Navsari,તા.૨૫
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)એ કાશ્મીરને ભારતથી અલગ કરવાની કથિત સાજિશ અને કટ્ટરપંથીકરણ (રેડિકલાઇઝેશન) કેસમાં ઉત્તરપ્રદેશના રહેવાસી ફૈઝાન શકીલ સલમાની સામે ચાર્જશીટ દાખલ કરી છે. છેલ્લાં ત્રણ ચાર વર્ષથી નવસારીમાં દરજી તરીકે કામ કરતા સલમાની સામે ગેરકાયદે પ્રવૃત્તિ નિવારણ કાયદો (યુએપીએ), ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ) તથા આર્મ્સ એક્ટ હેઠળ ગુનાઓ નોંધવામાં આવ્યા છે.
તપાસ મુજબ માર્ચ-૨૦૨૬માં ગુજરાત એટીએસની તપાસ દરમિયાન સલમાની પર જૈશ-એ-મોહમ્મદ અને અલ-કાયદા જેવા પ્રતિબંધિત આતંકી સંગઠનો સાથે સંકળાયેલા રહી કાશ્મીર અને લદ્દાખને ભારતથી અલગ કરવાની સાજિશમાં સામેલ હોવાનો આરોપ સામે આવ્યો હતો. આ કેસમાં એનઆઈએએ બાદમાં તપાસ પોતાના હાથમાં લીધી હતી.
એટીએસના જણાવ્યા મુજબ, સલમાની સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા ચોક્કસ સમુદાયમાં કટ્ટરપંથી વિચારધારા ફેલાવવાનો પ્રયાસ કરતો હતો. તેમજ જિહાદના નામે લોકોને ઉશ્કેરી ભારત વિરુદ્ધ હિંસક પ્રવૃત્તિ માટે પ્રેરિત કરવાનો પ્રયાસ કર્યો હોવાનો પણ આરોપ છે.
તપાસ દરમિયાન સલમાનીના મોબાઇલ ફોન અને અન્ય ડિજિટલ ઉપકરણોમાંથી જૈશ-એ-મોહમ્મદ અને અલ-કાયદાના સમર્થનમાં લખાણ, ઉશ્કેરણીજનક વીડિયો, ઓડિયો ભાષણો, કાશ્મીર સંબંધિત વાંધાજનક પોસ્ટર, પ્રતિબંધિત સંગઠનોની પ્રચારસામગ્રી અને નિશાન બનાવવાની સંભવિત વ્યક્તિઓની વિગતો મળી હોવાનું એજન્સીએ જણાવ્યું છે.
એટીએસે સલમાની પાસેથી એક દેશી પિસ્તોલ અને પાંચ જીવતા કારતૂસ પણ જપ્ત કર્યા હતા. પૂછપરછ દરમિયાન તેણે ઉત્તરપ્રદેશની અજાણી વ્યક્તિ પાસેથી હથિયાર ખરીદ્યાની કબૂલાત કરી હોવાનું તપાસ એજન્સીએ જણાવ્યું છે. એનઆઈએના જણાવ્યા અનુસાર સલમાનીની ધરપકડ આ વર્ષે ફેબ્રુઆરીમાં કરવામાં આવી હતી અને હવે સમગ્ર તપાસ પૂર્ણ થયા બાદ તેની સામે વિશેષ અદાલતમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.

