાણવું અને પ્રાપ્ત કરવું શેષ રહેતું નથી કારણ કે એક પરમાત્મા સિવાય બીજા કશાનું અસ્તિત્વ રહેતું જ નથી.
આ બધા યજ્ઞોમાં સંયમાગ્નિ અને ઇન્દ્રિયાગ્નિ વિશે પણ કહ્યું છે. કેટલાક લોકો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધને વિષયો કહીને તેને વખોડે છે પણ ગીતાકારે તેમનું પણ હવન કહ્યું છે. ગીતા બહુ વ્યવહારૂં છે. આ છોડો અને તે છોડો એમ ગીતા કહેતી નથી. ગીતાનું તત્વજ્ઞાન હજુ આગળ આવશે તેમાં તત્વજ્ઞાનના ક્ષેત્રમાં ગીતાકારને કંઇક પોતાનો સ્વતંત્ર મત કહેવાનો છે. જીવનમાં નિગ્રહાત્મક તત્વજ્ઞાન કરતાં સંયમાત્મક તત્વજ્ઞાન સ્વીકારે છે. નિગ્રહમાં આગ્રહ હોય પરંતુ સંયમમાં વિવેકબુદ્ધિ હોય. ગીતા કહે છે કે ચિત્તશોધનના માટે યજ્ઞો છે તેથી યજ્ઞો કરવા જોઇએ.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)

