Gandhinagar, તા.27
ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્યની તમામ કોર્ટોમાં રજૂ થતા અરજીઓ, પિટિશન, સોગંદનામા અને અન્ય ન્યાયિક દસ્તાવેજોના ફોર્મેટિંગ અને પેપર અંગેનો સુધારેલ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.
આ પરિપત્ર મુજબ નવા નિયમોનો 1 ઓગસ્ટ, 2026થી ફરજિયાત અમલ શરૂ થઈ શકે છે. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, આ તારીખ બાદ કોઈપણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં. પરિણામે રાજ્યભરના વકીલો, કાનૂની વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિઓ તેમજ કારકુનોએ પોતાની ઓફિસોમાં પ્રિન્ટિંગ અને ડ્રાફિ્ંટગની પદ્ધતિમાં જરૂરી ફેરફાર કરવા પડશે.
પરિપત્ર મુજબ કોર્ટમાં રજૂ થતા તમામ અરજીઓ, પિટિશન, સોગંદનામા તથા અન્ય દસ્તાવેજો હવે માત્ર એ-ફોર સાઇઝના પેપર પર જ રજૂ કરી શકાશે. સાથે જ પર્યાવરણને ધ્યાનમાં રાખીને તમામ દસ્તાવેજો કાગળની બંને બાજુ પ્રિન્ટ કરવાના રહેશે. કાગળની ગુણવત્તા પણ નક્કી કરવામાં આવી છે અને ઓછામાં ઓછા 75 જીએસએમ પેપરનો ઉપયોગ ફરજિયાત રહેશે.
દસ્તાવેજોના ફોન્ટ અને ફોર્મેટિંગ માટે પણ ચોક્કસ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. ગુજરાતી ભાષાના દસ્તાવેજો માટે લોહીત ગુજરાતી, નોટો સન્સ ગુજરાતી અથવા નોટો શેરીફ ગુજરાતી ફોન્ટનો ઉપયોગ કરવાનો રહેશે અને ફોન્ટ સાઇઝ 13 રાખવાની રહેશે. જ્યારે અંગ્રેજી દસ્તાવેજો માટે ટાઈમ્સ ન્યૂ રોમન ફોન્ટ તથા 14 સાઇઝ ફરજિયાત રહેશે. તમામ દસ્તાવેજોમાં 1.5 લાઇન સ્પેસિંગ રાખવું પડશે, જ્યારે ક્વોટેશન અથવા ઇન્ડેન્ટેડ લખાણ માટે 12 સાઇઝનો ફોન્ટ અને સિંગલ લાઇન સ્પેસિંગ રાખવાની જોગવાઈ કરવામાં આવી છે.
માર્જિન અંગે પણ એકરૂપતા લાવવા માટે નવા નિયમો અમલમાં મૂકવામાં આવ્યા છે. દસ્તાવેજની ડાબી અને જમણી બાજુ 4 સેન્ટીમીટર, જ્યારે ઉપર અને નીચે 2 સેન્ટીમીટર માર્જિન રાખવું ફરજિયાત રહેશે. આ નિયમોના અમલથી કોર્ટમાં રજૂ થતા દસ્તાવેજોમાં એકરૂપતા આવશે તેમજ ડિજિટલ સ્કેનિંગ, રેકોર્ડ જાળવણી અને ન્યાયિક પ્રક્રિયામાં વધુ સુવિધા મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
જો કે, હાઈકોર્ટના પરિપત્રમાં કેટલાક દસ્તાવેજોને આ નિયમોમાંથી મુક્તિ આપવામાં આવી છે. તેમાં પોલીસ પેપર્સ, ચાર્જશીટ, એફએસએલ રિપોર્ટ, સરકારી અથવા અન્ય સંસ્થાઓના રિપોર્ટ, વકાલતનામું, મૂળ પુરાવાના દસ્તાવેજો, નકશા (મેપ્સ /પ્લાન્સ) તેમજ પરિપત્રમાં દર્શાવાયેલા અન્ય અપવાદરૂપ દસ્તાવેજોનો સમાવેશ થાય છે. આવા દસ્તાવેજો માટે અગાઉની જ પદ્ધતિ યથાવત રહેશે.
હાઈકોર્ટના આ નિર્ણયને પગલે રાજ્યભરના વકીલોમાં નવી કામગીરીને લઈને તૈયારી શરૂ થઈ છે. કોર્ટમાં દસ્તાવેજો અસ્વીકાર ન થાય તે માટે વકીલો, ટાઇપિસ્ટ, ડ્રાફિ્ંટગ ક્લાર્ક અને ઝેરોક્સ-પ્રિનિ્ંટગ સેન્ટરોને પણ નવી માર્ગદર્શિકા મુજબ કામગીરી કરવાની રહેશે. કાનૂની ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામ લોકોને 1 ઓગસ્ટ પહેલાં પોતાની ઓફિસોમાં જરૂરી સોફ્ટવેર, ફોન્ટ, પ્રિન્ટિંગ સેટિંગ્સ અને પેપરની વ્યવસ્થા સુસંગત બનાવી લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
હાઈકોર્ટના આ સુધારેલ પરિપત્રનો મુખ્ય હેતુ કોર્ટમાં રજૂ થતા દસ્તાવેજોમાં એકરૂપતા લાવવાનો, કાગળનો કરકસરપૂર્વક ઉપયોગ કરવાનો અને ન્યાયિક પ્રક્રિયાને વધુ વ્યવસ્થિત તથા આધુનિક બનાવવાનો હોવાનું માનવામાં આવે છે.

