સાયણ સુગર મીલની ૧૮ બેઠકો માટે ચૂંટણી જંગ જામ્યો, ભાજપ પ્રેરિત પેનલો આમને-સામને; ૯ ઓગસ્ટે મતદાન
Surat,તા.૨૭
સુરતની જાણીતી સાયણ સુગર મીલની ચૂંટણી જાહેર થતાં દક્ષિણ ગુજરાતના સહકારી ક્ષેત્રમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. મીલની કુલ ૧૮ બેઠકો માટે યોજાનારી ચૂંટણીમાં વિવિધ જૂથોએ તૈયારીઓ તેજ કરી દીધી છે. જાહેર કરાયેલા ચૂંટણી કાર્યક્રમ મુજબ ૯ ઓગસ્ટે મતદાન યોજાશે, જ્યારે ૧૧ ઓગસ્ટે મતગણતરી હાથ ધરી પરિણામ જાહેર કરવામાં આવશે. ચૂંટણીની તારીખો જાહેર થતાં ઉમેદવારો અને ખેડૂત સભાસદોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ચૂંટણીમાં વિવિધ ઝોનમાંથી ખેડૂત સભાસદોએ ઉમેદવારી નોંધાવી છે. મળતી માહિતી મુજબ કુલ ૧૪ અલગ-અલગ ઝોનમાંથી ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. આ વખતે ચૂંટણીનું સૌથી મોટું આકર્ષણ ભાજપ સાથે સંકળાયેલા જૂથોમાં જોવા મળતા આંતરિક મતભેદો છે. ભાજપ પ્રેરિત બે અલગ-અલગ પેનલો સામસામે આવી જતાં ચૂંટણીનો જંગ વધુ રસપ્રદ બની ગયો છે.
ચૂંટણીમાં વધુ એક મહત્વપૂર્ણ વળાંક ત્યારે આવ્યો જ્યારે દર્શન નાયકે અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી. તેમના મેદાનમાં ઉતરતાં હવે ચૂંટણી ત્રિપાંખિયા મુકાબલામાં ફેરવાઈ હોવાનું રાજકીય વર્તુળોમાં માનવામાં આવી રહ્યું છે. પરિણામે સહકારી ક્ષેત્રના આ ચૂંટણી જંગ પર સૌની નજર મંડાઈ છે.
સાયણ સુગર મીલ દક્ષિણ ગુજરાતના હજારો શેરડી ઉત્પાદક ખેડૂતો માટે મહત્વપૂર્ણ સહકારી સંસ્થા માનવામાં આવે છે. મીલના સંચાલન અને નીતિ-નિર્ધારણમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓની મહત્વની ભૂમિકા રહેતી હોવાથી ખેડૂત સભાસદો પણ આ ચૂંટણીને ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યા છે.
ચૂંટણી જાહેર થતાં જ વિવિધ પેનલોના ઉમેદવારોએ પ્રચાર શરૂ કરી દીધો છે. ઉમેદવારો ખેડૂત સભાસદોનો સંપર્ક કરી પોતાના પક્ષમાં સમર્થન મેળવવા માટે પ્રયાસો કરી રહ્યા છે.
આગામી દિવસોમાં પ્રચાર વધુ તેજ બનવાની શક્યતા છે અને સહકારી ક્ષેત્રમાં રાજકીય ગતિવિધિઓમાં વધારો જોવા મળી શકે છે.
હવે સૌની નજર ૯ ઓગસ્ટના મતદાન અને ૧૧ ઓગસ્ટના પરિણામો પર ટકેલી છે. આ ચૂંટણીના પરિણામો બાદ સાયણ સુગર મીલના સંચાલનની કમાન કોના હાથમાં જશે અને સહકારી ક્ષેત્રમાં કયું જૂથ પ્રભુત્વ જમાવશે તે સ્પષ્ટ થશે.

