રસોડામાં દરરોજ ઉપયોગમાં લેવાતા લોખંડના તવા અને કડાઈ ચોમાસાની ઋતુમાં ઘણીવાર કાળા પડી જાય છે અથવા તેના પર કાટ જામી જાય છે. વાસણ ધોઈને રાખ્યા પછી પણ જો તેના પર કાટ લાગે, તો તેને ફરીથી ધોવા પડે છે, જેનાથી સમય અને મહેનત બંને બગડે છે. સાથે જ વાસણનું આયુષ્ય પણ ઘટે છે. જોકે, કેટલાક સરળ કિચન હેક્સ અપનાવીને લોખંડના વાસણોને કાટ લાગવાથી બચાવી શકાય છે.
શા માટે લાગે છે લોખંડના વાસણોમાં કાટ?
જ્યારે લોખંડના વાસણો હવામાં રહેલા ભેજ અને ઓક્સિજનના સંપર્કમાં આવે છે, ત્યારે તેની સપાટી પર આયર્ન ઓક્સાઈડ બને છે, જેને આપણે સામાન્ય ભાષામાં કાટ કહીએ છીએ. ચોમાસા દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ વધારે હોવાથી આ સમસ્યા વધી જાય છે. જો ધોયા પછી વાસણોને સરખી રીતે સુકવવામાં ન આવે, તો કાટ ઝડપથી લાગે છે.
- વાસણોને સંપૂર્ણપણે સુકવો
લોખંડના તવા કે કડાઈને ધોયા પછી ફક્ત એમ જ સુકાવા માટે ન મૂકી દો. ધોયા બાદ પહેલા તેને સાફ કપડાથી બરાબર લૂછી લો. ત્યારબાદ 1-2 મિનિટ માટે ધીમા તાપે ગેસ પર ગરમ કરી લો, જેથી તેના પર રહેલો બાકીનો ભેજ પણ સંપૂર્ણપણે ઊડી જાય.
- તેલ લગાવો
ચોમાસામાં લોખંડના વાસણ સંપૂર્ણ સુકાઈ જાય પછી તેના પર રાયડાનું તેલ, રિફાઈન્ડ અથવા કોઈ પણ કુકિંગ ઓઈલ લગાવી દો. આ તેલ લોખંડ અને હવાના ભેજ વચ્ચે એક સુરક્ષા કવચ બનાવી દે છે, જેનાથી કાટ લાગવાનો ભય રહેતો નથી.
- ભેજવાળી જગ્યાએ કે ભીના સિંકમાં ન રાખો
લોખંડના વાસણોને લાંબા સમય સુધી ભીના સિંકમાં અથવા ભેજવાળી જગ્યાએ ન મૂકી રાખવા. ધોયા પછી તેને હંમેશા સૂકી અને હવાઉજાસવાળી જગ્યાએ જ સ્ટોર કરવા જોઈએ.
- સમયાંતરે સીઝનિંગ કરો
જો તમે નિયમિત રીતે લોખંડનો તવો કે કડાઈ વાપરતા હોવ, તો સમયાંતરે તેની સીઝનિંગ કરો. આ માટે વાસણ પર તેલ લગાવીને થોડી મિનિટો સુધી ગરમ કરો. આમ કરવાથી વાસણની સપાટી પર નેચરલ પ્રોટેક્ટિવ લેયર બને છે, જે કાટથી બચાવવાની સાથે વાસણને ‘નોન-સ્ટિક’ જેવી ફિનિશિંગ પણ આપે છે.

